Home Blog Page 93

સુરત નવી સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પારુલ વડગામાની નિયુક્તિ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી સ્તરે સામે આવેલી ગંભીર બેદરકારીઓ બાદ રાજ્ય સરકાર દ્વારા કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. ધારીત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરવામાં આવી છે. હવે સુરત સિવિલ હોસ્પિટલની જવાબદારી ડૉ. પારુલ વડગામાને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે સોંપવામાં આવી છે.

આ કાર્યવાહી પાછળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની તાજેતરની સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત મુખ્ય કારણ બની છે. મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન હોસ્પિટલની કામગીરીની વાસ્તવિક સ્થિતિ બહાર આવી હતી. વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગો અને અન્ય સેવાઓમાં ગંદકી, અયોગ્ય વ્યવસ્થા, દર્દીઓને લાંબી રાહ તેમજ સુવિધાઓની અછત જેવી અનેક ગંભીર ખામીઓ મંત્રીએ નજરે જોઈ હતી.

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બનાવવામાં આવેલી આ મોટી સરકારી હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ જોવા મળતા મંત્રીએ તંત્રની કામગીરી પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓ અંગે પણ મંત્રીને અનેક ફરિયાદો મળી હતી. સમગ્ર મામલે તેમણે સ્થળ પર જ અધિકારીઓને કડક શબ્દોમાં જવાબદારી યાદ અપાવી હતી અને તાત્કાલિક સુધારા લાવવાના નિર્દેશ આપ્યા હતા.

મંત્રીની મુલાકાત બાદ આરોગ્ય વિભાગે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ સ્તરે ચર્ચા કરી હતી. અંતે નિર્ણય લેવાયો કે વહીવટી શિથિલતા અને દેખરેખમાં થયેલી ખામીઓને ધ્યાનમાં રાખીને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી જરૂરી છે. તેના પરિણામે ડૉ. ધારીત્રી પરમારને સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ પદેથી હટાવી વડોદરા સરકારી મેડિકલ કોલેજમાં ડીન તરીકે બદલી કરવામાં આવી છે.

સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં નવી વ્યવસ્થાને ગતિ આપવા માટે ડૉ. પારુલ વડગામાને તાત્કાલિક અસરથી ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે કે નવા વહીવટ હેઠળ હોસ્પિટલની કામગીરીમાં ઝડપથી સુધારો આવશે અને દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે.

આ ઘટનાને કારણે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ ચેતવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રમાં કાર્યરત અધિકારીઓ હવે વધુ સજાગ બન્યા છે અને હોસ્પિટલ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે દબાણ વધ્યું છે. આરોગ્ય વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે દર્દી સેવા અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં કોઈપણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં.

હવે સૌની નજર નવી નિમણૂક પામેલા ઇન્ચાર્જ ડૉ. પારુલ વડગામા પર રહેશે કે તેઓ સુરત સિવિલ હોસ્પિટલની હાલની ખામીઓને કેટલી ઝડપથી સુધારીને વ્યવસ્થાને ફરીથી મજબૂત બનાવી શકે છે.

સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશનમાં શોક, પ્રિયદર્શન સ્વામીનું સારવાર દરમિયાન નિધન

સુરત ના લસકાણા સ્થિત સ્વામિનારાયણ મિશન મંદિરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 26 એપ્રિલ 2026ના રોજ તેમણે ઊંઘની ગોળીઓનું સેવન કર્યું હતું, ત્યારબાદ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ 15 મે 2026ના રોજ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ મામલે લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો મામલો હોવાનું સામે આવ્યું છે, પરંતુ મૃત્યુ પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ એ સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સમિતિએ જણાવ્યું છે કે ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમજ મોબાઈલ કોલ ડિટેઈલ્સ, મેસેજ, સીસીટીવી ફૂટેજ અને મંદિરના સંતો તથા ટ્રસ્ટીઓના નિવેદનો લેવામાં આવે. જો કોઈ વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવ્યું હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

પ્રિયદર્શન સ્વામી લાંબા સમયથી મંદિરમાં સેવા આપતા હતા અને હરિભક્તોમાં તેમની વિશેષ ઓળખ હતી. તેમના નિધનથી ભક્તોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આ ઘટના સંપ્રદાયના સંતો તથા ભક્તોમાં ચિંતાનો વિષય બની છે.

નિતિન ગડકરીને ધમકી અને 100 કરોડની ખંડણી માંગનાર જયેશ પુજારીને 5 વર્ષની સજા

0

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખંડણી માંગનાર જયેશ પુજારીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસેથી ફોન પર 100 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દોષિત ઠરેલા જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે 5 વર્ષની સજા સંભળાવી છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આતંકી જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે પાંચ વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયમાં ફોન કરીને જયેશ પુજારીએ 100 કરોડ અને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી નહીં આપવાની સ્થિતિમાં નિતિન ગડકરીને બોમ્બ વિસ્ફોટ દ્વારા મારી નાખવાની ધમકી પણ જયેશ પુજારીએ આપી હતી.

હત્યાના એક કેસમાં જયેશ પુજારી હાલમાં કર્ણાટકની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સજા દરમિયાન જ તેણે જેલમાંથી મોબાઇલ ફોન મારફતે ગડકરીના કાર્યાલયમાં ફોન કર્યો હતો. વિવિધ કલમો હેઠળ જયેશ પુજારીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા છે અને તેઓ પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પુણે માં જણાવ્યું હતું કે તેમના 90 ટકા કામ સમાજસેવા સાથે જોડાયેલા છે, તેથી તેમને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત અનુભવાતી નથી.

નિતિન ગડકરીએ પુણ્ય ભૂષણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું રાજકારણી છું, પરંતુ મારું 90 ટકા કામ સામાજિક સેવા સાથે જોડાયેલું છે. તેથી મને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત લાગતી નથી.”

તમને જણાવી દઈએ કે નિતિન ગડકરીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી કરી હતી. તેમને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વર્ષ 2014થી સતત કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે અને પોતાની કાર્યશૈલી તથા વ્યવહારને કારણે વિરોધીઓ તરફથી પણ સન્માન મેળવે છે.

અમદાવાદથી સુરત હવે વધુ ઝડપથી પહોંચશો! એક્સપ્રેસ વે રૂટથી મુસાફરી થશે સસ્તી અને ઝડપી

અમદાવાદ-સુરત વચ્ચે બસમાં મુસાફરી કરતાં પેસેન્જર્સ માટે કામના સમાચાર છે. અમદાવાદ-સુરત બસો હવે એક્સપ્રેસ વે પર દોડતાં દોઢ કલાક ઓછો લાગશે અને ભાડામાં પણ ઘટાડો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા વચ્ચે ગુજરાત એસ.ટી. નિગમે મુસાફરોને ભાડામાં ઘટાડો અને સમયની બચતની બેવડી ભેટ આપી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસ ટી નિગમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પ્રીમિયમ વોલ્વો બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી અંતર ઘટતા મુસાફરોને સીધો ફાયદો થશે. અમદાવાદ-સુરતની એસટી બસો નવા એક્સપ્રેસ વે પર દોડતા મુસાફરી સમયમાં 60 મિનિટથી લઈ 90 મિનિટ સુધીની બચત થશે. અમદાવાદ-સુરત રૂટ પર દરરોજ સરેરાશ 12 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જેમનો સીધો જ આ લાભ થશે.

અત્યાર સુધી ભરૂચ-અંકલેશ્વરનો ટ્રાફિક જામ વોલ્વોના સમયપાલનને ખોરવતો હતો. એક્સપ્રેસ-વે બસો દોડતા સુરત રૂટ પર 6 કલાકની મુસાફરી ઘટીને 4થી 4.5 કલાક થશે. અમદાવાદથી સુરતનું વોલ્વો ભાડું 748 રૂપિયાથી ઘટાડીને 687 રૂપિયા કરાયું છે, જેનાથી મુસાફરોને 61 રૂપિયાની રાહત મળશે. તેમજ મુસાફરીનો દોઢ કલાક જેટલો સમય બચશે.

ગુજરાતમાં ખાખી પર કલંક! મહિલા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મનો આરોપ, હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

0

ગુજરાતના રાજકોટ માંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજકોટ પોલીસે એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે, જેના પર પોતાની હિંદુ પાડોશી મહિલા સાથે છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ, બ્લેકમેઇલ, ધમકી અને હેરાનગતિના ગંભીર આરોપો લાગ્યા છે. પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી તેની નાની દીકરીની સામે જ અશ્લીલ હરકતો કરતો હતો અને કપડા ઉતારી નગ્ન થઈ જતો હતો. આ ઘટનાઓથી બાળકી એટલી ભયભીત થઈ ગઈ હતી કે તે પોતાની માતા પાસે જતાં પણ ડરવા લાગી હતી.

જાણો શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં બનેલી આ ઘટના પોલીસ વિભાગ માટે મોટો કલંક સમાન બની છે. યુનિવર્સિટી પોલીસે આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ ટ્રાફિક બ્રાંચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી છેલ્લા દોઢ વર્ષથી 31 વર્ષની પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો અને તેની પાંચ વર્ષની બાળકી સાથે પણ અશ્લીલ ચેડાં કરતો હતો.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન લગભગ નવ વર્ષ પહેલા થયા હતા. જાન્યુઆરી 2025માં તે પોતાની દીકરી સાથે માતાના ઘરે રહેવા ગઈ હતી. જ્યાં કપડાં સીવડાવવા જતી ટેલરની દુકાન પર તેની ઓળખ ઇમરાન હબીબભાઈ રાઉમા નામના પોલીસ કર્મચારી સાથે થઈ હતી, જે હાલમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદ મુજબ એક દિવસ રાત્રે લગભગ 12 વાગ્યે આરોપી ઘરના દરવાજા ખોલીને સીધો રૂમમાં ઘૂસી આવ્યો હતો. તેણે મહિલાને માર માર્યો, તેના કપડાં ઉતાર્યા અને ફોટા-વિડિયો બનાવ્યા હતા. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને જો કોઈને આ અંગે કહેશે તો ફોટા અને વિડિયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે આરોપી પોલીસ યુનિફોર્મ પહેરીને પણ તેની સાથે દુષ્કર્મ કરતો હતો. સમય જતા ઇમરાન રાઉમાનો ત્રાસ વધી ગયો હતો, જેના ડરથી મહિલા પોતાના સાસરીયા ખાતે જવા મજબૂર બની હતી. એટલું જ નહીં, આરોપીએ મહિલા સાથે અપ્રાકૃતિક કૃત્ય પણ કર્યું હોવાનો આરોપ છે અને તેના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પણ બનાવ્યું હતું.

ફરિયાદ મુજબ જ્યારે આરોપી સાસણ ગીર ખાતે બંદોબસ્ત માટે ગયો હતો ત્યારે પણ તેણે મહિલાને બળજબરીથી ત્યાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું અને પાંચ વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેડાં કર્યા હતા.

અંતે જ્યારે મહિલાનું જીવન દુષ્કર બની ગયું ત્યારે તેણે આરોપી ઇમરાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સોનું-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી સોનું ₹18 હજાર સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ

0

દેશભરમાં આજે 15 મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા મુજબ એક કિલો ચાંદીના ભાવમાં ₹19,693નો મોટો ઘટાડો થયો છે, જેના કારણે ચાંદીનો ભાવ ₹2.68 લાખ પ્રતિ કિલો પર આવી ગયો છે. ગુરુવારે ચાંદીનો ભાવ ₹2.87 લાખ પ્રતિ કિલો હતો.

બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં પણ ₹3,000નો ઘટાડો નોંધાયો છે અને સોનાનો ભાવ હવે ₹1.58 લાખ પર પહોંચી ગયો છે. આ પહેલા 16 એપ્રિલે સોનાનો ભાવ ₹1.61 લાખ હતો. સોનું તેના ઓલ ટાઈમ હાઈથી માત્ર 106 દિવસમાં ₹17,962 સસ્તું થયું છે, જ્યારે ચાંદી ₹1,18,433 ઘટી છે. 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ ₹1.76 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹3.86 લાખ પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો.

રવિવારે કર્ણાટક અને તેલંગાણામાં યોજાયેલી સભાઓ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી.

સોનું ઓલ ટાઈમ હાઈથી ₹18 હજાર સસ્તું
આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જ્યારે 29 જાન્યુઆરી 2026ના રોજ તે ઓલ ટાઈમ હાઈ ₹1.76 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો. હાલ સોનાનો ભાવ તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ ₹18 હજાર ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદીમાં ભારે કડાકો
ચાંદીના ભાવમાં સોનાની સરખામણીએ વધુ ઘટાડો નોંધાયો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ ₹2.30 લાખ પ્રતિ કિલો હતો, જે 29 જાન્યુઆરી 2026ના રોજ વધીને ₹3.86 લાખ સુધી પહોંચી ગયો હતો. પરંતુ છેલ્લા 106 દિવસમાં ચાંદી ₹1.18 લાખ સસ્તી થઈને હવે ₹2.68 લાખ પ્રતિ કિલો પર આવી ગઈ છે.

PM મોદીએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની કરી અપીલ
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “એક સમય એવો હતો જ્યારે દેશ પર સંકટ આવે ત્યારે લોકો દેશહિતમાં પોતાનું સોનું દાનમાં આપી દેતા હતા. આજે દાન કરવાની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે નક્કી કરવું પડશે કે આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પ્રસંગ હોય તો પણ સોનાના ઘરેણાં નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર આપી રહી છે.”

પ્રધાનમંત્રીએ આ અપીલ ભારતના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે કરી હતી. ભારત પોતાના ઉપયોગનું લગભગ 99 ટકા સોનું વિદેશમાંથી આયાત કરે છે. વર્ષ 2025-26 દરમિયાન સોનાના આયાત બિલનો આંકડો અંદાજે ₹6.4 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. વિદેશમાંથી આયાત થતી વસ્તુઓના કુલ ખર્ચમાં સોનાનો હિસ્સો લગભગ 9 ટકા છે.

PCOS હવે PMOS: મહિલાઓની આ ગંભીર બીમારીને મળ્યું નવું નામ, બદલાશે સારવારની રીત

0

મહાન લેખક વિલિયમ શેકસ્પિયર ના પ્રસિદ્ધ નાટક ‘રોમિયો એન્ડ જુલિયેટ’નો એક ડાયલોગ ખૂબ જ લોકપ્રિય છે. “નામમાં શું રાખ્યું છે?” પરંતુ હવે એક મેડિકલ સ્થિતિના નામને લઈને જ મહત્વપૂર્ણ અભ્યાસ સામે આવ્યો છે. જાણીતી મેડિકલ જર્નલ The Lancet માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર હવે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)નું નામ બદલીને પોલીએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ (PMOS) રાખવામાં આવ્યું છે. આ ફેરફારનો સીધો અસર વિશ્વભરની લગભગ 17 કરોડ મહિલાઓ પર પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બદલાવથી હવે આ બીમારીની ઓળખ, તપાસ અને સારવાર વધુ ઝડપથી થઈ શકશે.

17 કરોડ મહિલાઓ પર કેમ પડશે અસર?
વિશ્વભરમાં અંદાજે 17 કરોડ મહિલાઓ PCOSથી પ્રભાવિત છે, તેથી આ નામ બદલાવનો અસર મોટા પાયે જોવા મળશે. ‘દ લાન્સેટ’માં પ્રકાશિત અભ્યાસ મુજબ દર 8માંથી 1 મહિલા આ સમસ્યાનો સામનો કરી રહી છે. આ બીમારી મહિલાઓના હોર્મોન, ફર્ટિલિટી અને સમગ્ર સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

નામ બદલવાનો નિર્ણય કેમ લેવાયો?
ઘણા વર્ષોની ચર્ચા અને સંશોધન બાદ PCOSનું નામ બદલીને PMOS રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જૂના નામના કારણે ઘણીવાર આ બીમારીની ઓળખ અને સારવારમાં મોડું થતું હતું. પરિણામે અનેક મહિલાઓને સમયસર સારવાર મળી શકતી નહોતી અને લાંબા સમય સુધી સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે લાંબા સમય સુધી PCOSને માત્ર ગાયનેકોલોજિકલ અથવા ઓવરી સંબંધિત બીમારી માનવામાં આવતી હતી. પરંતુ હવે અનેક સંશોધનો અને પુરાવાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિમાં ઇન્સુલિન, એન્ડ્રોજન, ન્યુરો-એન્ડોક્રાઇન અને ઓવેરિયન હોર્મોનમાં થતી ગડબડીઓ પણ સામેલ હોય છે.

નિદાનમાં મોડું કેમ થતું હતું?
અભ્યાસ મુજબ PCOSના નિદાન માટે ઓવરીમાં સિસ્ટ હોવું જરૂરી માનવામાં આવતું હતું. જોકે ઘણા સમયથી એવું જોવા મળ્યું છે કે દરેક મહિલામાં સિસ્ટ હોવું જરૂરી નથી. ઘણી મહિલાઓમાં સિસ્ટ વગર પણ આ સમસ્યા જોવા મળે છે. આ કારણે યોગ્ય સમયે નિદાન અને સારવારમાં વિલંબ થતો હતો.

‘એન્ડોક્રાઇન’ અને ‘મેટાબોલિક’ શબ્દો કેમ ઉમેરાયા?
સંશોધકોના જણાવ્યા અનુસાર PMOSમાં ‘એન્ડોક્રાઇન’ અને ‘મેટાબોલિક’ શબ્દો ઉમેરવાનો મુખ્ય હેતુ તેના વિવિધ લક્ષણોને વધુ સારી રીતે રજૂ કરવાનો છે. કારણ કે આ સ્થિતિ એન્ડોક્રાઇન, મેટાબોલિક, પ્રજનન, માનસિક અને ત્વચા સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલી છે. તેથી નિદાન વખતે આ તમામ પરિબળોને ધ્યાનમાં લેવું જરૂરી બન્યું છે.

હવે નિદાન માટે કયા લક્ષણોને આધાર માનવામાં આવશે?
20 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓમાં નીચેના લક્ષણોમાંથી ઓછામાં ઓછા બે લક્ષણો હોવા જરૂરી રહેશે, જ્યારે 10થી 19 વર્ષની કિશોરીઓમાં પ્રથમ બે લક્ષણો ફરજિયાત ગણાશે.

ઓલિગો એનોવ્યુલેશન

  • ક્લિનિકલ અને બાયોકેમિકલ હાઇપરએન્ડ્રોજેનિઝમ
  • અલ્ટ્રાસાઉન્ડમાં પોલિસિસ્ટિક ઓવરી અથવા AMHનું ઊંચું સ્તર
  • મેટાબોલિક લક્ષણો જેમ કે સ્થૂલતા, અસામાન્ય બ્લડ શુગર, ટાઇપ-2 ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલનું અસામાન્ય સ્તર, લિવર સંબંધિત સમસ્યાઓ, હૃદયરોગ અને સ્લીપ એપ્નિયા
  • પ્રજનન સંબંધિત લક્ષણો જેમ કે અનિયમિત માસિક, ગર્ભધારણમાં મુશ્કેલી, ઇન્ફર્ટિલિટી અને એન્ડોમેટ્રિયલ કેન્સર
  • માનસિક લક્ષણો જેમ કે ડિપ્રેશન, ચિંતા, જીવનની નબળી ગુણવત્તા અને ઇટિંગ ડિસઓર્ડર
  • ત્વચા સંબંધિત લક્ષણો જેમ કે મુખાસા, વાળ પડવાના પેચ અને ચહેરા પર વધારે વાળ આવવા

PCOSનું નામ બદલીને PMOS રાખવામાં આવવું એ દર્શાવે છે કે આ માત્ર ઓવરી અથવા સિસ્ટ સુધી મર્યાદિત બીમારી નથી, પરંતુ તેની પાછળ અનેક શારીરિક અને હોર્મોનલ પરિબળો જવાબદાર છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવા નામથી મહિલાઓમાં વધુ યોગ્ય અને સમયસર નિદાન શક્ય બનશે, જે સારવાર અને મેનેજમેન્ટ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આકરો વધારો, સુરતના અનેક પેટ્રોલ પંપ પર ‘સ્ટોક નથી’ના બોર્ડ

દેશ સહિત ગુજરાતમાં આજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.99નો વધારો થતાં તેનો નવો ભાવ ₹97.43 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09નો વધારો થતા તેનો ભાવ ₹93.29 થયો છે. અગાઉ ડીઝલનો ભાવ ₹90.11 હતો. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગ્યે અમલમાં આવતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર વહેલી સવારે જ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અચાનક અમલમાં આવેલા આ વધારાના કારણે વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોને સીધી આર્થિક અસર સહન કરવી પડી હતી. લોકોમાં ભાવવધારાને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.

સુરતના પેટ્રોલ પંપ પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ
આ બધાની વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હતી. શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ એવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરાના એક પેટ્રોલ પંપ પર સરકારી વાહનમાં ટેમ્પો દ્વારા ડીઝલ ભરાવી લઈ જતું દૃશ્ય પણ જોવા મળ્યું હતું.

સુરતના વરાછા, કતારગામ, પર્વત પાટિયા, જહાંગીરપુરા, ડિંડોલી, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં નવા સ્ટોકની આવક ન થવાને કારણે અનેક પેટ્રોલ પંપો પર ઇંધણ ખૂટી ગયું હતું. પરિણામે પંપ સંચાલકોએ ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ લગાવી પંપ બંધ રાખ્યા હતા.

આ દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સામાન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇંધણની અછત અને વધેલા ભાવને કારણે શહેરમાં લોકોમાં ચિંતા અને નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો.

ધાર ભોજશાળા કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, પરિસરને મંદિર જાહેર કરી હિંદુ પક્ષને પૂજાનો અધિકાર

0

ધાર ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદ મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હિંદુ પક્ષના વકીલોના જણાવ્યા અનુસાર અદાલતે ભોજશાળા પરિસરને હિંદુ મંદિર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જૈન સમાજ અને મુસ્લિમ પક્ષની અરજીઓને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે, જેના પર અદાલતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અદાલતના નિર્ણય બાદ ભોજશાળા પરિસરને દેવી વાગ્દેવીના મંદિર તરીકે માન્યતા આપવામાં આવી છે. નિર્ણય બાદ ધાર જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર હાઈ અલર્ટ પર છે.

1200 પોલીસકર્મીઓ તૈનાત
અદાલતના ચુકાદા બાદ ધાર જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. STF સહિત આશરે 1200 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને શહેરના દરેક વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

ASIએ કોર્ટમાં રજૂ કરી હતી રિપોર્ટ
આ પહેલા ASI દ્વારા કોર્ટમાં 2100 પાનાંની વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. અદાલતે આ રિપોર્ટને મહત્વપૂર્ણ માન્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે પોતાનો અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો.

98 દિવસ સુધી ચાલેલા સર્વે બાદ તૈયાર કરાયેલી આ રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. રિપોર્ટ મુજબ ખોદકામ દરમિયાન મૂર્તિઓ, સિક્કાઓ અને અનેક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે પરમારકાળીન ઈમારતના પાયાના પથ્થરો પર બાદમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન મળેલા થાંભલા અને સ્થાપત્યના આધારે એવું જણાયું કે આ માળખું પહેલા મંદિરનો ભાગ હતું, જેને બાદમાં મસ્જિદના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર પરિસરમાં ચારેય દિશામાં કુલ 188 થાંભલા મળી આવ્યા હતા, જેમાં 106 ઊભા અને 82 આડા થાંભલા સામેલ હતા. આ થાંભલાઓની રચનાથી એવું સંકેત મળે છે કે તેઓ મૂળ મંદિર સ્થાપત્યનો ભાગ હતા. રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે થાંભલાઓ પર બનેલી દેવી-દેવતાઓ અને માનવ આકૃતિઓને બાદમાં સાધનો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનું નિવેદન
ધાર-ભોજશાળા કેસ અંગે વકીલ વિષ્ણુ શંકર જૈનએ જણાવ્યું હતું કેઇન્દોર હાઇકોર્ટએ ઐતિહાસિક ચુકાદો આપતાં 7 એપ્રિલ 2003ના ASIના આદેશને આંશિક રીતે રદ કર્યો છે. સાથે જ અદાલતે હિંદુ પક્ષને પૂજા-અર્ચનાનો અધિકાર આપ્યો છે અને ભોજશાળા પરિસરને રાજા ભોજની સંપત્તિ તરીકે માન્યતા આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી મૂર્તિને પરત લાવવા અંગે અદાલતે સરકારને આ મામલે વિચારણા કરવા માટે નિર્દેશ આપ્યો છે. સાથે જ મુસ્લિમ પક્ષને પણ સરકાર સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત અદાલતે સરકારને મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન ફાળવવા અંગે વિચારવા માટે પણ જણાવ્યું છે.

વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર અદાલતે હિંદુ પક્ષને પૂજા-અર્ચનાનો અધિકાર આપ્યો છે અને સરકારને સમગ્ર સ્થળના સંચાલન પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યા છે. અગાઉ ASI દ્વારા આપવામાં આવેલા નમાજ અદા કરવાનો અધિકાર આપતા આદેશને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે અને હવે ત્યાં માત્ર હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂજા-અર્ચના જ થશે.

સુમુલ ડેરીની મોટી જાહેરાત: સુરત-તાપીના પશુપાલકોને સુમુલ ડેરી 425 કરોડ રૂપિયાનું બોનસ આપશે

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ પશુપાલકોને બોનસ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદમાં આવી ગયા છે. સુમુલ ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાનું નક્કી કર્યું છે. સુમુલ ડેરીના વહીવટકર્તાઓનો દાવો છે કે, આ ભાવ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીસીયુ ફેટફેર પેટે અંદાજિત 30 રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવામાં આવ્યા હતા. હવે તેમાં 120 રૂપિયા બોનસ ઉમેરાતા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1,020 રૂપિયા મળશે.

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયના પગલે કુલ 425 કરોડ રૂપિયાની આ માતબર રકમ પશુપાલકોને બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે. આગામી જૂન મહિનામાં પશુપાલકોના બેંક ખાતામાં આ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. સંસ્થાના મજબૂત નેતૃત્વ અને પારદર્શક વહીવટને કારણે આટલું મોટું બોનસ આપવું શક્ય બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.

સુમુલના પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન જયેશ દેલાડએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આઝાદી કાળથી વડીલોના આશીર્વાદથી શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ આપીને સુમુલે સાબિત કર્યું છે કે તે પશુપાલકોના હિત માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે 1000 રૂપિયાથી વધુનો ભાવ મળવો એ પશુપાલકો માટે ગૌરવની વાત છે.

ભારત સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને સુમુલ ડેરી સાર્થક કરી રહી હોવાનું જણાવતા જયેશ દેલાડએ ઉમેર્યું કે, અમૂલની સ્થાપના બાદ દક્ષિણ ગુજરાતમાં સુમુલનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. આજે અઢી લાખથી વધુ પરિવારોનું ગુજરાત ચલાવતી આ સંસ્થાની જે પ્રગતિ પાછળ પશુપાલકોએ પુરૂ પાડેલું મજબૂત નેતૃત્વ છે. આ ભાવફેર બોનસ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.