Wednesday, Jul 1, 2026

ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દીવાલ ધરાશાયી: ઝૂંપડી પર કાટમાળ પડતાં પિતા-પુત્રનું મોત

2 Min Read

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, દિવાલો તૂટી પડવા અને અન્ય અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક કરુણ ઘટના ભરૂચ શહેરમાં બની છે, જ્યાં ભારે વરસાદ વચ્ચે નિર્માણાધીન પ્રોજેક્ટની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં પિતા અને પુત્રનું મોત થયું છે.

ભરૂચના આલી માતરિયા વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નિર્માણાધીન સાઇટની વિશાળ કમ્પાઉન્ડ દિવાલ ભારે વરસાદના કારણે અચાનક તૂટી પડી હતી. આ દિવાલ નજીક આવેલી ઝૂંપડી પર ધસી પડતાં અંદર સૂઈ રહેલા એક આદિવાસી પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અશ્વિન વસાવા (42) અને તેમના પુત્ર આશિષ વસાવા (22)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના વહેલી સવારે અંદાજે 2:30 વાગ્યે બની હતી, જ્યારે પરિવારના સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. દિવાલ ધરાશાયી થતાં આસપાસના રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ભારે કાટમાળ અને વરસાદને કારણે તરત બચાવ કામગીરી શક્ય બની નહોતી. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમે JCB મશીન અને અન્ય સાધનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ અશ્વિન વસાવાની માતા સોનુ ચીમન વસાવા (62) અને પત્ની શકુબેન અશ્વિન વસાવા (40)ને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. બંને મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે દિવાલની આસપાસ કાદવ અને પાણીનો ભારે જથ્થો એકત્ર થયો હતો. તેના વધેલા દબાણને દિવાલ સહન કરી શકી નહોતી અને આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં કાદવ અને કાટમાળ દૂર કરવો પડ્યો હતો.

ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય સંબંધિત એજન્સીઓની મદદથી ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે. તપાસ અહેવાલ મળ્યા બાદ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

Share This Article