Saturday, Jun 13, 2026

રશિયન તેલ મુદ્દે યુરોપને જયશંકરનો જડબાતોડ જવાબ, યુરોપની બેવડી નીતિનો કર્યો પર્દાફાશ

3 Min Read

વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિનું મજબૂત રીતે સમર્થન કર્યું છે. ફિનલેન્ડમાં યોજાયેલા ‘કુલતારંતા ટોક્સ’ દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાના મુદ્દે પશ્ચિમી દેશોના સવાલોનો જવાબ આપતાં તેમણે યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે યુરોપ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચે છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવે છે.

યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષા
પેનલ ચર્ચા દરમિયાન એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત ‘સહાનુભૂતિ’ અને તેલ ખરીદી અંગે પ્રશ્ન પૂછતા જયશંકરે તીખો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો વિશે ભારત માટે પણ આવું કહી શકતો હોત.” તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મન દેશોને હથિયારો પૂરા પાડતું રહ્યું છે.

તેલ ખરીદી પાછળનું વ્યવહારુ ગણિત
પોતાના કડક વલણને યથાવત રાખતા વિદેશ મંત્રીએ ઊર્જા સુરક્ષા અને દેશના બજારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, “હું તેલની કિંમત અને તેની ઉપલબ્ધતાના આધારે ખરીદી કરું છું. તે સમયે બજારમાં રશિયન તેલ વધુ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપિયન દેશો પોતે મધ્ય પૂર્વ માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે અમારો પરંપરાગત સપ્લાયર રહ્યો છે. પરિસ્થિતિએ અમને આ દિશામાં આગળ વધવા મજબૂર કર્યા હતા.”

અમેરિકાની નીતિઓ પર પણ નિશાન
વર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં એસ. જયશંકરે અમેરિકાના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વૈશ્વિક બજારમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા અને મોંઘવારી ઘટાડવા માટે ખુદ અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. જોકે બાદમાં પશ્ચિમી દેશોએ પોતાના હિતો અનુસાર પ્રતિબંધોની નીતિ અપનાવી હતી.

જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, “આવો કોઈ મોટો સિદ્ધાંત કે નૈતિકતાનો દેખાવ ન કરો. જ્યારે પોતાના હિતમાં હોય ત્યારે એક નીતિ અપનાવવી અને જરૂર ન રહે ત્યારે તેને બદલવી – અમે બધા સમજદાર છીએ અને આ રમતને સારી રીતે સમજીએ છીએ.”

આ નિવેદન દ્વારા વિદેશ મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો, ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લે છે અને કોઈપણ બાહ્ય દબાણ સામે પોતાના વલણ પર અડગ રહે છે.

Share This Article