સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સી બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી 28 વર્ષીય યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોડી રાત્રે કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી. શંકા જતાં લોકોએ કારની નજીક જઈ તપાસ કરતાં અંદર એક યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ઉત્રાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી લાશ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની ઓળખ ઉત્રાણના હળપતિ વાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રવિ ગત 6 જૂનથી ગુમ હતો અને પરિવાર સતત તેની શોધખોળ કરી રહ્યો હતો.
લાશ એકદમ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસ અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિત તમામ દિશામાં તપાસ કરી રહી છે.