પંજાબમાં આતંકી હુમલાની આશંકા વચ્ચે ફરી એકવાર બોમ્બ ધમકીનો મામલો સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. મળતી માહિતી મુજબ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડને પણ નિશાન બનાવવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ મારફતે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ધમકીભર્યા ઈ-મેલમાં પંજાબ ભાજપ મુખ્યાલય ઉપરાંત દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળ્યા બાદ પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ પંજાબના જાલંધર જિલ્લામાં BSFના પંજાબ ફ્રન્ટિયર હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ અમૃતસરના ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર નજીક પણ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. બંને વિસ્ફોટોમાં થોડા કલાકોનું જ અંતર હતું.
પ્રથમ વિસ્ફોટ જાલંધરમાં રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ અમૃતસરમાં રાત્રે લગભગ 11 વાગ્યે નોંધાયો હતો. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રાજ્યની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા.