દુનિયાનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર, જાણો મંદિરની વિશેષતાઓ?

Share this story

રાજસ્થાનના પાલી જિલ્લામાં ભગવાન શિવને સમર્પિત વિશ્વનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર તાજેતરમાં જ બનીને તૈયાર થઈ ગયું છે. મંદિરનું ભૂમિપૂજન વર્ષ ૧૯૯૫માં કરવામાં આવ્યું હતું. પરંતુ તેના નિર્માણ કાર્યમાં ૨૮ વર્ષ લાગ્યા હતા. આ મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા તારીખ ૧૯ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખૂબ જ ભવ્ય અને સંપૂર્ણ રીતે ભગવાન મહાદેવને સમર્પિત છે.

હિન્દુ ધર્મમાં ૐના નાદને ખૂબ જ પ્રભાવક માનવામાં આવે છે. તે પર્યાવરણને સકારાત્મક બનાવવામાં પણ મદદરૂપ છે. આ સાથે શાસ્ત્રોમાં ૐના ધ્વનિમાં અકાર, ઉકાર અને મકારનો સમાવેશ થાય છે. આ ધ્વનિ કુદરતી ગુણોને પણ પ્રતિબિંબિત કરે છે જે સત, રજ અને તમ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે ભગવાન મહાદેવને સમર્પિત ૐ આકારનું શિવ મંદિરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો અને મંદિરની ખાસ વિશેષતાઓ વિશે.

મંદિરની વિશેષતા

  • ૐ આકારના આ મંદિરના પ્રણેતા શ્રી અલખપુરી સિદ્ધપીઠ પરંપરાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર મહેશ્વરાનંદ મહારાજે 40 વર્ષ પહેલા આ મંદિર બનાવવાનું સ્વપ્ન જોયું હતું.
  • આ યોગ મંદિરનું પરિસર લગભગ ૨૫૦ એકરમાં છે. મંદિરમાં ૧૨ જ્યોતિર્લિંગ, ભગવાન શિવની ૧૦૦૮ મૂર્તિઓ અને ૧૦૮ ખંડ છે.
  • મંદિર નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું છે અને ઉત્તર ભારતીય વાસ્તુ કલાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિવ મંદિર હોવાની સાથે અહીં સાત ઋષિઓની સમાધિ પણ છે.
  • ૐ આકારના આ મંદિરનું શિખર ૧૩૫ ફૂટ ઊંચું છે. મંદિરની ટોચ પર એક શિવલિંગ છે અને તેના પર બ્રહ્માંડની આકૃતિ કોતરવામાં આવી છે.
  • મંદિરના નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારના લાલ પથ્થરો છે અને તેમનું આયુષ્ય ઘણા વર્ષો સુધીનું હોય છે.
  • આ સાથે આ યોગ મંદિરમાં નંદી મહારાજની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, અહીં સૂર્ય ભગવાનનું મંદિર પણ છે જે અષ્ટખંડમાં બનેલું છે.
  • આ શિવ મંદિર ચાર ભાગોમાં વહેંચાયેલું છે, તેનો એક ભાગ જમીનની અંદર (ભૂગર્ભ) છે અને બાકીના ત્રણ ભાગ જમીનની ઉપર બાંધવામાં આવ્યા છે. મંદિરની મધ્યમાં સ્વામી માધવાનંદની સમાધિ છે.

મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ હવે તેમાં રાખવામાં આવેલી મૂર્તિઓને પવિત્ર કરવામાં આવશે. મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમની ધાર્મિક વિધિ ૧૯ ફેબ્રુઆરીના રોજ થશે. મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા માટે ૧૦મી ફેબ્રુઆરીથી ૧૮મી ફેબ્રુઆરી સુધી શિવપુરાણની કથાનું પણ પાઠ કરવામાં આવશે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશભરમાંથી ઋષિ-મુનિઓ સહિત ભક્તો આવશે.

આ પણ વાંચો :-