Wednesday, Dec 17, 2025

અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોના મોત, 6ની હાલત ગંભીર

2 Min Read

પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે (12મી મે) રાત્રે ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. જ્યારે 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

અમૃતસરના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, મજીઠામાં એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની હતી. અમને ગઈ રાત્રે 5 ગામમાંથી લોકોએ દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની માહિતી મળી હતી. મેડિકલ ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. સરકાર શક્ય તમામ મદદ કરી રહી છે. મૃત્યુઆંક વધે નહીં તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સપ્લાયર્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022 માં ગુજરાતના બોટાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં લઠ્ઠાકાંડની દુર્ઘટના બની હતી, જેમાં 42 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ થયા હતા. આ ઘટનામાં પીડિતોએ દારૂ સમજીને મિથાઈલ આલ્કોહોલ (મિથેનોલ) પી લીધું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઝેરી કેમિકલ એક કેમિકલ પેકેજિંગ કંપનીના કર્મચારી પાસેથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હતું અને બુટલેગરોને વેચવામાં આવ્યું હતું.

Share This Article