સુરત ના લસકાણા સ્થિત સ્વામિનારાયણ મિશન મંદિરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 26 એપ્રિલ 2026ના રોજ તેમણે ઊંઘની ગોળીઓનું સેવન કર્યું હતું, ત્યારબાદ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ 15 મે 2026ના રોજ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ મામલે લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો મામલો હોવાનું સામે આવ્યું છે, પરંતુ મૃત્યુ પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ એ સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સમિતિએ જણાવ્યું છે કે ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમજ મોબાઈલ કોલ ડિટેઈલ્સ, મેસેજ, સીસીટીવી ફૂટેજ અને મંદિરના સંતો તથા ટ્રસ્ટીઓના નિવેદનો લેવામાં આવે. જો કોઈ વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવ્યું હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
પ્રિયદર્શન સ્વામી લાંબા સમયથી મંદિરમાં સેવા આપતા હતા અને હરિભક્તોમાં તેમની વિશેષ ઓળખ હતી. તેમના નિધનથી ભક્તોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આ ઘટના સંપ્રદાયના સંતો તથા ભક્તોમાં ચિંતાનો વિષય બની છે.







