નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભારત સરકારની મંજૂરી બાદ NEET-UG 2026ની રી-એક્ઝામની નવી તારીખ જાહેર કરી છે. હવે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG) પરીક્ષા રવિવાર, 21 જૂન 2026ના રોજ સમગ્ર દેશમાં ફરીથી યોજાશે. અગાઉ 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા દરમિયાન પેપર લીક થવાના આક્ષેપોને પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં દેશભરના આશરે 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. હવે નવી તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ફરી તૈયારીનો માહોલ જોવા મળી રહ્યો છે.
NEET પેપર લીક મામલે વિરોધ તેજ, CBIની કાર્યવાહી ચાલુ
NEET પેપર લીક મામલે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સતત એક્શનમાં જોવા મળી રહી છે. આ મુદ્દે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી વિનીત જોશી, સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમાર, NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ, CBSE ચેરપર્સન રાહુલ સિંહ તેમજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બીજી તરફ, NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓ અને રાજકીય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
CBI દ્વારા પણ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પાંચ આરોપીઓને 7 દિવસની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તપાસ દરમિયાન રાજસ્થાનના સીકરથી માંગી લાલ બિન્વાલ, જમવારામગઢના દિનેશ બિન્વાલ અને વિકાસ બિન્વાલ, હરિયાણાના ગુરુગ્રામના યશ યાદવ તેમજ નાસિકના શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે શુભમ ખૈરનારે જ યશ યાદવને પેપર પહોંચાડ્યું હતું.