આમિર ખાન, આર. માધવન, શરમન જોશી, કરીના કપૂર ખાન અને બોમન ઈરાની જેવા દિગ્ગજ કલાકારોના અભિનયથી સજ્જ ફિલ્મ “3 Idiots” ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. રાજકુમાર હિરાનીના શાનદાર દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ લગભગ 17 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009 માં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. હવે સિનેમાપ્રેમીઓ માટે એક ખૂબ જ રોમાંચક સમાચાર સામે આવ્યા છે કે ડાયરેક્ટર રાજકુમાર હિરાની સત્તાવાર રીતે આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે આ બીજા ભાગની વાર્તા અને તેના પાત્રો વિશે કેટલીક રસપ્રદ વિગતો શેર કરી છે.
‘3 ઇડિયટ્સ 2’ ના પાત્રો અંગે મોટો ખુલાસો
મોટા પડદા પર અદભૂત સફળતા મેળવ્યા બાદ, રાજકુમાર હિરાની હવે તેમની આગામી વેબ સિરીઝ “પ્રેમ પેડ્રો” દ્વારા OTT ની દુનિયામાં કદમ મૂકવા જઈ રહ્યા છે. આ સિરીઝથી તેમનો પુત્ર વીર હિરાની એક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં અરશદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં છે. હિરાનીએ સ્પષ્ટ કર્યું કે ‘3 ઇડિયટ્સ 2’ માં કોઈ નવા ચહેરા નહીં પરંતુ બધા જ જૂના અને લોકપ્રિય પાત્રો જોવા મળશે. તેમણે જણાવ્યું કે, આ વાર્તામાં 20 વર્ષનો સમયગાળો આગળ બતાવવામાં આવશે. પાત્રો હવે કોલેજમાં નહીં હોય, પરંતુ તેઓ પરિપક્વ થઈને નોકરી-ધંધો કરતા હશે, તેમના લગ્ન થઈ ગયા હશે અને બાળકો પણ હશે. તે તમામના જીવનમાં હવે શું નવું ઘટે છે, તે જોવું રસપ્રદ રહેશે.
સ્ક્રિપ્ટિંગનું કામ ચાલુ
રાજકુમાર હિરાનીએ વધુમાં જણાવ્યું કે તેઓ હાલમાં લેખક અભિજાત જોશી સાથે મુંબઈ બહાર એક શાંત જગ્યાએ ફિલ્મની પ્રારંભિક સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે. આ વાર્તાનો પ્રારંભિક ડ્રાફ્ટ સુપરસ્ટાર આમિર ખાનને સંભળાવવામાં આવ્યો છે અને તેને તે ખૂબ જ પસંદ પણ આવ્યો છે. આગામી 2 મહિનામાં આ સ્ક્રિપ્ટનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રેંચો, રાજુ અને ફરહાનની દોસ્તી પર બનેલી આ ફિલ્મ માત્ર ₹55 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી. તેણે ભારતીય બોક્સ ઓફિસ પર ₹202 કરોડથી વધુનું અને વિશ્વભરમાં કુલ ₹350 કરોડનું રેકોર્ડબ્રેક કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો હતો.