ઓડિશાના કોરાપુટ જિલ્લામાં શુક્રવારે બે બાઇક, એક ઓટોરિક્ષા, એક ટ્રેક્ટર અને એક SUV એકસાથે અથડાયા હતા. આ અકસ્માતમાં મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત બોરીગુમ્મા વિસ્તારમાં થયો હતો. ઘાયલોમાં અમુકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને કોરાપુટની શહીદ લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
છત્તીસગઢની બસ્તર સરહદ પાસે ઓડિશાના બોરીગુમા વિસ્તારમાં અકસ્માત થયો હતો. જ્યાં એક સ્કોર્પિયો જગદલપુરથી ઓડિશા જઈ રહી હતી. તે દરમિયાન સિંગલ લેન રોડ પર સ્કોર્પિયો ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે સમયે પહેલા સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ એક ઓટો સાથે અથડાઈ અને ફરી પાછી અન્ય એક બાઇક સાથે પણ અથડાઈ હતી.
અકસ્માત બાદ સ્કોર્પિયો બાજુમાં આવેલા ખેતરમાં ઘૂસી ગઈ હતી. જ્યારે ઓટોને ટક્કર વાગતા તે પલટી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. ઓટોમાં કુલ ૧૫ મુસાફરો હતા. અકસ્માત બાદ સ્કોર્પિયોમાં સવાર તમામ ૫ લોકો નાસી છૂટ્યા હતા.
મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારોને ૩ લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને વધુ સારી સારવાર આપવાના નિર્દેશો પણ આપ્યા છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
આ પણ વાંચો :-