ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિના વિસર્જનને લઈને થયેલી હિંસામાં એક યુવકના મોત બાદ ભારે હોબાળો થયો હતો. ઉપદ્રવીઓ હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ દુકાનોથી લઈને શોરૂમ સુધી ભારે તોડફોડ અને આગચંપી કરી હતી. જોકે ઉપદ્રવીઓને કાબૂમાં લેવા માટે ડીએમથી લઈને એસપી સુધી બધા જ રસ્તા પર ઉતરી રહ્યા છે. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના બાદ લખનૌથી STF ચીફ અમિતાભ યશ પણ બહરાઈચ પહોંચ્યા હતા. આ દરમિયાન તેનું એક અલગ જ રૂપ દેખાયું હતું.
ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશ બહરાઈચમાં હાથમાં પિસ્તોલ લઈને રસ્તા પર આવી ગયા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતે બદમાશોને રોકવા માટે પિસ્તોલ લઈને રસ્તા પર ચાલી રહ્યા છે તેમ જોવા મળી રહ્યું છે.
ડીએમ મોનિકા રાનીએ કહ્યું કે અમે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સોમવારે હિંસામાં માર્યા ગયેલા યુવકના મૃતદેહને લઈને ભીડ બહાર આવી ત્યારે પોલીસે તેમને રસ્તામાં રોકી દીધા. લોકોએ લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યારે વિરોધ હિંસક બન્યો, ત્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
બહરાઈચના મહસી તાલુકાના હરડી વિસ્તારમાં મહારાજગંજમાં 13 ઓક્ટોબરની સાંજે એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા નીકળી રહી હતી. આરોપ છે કે આ દરમિયાન ડીજે વગાડવાને લઈને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરૂ કરી દીધો અને દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગી હતી. તેમજ 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ રામ ગોપાલ મિશ્રાને મૃત જાહેર કર્યો હતો. રામ ગોપાલના મોતના સમાચાર ફેલાતા જ સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. લોકો રસ્તા પર આવી ગયા હતા અને તોડફોડ, પથ્થરમારો અને આગચંપી શરૂ કરી દીધી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો :-