Home Blog Page 96

સુરત ટેક્સટાઈલમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકોને મુક્ત કરાયા

સુરત શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની આડમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) અને રાજસ્થાન રાજ્ય બાળ આયોગની ટીમે આજે, 13 મેના રોજ પુણા પોલીસ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન શહેરની વિવિધ ફેક્ટરીઓમાંથી 84 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનથી આવેલી 20 સભ્યોની વિશેષ ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટીમો છેલ્લા એક મહિનાથી બાળકોને મજૂરીમાં ધકેલતા એજન્ટોના નેટવર્ક પર નજર રાખી રહી હતી. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના વતની હોવાનું જાણવા મળ્યું છે.

રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર 7 થી 14 વર્ષની વચ્ચે છે. ટેક્સટાઈલ યુનિટોમાં આ માસૂમ બાળકો પાસે સાડીના વધારાના દોરા કાપવા તેમજ જોખમી મશીનો ચલાવવા જેવા કામો કરાવવામાં આવતા હતા. અત્યંત ધૂળ અને અવાજવાળા વાતાવરણમાં બાળકો પાસે આખો દિવસ કામ કરાવીને મહિનાના માત્ર 5,000 થી 8,000 રૂપિયા આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ બાળકો ગરીબીને કારણે અભ્યાસ છોડીને એજન્ટોની જાળમાં ફસાયા હતા.

સુરતમાં બાળકો પાસે મજૂરી કરાવવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ 2019માં પણ બાળ આયોગે સુરતમાં દરોડા પાડીને ઉદયપુરના અનેક બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલમાં, પોલીસ અને બાળ આયોગ દ્વારા સંચાલકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાળકોના વાલીઓનો સંપર્ક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મુક્ત કરાયેલા તમામ બાળકોને વિશેષ બસ મારફતે સુરતથી રાજસ્થાન પરત રવાના કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી 89 લોકોના મોત

0

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. કેટલીક જગ્યાએ ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી, જ્યારે અન્યત્ર કરા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 89 લોકોના મોત થયા હતા. દિલ્હીથી ઉત્તરાખંડ સુધી, પ્રતિકૂળ હવામાને સમગ્ર પ્રદેશમાં વિનાશ વેર્યો હતો.

દિલ્હીથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બુધવારે, ઘણા વિસ્તારોમાં ભારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડ્યા હતા. આ આપત્તિમાં  ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 54 લોકો માર્યા ગયા છે. અચાનક હવામાનમાં થયેલા પલટાથી ભદોહી જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા અને રસ્તાઓ પર પડી ગયા, જેના કારણે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ ગયો.

હરદોઈ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ વચ્ચે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૌચાલયની દિવાલ તૂટી પડતાં એક છોકરીનું મોત થયું, જ્યારે વીજળી પડવાથી બીજી કિશોરીનું મોત થયું હતો. કાનપુર દેહાતના કાપદહાટ ગ્રામ પંચાયતના માજરા ભૈથ્રી ગામમાં વીજળી પડવાથી એક યુવતીનું મોત થયું હતું, જ્યારે આશરે 35 બકરીઓ પણ વીજળી પડવાથી ઘાયલ થઈ હતી.

ફતેહપુરમાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી, જેમાં પાંચ મહિલાઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા. આઠ પશુઓ પણ માર્યા ગયા હતા. આ ઘટનાઓ સદર અને ખાગા તહસીલ વિસ્તારોમાં બની હતી. કૌશાંબી જિલ્લાના સિરાથુ તહસીલ વિસ્તારના કેસરી ગામમાં, એક ભારે ઝાડની ડાળી પડી ગઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, તારાસૌરા ગામમાં જોરદાર વાવાઝોડા પછી લાગેલી ભીષણ આગને કારણે એક ડઝન ઘરોમાં આગ લાગી હતી, જેમાં એક ભેંસ બળીને ખાખ થઈ ગઈ હતી.

ચોટીલા નજીક ભીષણ અકસ્માત: ખાનગી બસમાં આગ લાગતાં 4નાં મોત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક ચોટીલા–રાજકોટ નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અથડામણ થતાં બસમાં આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ બસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે આશરે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જમ્મુ-કાશ્મીરમાં વિદેશી આતંકીઓને મદદ કરનારા સૈફુલ્લાહ ગ્રુપના બે સમર્થકોની ધરપકડ

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પોલીસે આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરતા સૈફુલ્લાહ ગ્રુપ સાથે જોડાયેલા બે કથિત ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ વિદેશી આતંકવાદીઓને મદદ પહોંચાડવા અને તેમને સુરક્ષિત ઠેકાણા ઉપલબ્ધ કરાવવામાં સામેલ હતા. સમગ્ર આતંકી નેટવર્કને ખતમ કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે માહિતી આપી કે સિંહપોરા-ચતરું વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો ઉપરાંત UAPA અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓ આતંકવાદીઓને દરેક પ્રકારની મદદ પહોંચાડી રહ્યા હતા.

કિશ્તવાડના SSPએ જણાવ્યું કે તપાસ અને ગુપ્તચર માહિતીના આધારે પોલીસે મશ્કૂર અહમદની ધરપકડ કરી હતી. મશ્કૂર અહમદ મોહમ્મદ રમઝાનનો પુત્ર છે અને સિંહપોરાના બેઘપોરા વિસ્તારનો રહેવાસી છે. તે શાળા શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણા તૈયાર કરાવવા અને તેમને સહકાર આપવા સીધો સંકળાયેલો હતો.

પોલીસનું કહેવું છે કે મશ્કૂર અહમદની ધરપકડ બાદ આતંકવાદીઓને મળતું મહત્વપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ નબળું પડ્યું છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી આતંકી નેટવર્કના સંપર્કમાં હતો. હવે પોલીસે તેના અન્ય સાથીદારો અને સંપર્કોની તપાસ પણ શરૂ કરી છે, જેથી સમગ્ર મોડ્યુલનો પર્દાફાશ કરી શકાય.

આ પહેલા આ જ કેસમાં મનીર અહમદ નામના બીજા એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. મનીર અહમદ બાંદેયાન નૈડગામ વિસ્તારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ તેના પર પણ વિદેશી આતંકવાદીઓને મદદ કરવાનો અને તેમને સુરક્ષિત સહયોગ પૂરો પાડવાનો આરોપ છે. બંને આરોપીઓની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નવસારીમાં ઈન્ડિગો હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામીને કારણે ખુલ્લા મેદાનમાં ઉતારાયું

0

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ગામ નજીક આજે ઈન્ડિગો કંપની સાથે સંકળાયેલા એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ સમસ્યા ઉભી થતાં પાયલોટે સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટરને ખુલ્લા મેદાનમાં સુરક્ષિત રીતે ઉતારવાનો નિર્ણય લીધો હતો.

ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી જણાતા પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવી નજીકના વિસ્તારને પસંદ કરી સલામત લેન્ડિંગ કર્યું હતું. બંને પાયલોટની સતર્કતા અને સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હેલિકોપ્ટર અચાનક ગામ નજીક ઉતરતાં સ્થાનિક લોકોમાં ઉત્સુકતા સાથે થોડો ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, જેથી લોકોની ભીડને નિયંત્રિત કરી શકાય.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. હાલ ટેકનિકલ નિષ્ણાતોની ટીમ હેલિકોપ્ટરમાં આવેલી ખામીનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ફોલ્ટને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે.

વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ અને સ્ટાફને પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે જાહેર પરિવહન, કાર-પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થાથી પરિવહન ખર્ચ અને ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે.

વડાપ્રધાનની “રાષ્ટ્ર પ્રથમ, સુવિધા કરતાં કર્તવ્ય મહાન” અપીલને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો, વહીવટી કર્મચારીઓ અને સંલગ્ન કોલેજોના આચાર્યોને સાત મહત્વના મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વ્યક્તિગત વાહનોના બદલે જાહેર પરિવહન અને કાર-પૂલિંગનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સમય અને સંસાધનોની બચત માટે યુનિવર્સિટીએ વહીવટી તથા સંશોધન પરામર્શમાં ટેકનોલોજીના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે. જ્યાં શક્ય હોય ત્યાં રૂબરૂ બેઠકના બદલે ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ મિટિંગ્સ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીના મતે આ પગલાથી વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે તેમજ મુસાફરીમાં થતા સમય અને ખર્ચની પણ બચત થશે.

પરિપત્રમાં “વોકલ ફોર લોકલ”ના મંત્રને આત્મસાત કરવાની પણ અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને કેમ્પસ તેમજ વ્યક્તિગત જીવનમાં વિદેશી ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક બનાવટની વસ્તુઓની ખરીદી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના મતે આ પહેલથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ વેગ મળશે.

ખેડૂતો આનંદો, ખરીફ પાક માટે ટેકાના ભાવમાં વધારો

0

કેન્દ્ર સરકારે બુધવારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. આ માટે ખેડૂતોને નાણાકીય વર્ષ 2026-27 માટે ₹260,000 કરોડ આપવામાં આવશે. આ નિર્ણય બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કુલ ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી.

કેબિનેટે ખરીફ પાક માટે MSP વધાર્યો છે. આ માટે ₹260,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

સુરતના SEZમાં 2 હજાર કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ, DRIએ મુખ્ય આરોપીની ધરપકડ કરી

કેન્દ્ર સરકારની ‘મેક-ઇન-ઇન્ડિયા’ અને SEZ નીતિઓનો દુરુપયોગ કરીને સુરતમાં કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનો મોટો પર્દાફાશ થયો છે. DRIની વાપી ટીમે સુરત SEZમાં કાર્યરત એક જવેલર્સ ફર્મ સાથે જોડાયેલા કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ હર્ષદ ગાંધીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ સમગ્ર કૌભાંડનો આંક અંદાજે 2,000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વિદેશમાંથી નીચી ગુણવત્તાવાળા હીરાની આયાત કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેની કિંમત કાગળ પર અસલી મૂલ્ય કરતાં અનેકગણી વધારે દર્શાવીને એક્સપોર્ટ કરવામાં આવતો હતો. આ રીતે હીરાની ઓવર વેલ્યુએશન કરીને કસ્ટમ ડ્યુટીમાં ગેરરીતિ કરવામાં આવતી હતી તેમજ સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભો મેળવવામાં આવતા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર હીરાની કિંમત વાસ્તવિક મૂલ્ય કરતાં લગભગ 50 ગણી વધારે બતાવવામાં આવતી હતી.

DRIની પૂછપરછમાં ખુલાસો થયો કે મોન્ટુ ગાંધી ડમી પાર્ટનર્સના નામે અનેક પેઢીઓ ચલાવતો હતો અને પોતે પડદા પાછળ રહી સમગ્ર નાણાકીય વ્યવહાર સંભાળતો હતો. વિદેશી ખરીદદારો સાથેના સોદા અને ટ્રાન્ઝેક્શનનું સંચાલન પણ તે જ કરતો હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી નજર રાખ્યા બાદ DRIએ ડિજિટલ પુરાવાના આધારે તેની ધરપકડ કરી હતી.

આરોપીને બાદમાં સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પંજાબમાં બોમ્બ ધમકીથી હડકંપ: CM ભગવંત માનના ઘર અને ભાજપ મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી

0

પંજાબમાં આતંકી હુમલાની આશંકા વચ્ચે ફરી એકવાર બોમ્બ ધમકીનો મામલો સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. મળતી માહિતી મુજબ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડને પણ નિશાન બનાવવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ મારફતે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ધમકીભર્યા ઈ-મેલમાં પંજાબ ભાજપ મુખ્યાલય ઉપરાંત દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળ્યા બાદ પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ પંજાબના જાલંધર જિલ્લામાં BSFના પંજાબ ફ્રન્ટિયર હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ અમૃતસરના ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર નજીક પણ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. બંને વિસ્ફોટોમાં થોડા કલાકોનું જ અંતર હતું.

પ્રથમ વિસ્ફોટ જાલંધરમાં રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ અમૃતસરમાં રાત્રે લગભગ 11 વાગ્યે નોંધાયો હતો. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રાજ્યની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

અમદાવાદમાં 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી: 11 મહિનાથી કામ કરતી સેલ્સ ગર્લ્સ ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારના એક જ્વેલર્સ શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગઈ છે.આરોપી હર્ષિદા શેટ્ટીએ શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં જ દાગીના છુપાવ્યા હતા અને માલિકે રજા આપી હોવાનું જૂઠું બોલી શો-રૂમમાંથી બહાર ગઈ હતી. નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી નયનનગર સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલના અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘આભૂષણ’ નામનો સોના-ચાંદીનો શો-રૂમ ધરાવે છે. આ શો-રૂમમાં મેનેજર અને સેલ્સમેન સહિત કુલ 19 લોકોનો સ્ટાફ કાર્યરત છે. 11 મે 2026ના રોજ બપોરે જ્યારે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા ત્યારે શો-રૂમમાં હાજર સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ આ ચોરીને અંજામ આપ્યો હતો. હર્ષિદા છેલ્લા 11 મહિનાથી આ શો-રૂમમાં નોકરી કરતી હતી.

ચોરીની ઘટનાની જાણ સાંજે 5 વાગ્યે થઈ હતી જ્યારે દર્શનભાઈ શો-રૂમ પર પરત ફર્યા હતા. એક ગ્રાહક ખરીદી માટે આવ્યા ત્યારે સ્ટાફના કર્મચારી કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. આ બાબતે તપાસ કરતા સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી ગેરહાજર જણાઈ હતી. અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે હર્ષિદા 4.30 વાગ્યે માલિકની રજા લઈને ઇમરજન્સી કામ હોવાનું કહી નીકળી ગઈ છે. દર્શનભાઈએ કોઈ રજા આપી ન હોવાથી શંકા જતા તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરા તપાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં હર્ષિદા શેટ્ટી સાંજે 4થી 4.30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે આવેલા કબાટમાંથી સોનાના દાગીના કાઢી પોતાના ખિસ્સામાં મુકતી જોવા મળી હતી. ત્યારબાદ તે બીજા માળે આવેલા સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને ચહેરા પર સ્મિત સાથે બહાર નીકળી ગઈ હતી. ઘટના બાદ તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

શો-રૂમમાં સ્ટોકની તપાસ કરતા સોનાની ચેઇન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ 1.66 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી યુવતીએ સોશિયલ મીડિયા પર ‘Stay Loyal’નું સ્ટેટસ રાખ્યું હતું. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધી ફરાર સેલ્સ ગર્લની શોધખોળ શરૂ કરી છે.