સુરતમાંથી વધુ એક અંગદાન થયું છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડોંડા બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે તેમના અંગદાનનો ઉમદા નિર્ણય લીધો હતો. અશોકભાઈના અંગદાન થકી 7 લોકોને નવજીવન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ 32મું સફળ અંગદાન થયું છે.
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના નારી ગામના વતની અને હાલમાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આવકાર રેસીડેન્સીમાં 55 વર્ષીય અશોકભાઈ નાનુભાઈ ડોંડા પરિવાર સાથે રહેતા હતા. ગત 10 એપ્રિલના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદ ગયા હતા. જે બાદ વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહીં જાણતા તેઓ બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા હતા.
જે બાદ આશરે 2:30 વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા પર બેઠા અને ત્યાં જ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરો સર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફિઝિશિયન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (MD) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયાએ પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપી હતી. જે બાદ મૃતકના પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા, પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા તેમજ ડોંડા પરિવારના સભ્યો સહિત અન્ય હાજર સ્નેહીજનોએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતા અંગદાન માટે સંમતિ આપી હતી.
અંગદાનની સંમતિ મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદય, KD હોસ્પિટલમાં ફેફસા, લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલમાં તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ દર્દીના અંગદાન થકી કુલ 7 દર્દીઓને નવજીવન મળ્યું છે.
પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે.