જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે “પાકિસ્તાને બંગડીઓ પહેરીને રાખી નથી અને તેમની પાસે પણ અણુબોંબ છે જે આપણા પર છોડી શકે છે.” તેમણે વધુમાં કહ્યું, “જો રક્ષા મંત્રી આમ કહે છે તો તેમ કરો. અમે રોકવાવાળા કોણ છીએ?”
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘જો સંરક્ષણ મંત્રીએ બોલવું હોય તો ભલે બોલે. આપણે તેમને રોકીએ એવી ક્યાં લાયકાત છે? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તેની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે એ પરમાણુ બોમ્બ આપણી ઉપર જ આવીને પડશે.’
એક મુલાકાતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ભારતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના લોકો ખુદ જ ભારતનો ભાગ બનવાનું કહેશે.” પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ચિંતા કરશો નહીં. PoK ભારતનું હતું, છે અને રહેશે જ.” આ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજુ બિસ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે, “ભારતની તાકાત વધી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને આપણી અર્થવ્યવસ્થા ઝડપથી દોડી રહી છે. હવે PoKમાં રહેતા આપણા ભાઈઓ અને બહેનો પોતે જ ભારતમાં જોડાવાની માંગ કરશે.” ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કેમ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ છે અને ભારતીય સંસદનો એક ઠરાવ છે જે જણાવે છે કે, PoK ભારત દેશનો જ એક ભાગ છે.