મહારાષ્ટ્રમાં ફરી એકવાર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાનો કથિત મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે 28 જૂનના રોજ યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) રદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 27 જૂન 2026ની સવારે ભિવંડી વિસ્તારમાં કેટલાક લોકો પાસે પ્રશ્નપત્ર સંબંધિત માહિતી હોવાની ગુપ્ત બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
ભિવંડી પોલીસે શંકાસ્પદ સ્થળ પર દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રશ્નપત્રની સત્યતા ચકાસવા માટે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
તપાસમાં પ્રશ્નપત્રના સવાલો મળ્યા મેળ ખાતા
તપાસ દરમિયાન સામે આવ્યું કે શંકાસ્પદ લોકો પાસેથી મળેલા કેટલાક પ્રશ્નો TET જૂન-2026ની પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા. આ પ્રાથમિક પુરાવાઓના આધારે ભિવંડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અનેક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સીઓ સમગ્ર પેપર લીક રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
હવે પરીક્ષા ક્યારે યોજાશે?
કથિત પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લઈ મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે રવિવારે યોજાનારી TET પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા જરૂરી વહીવટી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આ ઘટનાથી લાખો ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે, જ્યારે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે.