ગુજરાત સહિત દેશભરમાં હાલ ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળ્યા છે. નવી આગાહીઓ મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે.સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18થી 25 મે દરમિયાન ચોમાસું પહોંચી શકે છે, જ્યારે કેરળમાં તે 25 મેની આસપાસ પ્રવેશ કરવાની સંભાવના છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના ડેટા મુજબ, મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની નબળી સ્થિતિ અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે ચોમાસું વહેલું આવી શકે છે. જોકે, આ વર્ષે કુલ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલથી મેની શરૂઆત વચ્ચે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ શરૂ થવાની સાથે પવન અને ગાજવીજ સાથે અચાનક વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશી શકે છે.