ધાર ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદ મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હિંદુ પક્ષના વકીલોના જણાવ્યા અનુસાર અદાલતે ભોજશાળા પરિસરને હિંદુ મંદિર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જૈન સમાજ અને મુસ્લિમ પક્ષની અરજીઓને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે, જેના પર અદાલતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અદાલતના નિર્ણય બાદ ભોજશાળા પરિસરને દેવી વાગ્દેવીના મંદિર તરીકે માન્યતા આપવામાં આવી છે. નિર્ણય બાદ ધાર જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર હાઈ અલર્ટ પર છે.
1200 પોલીસકર્મીઓ તૈનાત
અદાલતના ચુકાદા બાદ ધાર જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. STF સહિત આશરે 1200 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને શહેરના દરેક વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.
ASIએ કોર્ટમાં રજૂ કરી હતી રિપોર્ટ
આ પહેલા ASI દ્વારા કોર્ટમાં 2100 પાનાંની વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. અદાલતે આ રિપોર્ટને મહત્વપૂર્ણ માન્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે પોતાનો અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો.
98 દિવસ સુધી ચાલેલા સર્વે બાદ તૈયાર કરાયેલી આ રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. રિપોર્ટ મુજબ ખોદકામ દરમિયાન મૂર્તિઓ, સિક્કાઓ અને અનેક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે પરમારકાળીન ઈમારતના પાયાના પથ્થરો પર બાદમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન મળેલા થાંભલા અને સ્થાપત્યના આધારે એવું જણાયું કે આ માળખું પહેલા મંદિરનો ભાગ હતું, જેને બાદમાં મસ્જિદના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર પરિસરમાં ચારેય દિશામાં કુલ 188 થાંભલા મળી આવ્યા હતા, જેમાં 106 ઊભા અને 82 આડા થાંભલા સામેલ હતા. આ થાંભલાઓની રચનાથી એવું સંકેત મળે છે કે તેઓ મૂળ મંદિર સ્થાપત્યનો ભાગ હતા. રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે થાંભલાઓ પર બનેલી દેવી-દેવતાઓ અને માનવ આકૃતિઓને બાદમાં સાધનો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનું નિવેદન
ધાર-ભોજશાળા કેસ અંગે વકીલ વિષ્ણુ શંકર જૈનએ જણાવ્યું હતું કેઇન્દોર હાઇકોર્ટએ ઐતિહાસિક ચુકાદો આપતાં 7 એપ્રિલ 2003ના ASIના આદેશને આંશિક રીતે રદ કર્યો છે. સાથે જ અદાલતે હિંદુ પક્ષને પૂજા-અર્ચનાનો અધિકાર આપ્યો છે અને ભોજશાળા પરિસરને રાજા ભોજની સંપત્તિ તરીકે માન્યતા આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી મૂર્તિને પરત લાવવા અંગે અદાલતે સરકારને આ મામલે વિચારણા કરવા માટે નિર્દેશ આપ્યો છે. સાથે જ મુસ્લિમ પક્ષને પણ સરકાર સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત અદાલતે સરકારને મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન ફાળવવા અંગે વિચારવા માટે પણ જણાવ્યું છે.
વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર અદાલતે હિંદુ પક્ષને પૂજા-અર્ચનાનો અધિકાર આપ્યો છે અને સરકારને સમગ્ર સ્થળના સંચાલન પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યા છે. અગાઉ ASI દ્વારા આપવામાં આવેલા નમાજ અદા કરવાનો અધિકાર આપતા આદેશને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે અને હવે ત્યાં માત્ર હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂજા-અર્ચના જ થશે.