Wednesday, Jul 1, 2026

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, આ ઓઇલ કંપનીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

2 Min Read

વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે. નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બુધવાર (1 જુલાઈ, 2026)થી દેશભરના 7000 પેટ્રોલ પંપ પર નવા દર અમલમાં મૂક્યા છે. નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે અન્ય સરકારી ઓઇલ કંપનીઓ જેમ કે IOC, HPCL અને BPCLએ હાલ ફ્યુઅલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

રાજ્યો પ્રમાણે પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટ (VAT) અને અન્ય સ્થાનિક કર અલગ-અલગ હોવાથી દરેક રાજ્યમાં ગ્રાહકોને મળતી રાહતનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે.

સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર
નાયરા એનર્જી ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલ કંપની છે. છેલ્લાં બે વર્ષથી વધુ સમય પછી કોઈ પણ ઓઇલ કંપનીએ પ્રથમ વખત રિટેલ ફ્યુઅલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીના જણાવ્યાનુસાર પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેને કારણે ગ્રાહકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વના મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખૂલતાં ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો પુરવઠો સામાન્ય બન્યો છે. પરિણામે પુરવઠામાં અવરોધની આશંકા ઘટી અને વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવ પર દબાણ ઓછું થયું, જેનો લાભ હવે ગ્રાહકોને મળી રહ્યો છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ રાહત
જુલાઈની શરૂઆત એલપીજી ગ્રાહકો માટે પણ રાહતના સમાચાર લઈને આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 183.50 સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી હોટેલ, રેસ્ટોરાં, ઢાબા અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓને મોટો લાભ મળશે. જોકે 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેના દર અગાઉની જેમ યથાવત્ રાખવામાં આવ્યા છે.

Share This Article