દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અત્યારે ભારતના પ્રવાસે આવ્યાં છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયાથી આવેલા રાજ્ય મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોરિયાઈ રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ નવી દિલ્હી ખાતે આવેલા રાજઘાટે જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ હી ક્યૂંગ પણ ભારત આવ્યાં છે.
ભારતીય વિદેશ મંત્રાયલ દ્વારા રાષ્ટ્રપતિની આ ભારત યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યું છે. આજે પીએમ મોદી રાષ્ટ્રપતિ લી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. આ બેઠક દરમિયાન જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, એઆઈ અને સેમીકંડક્ટર અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા થઈ શકે છે.
કોરિયાઈ રાષ્ટ્રપતિ ગઈકાલે રાતે ભારત પહોંચ્યાં હતા. તે દરમિયાન દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્ય પ્રધાન હર્ષ મલ્હોત્રાએ તેમનું સ્વાગત કર્યું હતું. તે પછી વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પણ મુલાકાત થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારત અને કોરિયાના સંબંધો વધારે મજબૂત બને તે માટે આ યાત્રાને ખાસ ગણવામાં આવી રહી છે. આજે બપોરે પીએમ મોદી સાથે દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ ભોજન કરશે. તે પછી કોરિયાઈ રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે વાતચીત કરશે.