Friday, Apr 17, 2026

પવન ખેરા મામલે સુપ્રીમ કોર્ટ સક્રિય: તેલંગાણા હાઈકોર્ટના નિર્ણય પર રોક, નોટિસ જારી

2 Min Read

સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસ નેતા પવન ખેરા વિરુદ્ધ આસામ સરકારની અરજી પર સુનાવણી કરી હતી અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા તેલંગાણા હાઈકોર્ટના અગાઉના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. સુનાવણી દરમિયાન આસામ સરકાર તરફથી રજૂઆત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે આરોપિત ગુનો આસામમાં થયો છે અને કેસ પણ ત્યાં જ નોંધાયો છે, તો પછી તેલંગાણા હાઈકોર્ટે જામીન કેમ આપ્યા તે પ્રશ્ન ઊભો થાય છે. કોર્ટે આ મુદ્દે પણ પૂછ્યું કે પવન ખેરાએ આસામ હાઈકોર્ટનો સંપર્ક કેમ નથી કર્યો.

સુપ્રીમ કોર્ટની બેન્ચ, જેમાં જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકર સામેલ હતા, તેમણે પવન ખેરાને નોટિસ જારી કરીને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. સાથે જ, તેલંગાણા હાઈકોર્ટના નિર્ણય પર તાત્કાલિક અસરથી સ્ટે લાગુ કરવામાં આવ્યો છે.

આ કેસની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્મા અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે અલગ-અલગ દેશોના પાસપોર્ટ છે અને વિદેશમાં અઘોષિત સંપત્તિ પણ છે. આ નિવેદનો બાદ રિંકી ભૂયાન શર્માએ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધાવી હતી.

આ કેસની તપાસ દરમિયાન આસામ પોલીસ પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પણ પહોંચી હતી. ત્યારબાદ ખેરાએ તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તે જામીન પર સ્ટે લગાવતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

Share This Article