અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી.
ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. હાલમાં ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ ચાલી રહી છે અને ખામી દૂર થયા બાદ ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરશે.
બધા મુસાફરો સુરક્ષિત છે
આ અંગે માહિતી આપતાં, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “દોહા (DOH) થી હોંગકોંગ (HKG) જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતાં, ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ બપોરે ૨:૧૨ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વિમાનના ઉતરાણ માટે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. વિમાન બપોરે ૨:૩૨ વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું અને બપોરે ૨:૩૮ વાગ્યે સંપૂર્ણ કટોકટી હટાવી લેવામાં આવી. એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી નથી. SVPIA મુસાફરો અને સ્ટાફની સલામત કામગીરી અને સલામતી માટે પ્રતિબદ્ધ છે.”