Home Blog Page 82

કેરળમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CM પિનરાઈ વિજયન સાથે જોડાયેલા 10 ઠેકાણાઓ પર દરોડા

0

કેરળના રાજકારણમાં ફરી એકવાર ભારે ખળભળાટ મચ્યો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે જોડાયેલા સ્થળો સહિત કુલ 10 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ મામલો માત્ર સામાન્ય નાણાકીય ગેરરીતિનો નથી, પરંતુ તેમાં રાજકીય સત્તા, કોર્પોરેટ જોડાણો અને કરોડોની શંકાસ્પદ લેવડદેવડનું મોટું નેટવર્ક બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ સતત વિજયન પરિવાર પર આક્ષેપો કરી રહ્યો હતો. હવે EDની એન્ટ્રી બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે. ખાસ કરીને પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની IT કંપની ‘એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આરોપ છે કે કંપનીને કોચીન મિનરલ્સ એન્ડ રુટાઇલ લિમિટેડ (CMRL) તરફથી કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ તેના બદલામાં કોઈ સેવા આપવામાં આવી નહોતી.

આ સમગ્ર કેસની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. વર્ષ 2019માં ઇનકમ ટેક્સ વિભાગે CMRLના સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સામે આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2024માં કેન્દ્ર સરકારે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) ને Exalogic Solutions, CMRL અને કેરળ સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે જોડાયેલા મામલાની તપાસ સોંપી હતી.

SFIOએ ગયા વર્ષે એપ્રિલમાં વીણા વિજયન વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. તપાસમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2018-19થી સતત ત્રણ વર્ષ સુધી Exalogic કંપનીને કરોડોની ચૂકવણી કરવામાં આવી, પરંતુ કંપનીએ વાસ્તવમાં કોઈ સેવા પૂરી પાડી નહોતી.

EDએ મની લોન્ડરિંગ કેસ નોંધ્યો
માર્ચ 2025માં EDએ આ સમગ્ર મામલે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ હવે તપાસને વધુ વેગ આપતા રાજ્યના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. કેરળના રાજકારણમાં આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ કેસ વધુ મોટા ખુલાસા કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

ફ્રાન્સમાં મહિલાને 487 પુરુષો પાસે મોકલનાર પૂર્વ પ્રેમીને 25 વર્ષની જેલ સજા

ફ્રાન્સમાં એક હચમચાવી નાખે એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર સાત વર્ષ સુધી માનસિક અને શારીરિક યાતનાઓ આપવાનો તેમજ દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે આરોપીએ તેને ઓનલાઈન મળેલા અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. 42 વર્ષીય મહિલાના જણાવ્યા અનુસાર, ગિલૌમ બકી નામના તેના પૂર્વ પ્રેમીએ વર્ષો સુધી તેના પર માનસિક રીતે કાબૂ જમાવ્યો હતો.

મહિલાના જણાવ્યા મુજબ, વર્ષ 2015થી 2022 દરમિયાન આરોપીએ તેને પોતાના વશમાં રાખવા માટે ‘સેડોમાસોકિસ્ટિક’ પ્રકારની હિંસક અને અશ્લીલ પ્રવૃત્તિઓમાં ધકેલી હતી. શરૂઆતમાં મહિલાને લાગ્યું હતું કે આ સામાન્યથી અલગ પ્રકારનો સંબંધ હશે, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે તે યૌન શોષણ અને હિંસાનો ભોગ બની રહી છે. મહિલાએ જણાવ્યું કે જો તે સંબંધ તોડી દેવાનો પ્રયાસ કરતી તો આરોપી તેના અંગત વીડિયો જાહેર કરવાની ધમકી આપતો હતો.

આરોપીએ અનેક ગંભીર કૃત્યો કબૂલ્યા
આરોપી ગિલૌમ બકીએ ગળું દબાવવું, શરીર દાઝાવવું અને અન્ય અમાનવીય કૃત્યો કર્યા હોવાની વાત સ્વીકારી છે. જોકે, તેણે દાવો કર્યો કે આ બધું બંનેની સહમતિથી થતું હતું અને તેને લાગતું નહોતું કે તે મહિલાને નુકસાન પહોંચાડી રહ્યો હતો.

આ સિવાય આરોપીએ મહિલાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યાની વાત પણ કબૂલી હતી. તેણે સ્વીકાર્યું કે મહિલાને મિત્રો, સહકર્મીઓ અને અજાણ્યા લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મહિલાએ અદાલતમાં જણાવ્યું કે, “487 પુરુષોએ મારી સાથે દુષ્કર્મ કર્યું હતું.”

અદાલતે 25 વર્ષની જેલની સજા ફટકારી
ચાર બાળકોની માતા બનેલી પીડિતાએ જણાવ્યું કે શરૂઆતમાં અત્યાચાર ધીમે ધીમે શરૂ થયો હતો. પહેલા તેને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. મહિલાએ અદાલતમાં કહ્યું, “મને લાગતું હતું કે હું અંદરથી સંપૂર્ણ રીતે તૂટી રહી છું.” સતત થયેલા અત્યાચારના કારણે હવે તે ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી છે.

અભિયોજન પક્ષે આરોપીને આજીવન કેદની સજા આપવાની માંગ કરી હતી જેથી તે ભવિષ્યમાં બીજી કોઈ મહિલા સામે આવા ગુનાઓ ન કરી શકે. જોકે, અદાલતે ગિલૌમ બકીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. અદાલતે કહ્યું છે કે સજાનો ઓછામાં ઓછો બે તૃતિયાંશ સમય પૂર્ણ કર્યા બાદ જ તેને પેરોલ માટે પાત્ર ગણવામાં આવશે.

2013ના દુષ્કર્મ કેસમાં આસારામને હાઈકોર્ટથી રાહત નહીં, આજીવન કેદની સજા યથાવત

0

સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. રાજસ્થાન હાઈકોર્ટે તેમના આશ્રમમાં મહિલાના દુષ્કર્મ કેસમાં આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી છે. જોકે, આ જ કેસમાં સહ-આરોપી તરીકે સામેલ બે આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે.

માહિતી મુજબ, 2013માં આસારામના આશ્રમમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયાનો કેસ નોંધાયો હતો. આ મામલે જોધપુરની સ્પેશિયલ POCSO કોર્ટે એપ્રિલ 2018માં આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

ત્યારે આસારામને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f), 376D, 370(4), 342, 506 અને 120B હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સાથે જ POCSO એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ પણ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

હવે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ આસારામની સજા યથાવત રાખી છે. જોકે ગેંગ રેપ અને આપરાધિક ષડયંત્ર સંબંધિત કેટલાક આરોપોને લઈને અલગ નિર્ણય નોંધાયો છે. સાથે જ POCSO એક્ટ હેઠળની દોષિત ઠરાવવાની બાબતમાં પણ ફેરફાર નોંધાયો છે.

આ કેસમાં સહ-આરોપી શરદ અને શિલ્પીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. બંને પર આરોપ હતો કે તેમણે પીડિતાની આસારામ સાથે મુલાકાત કરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને આપરાધિક ષડયંત્રમાં સામેલ હતા. અગાઉ તેમને 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી.

મોંઘવારીનો વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ અદાણી CNGના ભાવમાં પણ વધારો

0

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. અદાણી સીએનજીનો નવો ભાવ 88.02 રૂપિયા થયો છે. 16 મેના રોજ પણ 2.25 રૂપિયાનો વધારો કરાયો હતો. 2026માં સીએનજીમાં 8.6 રૂપિયાનો વધારો થયો છે.

મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી દરેક વ્યક્તિ ચિંતિત છે, ત્યારે CNG પણ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. CNGના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે દિલ્હીમાં CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે. ગઈકાલ સુધી CNGનો ભાવ 81.09 હતો, પરંતુ હવે 2 રૂપિયાના વધારા પછી, CNG દિલ્હીમાં 83.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે અન્ય શહેરના કિંમત વિશે જાણીએ..

કયાં શહેરમાં સીએનજીની શું છે કિંમત જાણીએ

  • દિલ્હી: ₹83.09 પ્રતિ કિલો
  • નોઈડા: ₹91.70 પ્રતિ કિલો
  • ગાઝિયાબાદ: ₹102.90 પ્રતિ કિલો
  • મુંબઈ: ₹81.00 પ્રતિ કિલો
  • કોલકાતા: ₹93.50 પ્રતિ કિલો
  • ચેન્નાઈ: ₹91.50 પ્રતિ કિલો
  • બેંગ્લોર: ₹90.00 પ્રતિ કિલો
  • હૈદરાબાદ: ₹97.00 પ્રતિ કિલો
  • ગુજરાત: ₹88.02 પ્રતિ કિલો
  • પુણે: ₹92.50 પ્રતિ કિલો

આજે 26 મેના રોજ ૨ રૂપિયાના વધારા પહેલા, 23 મે, શનિવારના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો થયો હતો. શરૂઆતમાં કિંમત ₹80.૦9હતી, જે હવે વધીને ₹81.09 થઈ ગઈ છે. એ નોંધવું જોઈએ કે મે મહિનામાં અત્યાર સુધીમાં સીએનજીના ભાવ ચાર વખત વધ્યા છે.

આ સતત વધતા ભાવ પાછળના કારણોને સમજવું મહત્વપૂર્ણ છે. ગેસ વિતરણ કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિબળોને કારણભૂત ગણાવ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, વિદેશી વિનિમય બજારમાં ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલરના મજબૂત થવાથી પરિસ્થિતિ જટિલ બની છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે ગેસ આયાત કરવાનો ખર્ચ પણ વધે છે. આ આંતરરાષ્ટ્રીય દબાણની સીધી અસર સ્થાનિક બજારમાં છૂટક ભાવ પર પડી છે. આ જ કારણ છે કે કંપનીને તેના વધતા ખર્ચને સરભર કરવા માટે વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી રહી છે.

દેશભરમાં ગરમીનો હાહાકાર, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

0

ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. બે ડઝનથી વધુ શહેરોમાં તાપમાન 44થી 48 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસ દરમિયાન આકરી લૂ અને રાત્રે પણ ઊંચા તાપમાનને કારણે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીથી નીચે ન જતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ વચ્ચે અલ નીનોની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

બાંદા અને બ્રહ્મપુરીમાં 47 ડિગ્રીથી વધુ તાપમાન
ઉત્તર પ્રદેશના બાંદા અને મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં તાપમાન 47.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઓનલાઈન વેધર પ્લેટફોર્મ્સ અનુસાર અહીં અનુભવાતું તાપમાન 48 ડિગ્રીથી પણ વધુ હતું. એર મોનિટરિંગ પ્લેટફોર્મ AQI ના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશનું ઈટાવા 48 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, હમીરપુર, આગ્રા અને ઓરાઈ સહિતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું હતું. હવામાન વિભાગ અનુસાર 45 ડિગ્રીથી વધુ તાપમાન હીટવેવની સ્થિતિ ગણાય છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો કહેર
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ ભારે ગરમીનો માહોલ રહ્યો હતો. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના ઓછામાં ઓછા 20 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકોનું જીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે હરિયાણાના સિરસામાં 46 ડિગ્રી અને રાજસ્થાનના અલ્વરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની ચેતવણી આપી છે.

અલ નીનોની અસરથી ખેડૂતોમાં ચિંતા
યુરોપમાં ભારે ગરમી ફેલાવ્યા બાદ હવે અલ નીનોની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. બદલાતા વેધર પેટર્નને કારણે તાપમાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોના કૃષિ વિભાગોને ખરીફ પાકોને અલ નીનોની અસરથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

ખાસ કરીને ચોખા, અનાજ અને મકાઈના પાક પર સૌથી વધુ જોખમ ઉભું થયું છે. જો દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડશે તો ઉભો પાક બળી જવાની ભીતિ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે બીજ ભંડાર અને જળ વ્યવસ્થાપન જેવી યોજનાઓ અમલમાં મૂકવા તાકીદ કરવામાં આવી છે. જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ચીનનો દબદબો ઘટાડવા ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ખનિજ કરાર, ભારતને મળશે મોટો ફાયદો

0

ભારત અને અમેરિકાએ મંગળવારે મહત્વપૂર્ણ ખનિજોનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુથી સહકાર માટે એક મુખ્ય માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ભારત અને અમેરિકા દ્વારા આ પગલું વૈશ્વિક ટેકનોલોજી સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ સામગ્રી, દુર્લભ પૃથ્વી તત્વો અને વ્યૂહાત્મક ધાતુઓ પર ચીનના નિકાસ નિયંત્રણો અંગે વધતી ચિંતાઓ વચ્ચે આવ્યું છે.

ક્વાડ સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન મહત્વપૂર્ણ ખનિજોનો પુરવઠો, ખાસ કરીને તેમના ખાણકામ અને પ્રક્રિયા સંબંધિત સુનિશ્ચિત કરવા માટે એક માળખા પર નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની હાજરીમાં બોલતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “આ એક સમયસર અને મહત્વપૂર્ણ પગલું છે.”

ફ્રેમવર્ક શા માટે મહત્વપૂર્ણ છે જયશંકર જણાવ્યું
એસ જયશંકરે કહ્યું કે, “આ માળખાનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ પૃથ્વી સપ્લાય ચેઇનના સમગ્ર સ્પેક્ટ્રમમાં અમારા સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે, જેમાં ખાણકામ, પ્રક્રિયા, રિસાયક્લિંગ અને સંબંધિત રોકાણોનો સમાવેશ થાય છે.”

વિદેશ મંત્રીએ જણાવ્યું કે આ માળખું સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવશે, પ્રોજેક્ટ્સના ધિરાણને સરળ બનાવશે અને મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ ધાતુઓના અસરકારક સંચાલનને સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું, “આ પડકારો અને તકો બંનેથી ભરેલી દુનિયામાં આપણા સહયોગની ઊંડાઈનો બીજો પુરાવો છે.”

તેમના સંબોધનમાં, રુબિયોએ યુએસ અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો, બંને રાષ્ટ્રોના રાષ્ટ્રીય હિત માટે તેના મહત્વપૂર્ણ મહત્વ પર ભાર મૂક્યો. કરાર પર હસ્તાક્ષરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.”

‘પેક્સ સિલિકા’ પહેલનો સંદર્ભ
માર્કો રુબિયોએ જણાવ્યું, “આપણે બે રાષ્ટ્રો છીએ જેમના વ્યૂહાત્મક હિતો આપણા નવીનતા-સંચાલિત અર્થતંત્રો માટે આવશ્યક મહત્વપૂર્ણ ખનિજો અને પુરવઠા શૃંખલાઓની વિશ્વસનીય, લાંબા ગાળાની પહોંચ સુનિશ્ચિત કરવામાં રહેલ છે.” તેમણે યુએસ સમર્થિત ‘પેક્સ સિલિકા’ પહેલનો પણ ઉલ્લેખ કર્યો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું, “તેનો પાયો 4 ફેબ્રુઆરીએ નાખવામાં આવ્યો હતો જ્યારે તમે વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ‘ક્રિટીકલ મિનરલ્સ ફોરમ’માં અમારી સાથે જોડાયા હતા.” તેમણે કહ્યું કે ભારતે ‘પેક્સ સિલિકા’ પર હસ્તાક્ષર કર્યા પછી તેને વેગ મળ્યો.

ગીરના જંગલમાં 5 સિંહોના રહસ્યમય મોતથી ચકચાર, વન વિભાગ કારણ શોધવામાં વ્યસ્ત

0

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓને નિરાશ કરતા માઠા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 3 બાળ સિંહ અને અન્ય 2 પુખ્ત સિંહના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે વનવિભાગમાં દોડધામ અને ખળભળાટ મચી ગયો છે.

ભેદી સંજોગોમાં સિંહોના મોતથી ખળભળાટ
તાજેતરમાં જ આ રીતે 5 સિંહોના ભેદી સંજોગોમાં મોત નિપજતા ગીર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એક સાથે પાંચ સિંહોના મોત થતાં તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ ભેદી મોત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પશુ તબીબોએ આ મોત પાછળ ‘બેબેસીયા’ નામનો જીવલેણ રોગચાળો જવાબદાર હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે.

કેનેડા-અમેરિકામાં ખંડણી રેકેટ ચલાવતી ‘ફોર બ્રધર્સ’ ગેંગ સામે મોટી કાર્યવાહી, 17 આરોપીઓ ઝડપાયા

કેનેડા અને અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયાઈ મૂળના ઉદ્યોગપતિઓને નિશાન બનાવી ખંડણી રેકેટ ચલાવતી ‘ફોર બ્રધર્સ’ નામની ગેંગ સામે કેનેડાની પીલ રીજિનલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાંચ મહિનાની લાંબી તપાસ અને ઓપરેશન બાદ પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના આરોપીઓ ભારતીય મૂળના હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ કેનેડા અને અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયન વેપારીઓને ધમકાવીને પૈસા ઉઘરાવતી હતી. જો કોઈ વેપારી ખંડણી ચૂકવવાનો ઇન્કાર કરે તો તેના ઘર, દુકાન અથવા ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવતું હતું અને આગ લગાવી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. ગેંગ ખાસ કરીને બ્રેમ્પટન, મિસિસૌગા, કેલેડોન તેમજ બ્રિટિશ કોલંબિયાના વિસ્તારોમાં સક્રિય હતી. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભારતીય અને પંજાબી મૂળના લોકો વસવાટ કરે છે.

આ સમગ્ર કેસની તપાસ ડિસેમ્બર 2025માં શરૂ કરવામાં આવી હતી. ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ, કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સી, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને કેનેડાની નાણાકીય એજન્સી FINTRAC સહિતની અનેક એજન્સીઓએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા 17 શંકાસ્પદો કુલ 24 ગુનાહિત ઘટનાઓ સાથે જોડાયેલા છે, જેમાંથી 16 ઘટનાઓ સીધી રીતે ‘ફોર બ્રધર્સ’ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ સામે મળીને કુલ 106 ગુનાઓ નોંધાયા છે.

મોદી સરકારે કોક્રોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીતને સોંપવાની અમેરિકાને વિનંતી કરી ?

0

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે અમેરિકા પાસે ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રમુખને ભારતને સોંપવાની માંગ કરી છે. જોકે, ભારત સરકારે આ વાયરલ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતો આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવેલો છે અને તે તદ્દન ખોટો છે. પીઆઈબીએ અસલ વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે વિદેશ પ્રધાન એસ. જયશંકરે આવું કોઈ નિવેદન આપ્યું નથી.

આ એડિટેડ વીડિયોમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને કથિત રીતે એવું કહેતા દર્શાવવામાં આવ્યા હતા કે અમેરિકામાં કેટલાક ‘નોન-સ્ટેટ એક્ટર્સ’ ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને તેમના દ્વારા ‘કોક્રોચ જનતા પાર્ટી’ ઓપરેટ થઈ રહી છે. સાથે જ તેમાં એવો પણ ખોટો દાવો કરાયો હતો કે ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ CJP નેતૃત્વને સોંપવાની માંગ કરી છે. પરંતુ વાસ્તવમાં, અસલ વીડિયોમાં વિદેશ પ્રધાન ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથેની તેમની વાતચીત અંગે નિવેદન આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ‘કોક્રોચ જનતા પાર્ટી’ હાલમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વાસ્તવમાં આ કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ તેને એક વ્યંગાત્મક (satirical) ઓનલાઈન આંદોલન અથવા કેમ્પેઈન તરીકે જોવામાં આવે છે. આ ઝુંબેશ મુખ્યત્વે બેરોજગારી, મોંઘવારી અને યુવાનોને લગતા અન્ય મહત્વના મુદ્દાઓ ઉઠાવવાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને મોટી સંખ્યામાં યુવાનો સોશિયલ મીડિયા પર આ ઓનલાઈન કેમ્પેઈન સાથે જોડાઈ રહ્યા છે.

ગુજરાતમાં ભીષણ ગરમી યથાવત્, 10 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી

દેશમાં હવામાન ફરી એકવાર બદલાવાનું છે. હવામાન વિભાગ અનુસાર, 26 મે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 13 રાજ્યો માટે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. લોકોને અત્યંત સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન, પહાડી રાજ્યોમાં લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. મુસાફરી કરતા પહેલા IMD અપડેટ વાંચવાનું ભૂલશો નહીં, નહીં તો તમે ફસાઈ શકો છો.

પૂર્વીય રાજ્યોમાં વીજળી અને વાવાઝોડા સાથે વાવાઝોડા વિનાશ લાવી શકે છે. કેટલાક રાજ્યોમાં કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. દક્ષિણ બિહાર અને આસપાસના વિસ્તારોમાં નીચા ઉષ્ણકટિબંધીય સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે.

મધ્ય આસામ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ પણ હાજર છે. તો, ચાલો દેશના બાકીના ભાગો માટે આવતીકાલની હવામાન આગાહી પર એક નજર કરીએ. અમે તમને જિલ્લાવાર વરસાદની આગાહી પણ પ્રદાન કરીશું.

ગુજરાતમાં ભીષણ ગરમી યથાવત્
ગુજરાતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી હતી.

13 રાજ્યો માટે વરસાદ અને તોફાનની ચેતવણી જારી
હવામાન વિભાગ અનુસાર 13 રાજ્યો માટે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, આસામ અને ત્રિપુરા. 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ અને પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો અને માછીમારોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.