Monday, Aug 17, 2026

બિહારમાં ગંગામાં 7 બાળકી ડૂબી, 3ના મૃતદેહ મળ્યા; એકની શોધખોળ ચાલુ

2 Min Read

પટનાના બાઢ અનુમંડળના બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણના સોમવારે ગંગા સ્નાન દરમિયાન 7 બાળકી ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોએ 3 બાળકીઓને બચાવી લીધી હતી, જ્યારે 4 બાળકી લાપતા થઈ હતી. હવે લાપતા થયેલી 4માંથી બબલી કુમારી, નંદની કુમારી અને રાધિકા કુમારીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે આરતી કુમારીની શોધખોળ હજુ ચાલુ છે.

ગંગા સ્નાન દરમિયાન એક પછી એક બાળકી ડૂબવા લાગી

ઘટના સોમવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે રાણીસરાય ગામ નજીક બની હતી. શ્રાવણના સોમવારને પગલે ગામની 7 બાળકી એકસાથે ગંગા સ્નાન કરવા ગઈ હતી. સ્નાન દરમિયાન એક બાળકી અચાનક ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગી હતી. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બાળકીઓ પણ પાણીમાં આગળ વધી હતી અને એક પછી એક ડૂબવા લાગી હતી.

બાળકીઓને ડૂબતી જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક નદીમાં ઉતરી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોએ 3 બાળકીઓને સુરક્ષિત બહાર કાઢી હતી, જ્યારે 4 બાળકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બખ્તિયારપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.

3ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

લાપતા થયેલી બબલી કુમારી, નંદની કુમારી અને રાધિકા કુમારીના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 14 વર્ષની આરતી કુમારીની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસ, સ્થાનિક તરવૈયાઓ અને પ્રશાસનની ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બચાવ કામગીરીમાં SDRFની ટીમને પણ જોડવામાં આવી છે.

ગેરકાયદે ખનનના કારણે ઊંડા ખાડા હોવાનો સ્થાનિકોનો દાવો

સ્થાનિક લોકોએ ગંગા નદીમાં કથિત ગેરકાયદે ખનનના કારણે નદી કિનારે અને પાણીની અંદર ઊંડા ખાડા સર્જાયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનો દાવો છે કે સ્નાન દરમિયાન બાળકીઓ આ ઊંડા ભાગમાં પહોંચી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, અકસ્માતનું વાસ્તવિક કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બખ્તિયારપુરના થાનાધ્યક્ષ દેવાનંદ શર્માના જણાવ્યા મુજબ, એક બાળકી ડૂબવા લાગ્યા બાદ તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બાળકીઓ પણ પાણીમાં આગળ વધી હતી અને એક પછી એક ડૂબવા લાગી હતી. સ્થાનિક લોકોએ 3 બાળકીઓને બચાવી લીધી હતી, જ્યારે બાકીની બાળકીઓની શોધખોળ હાથ ધરાઈ હતી.

Share This Article