ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. બે ડઝનથી વધુ શહેરોમાં તાપમાન 44થી 48 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસ દરમિયાન આકરી લૂ અને રાત્રે પણ ઊંચા તાપમાનને કારણે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીથી નીચે ન જતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ વચ્ચે અલ નીનોની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.
બાંદા અને બ્રહ્મપુરીમાં 47 ડિગ્રીથી વધુ તાપમાન
ઉત્તર પ્રદેશના બાંદા અને મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં તાપમાન 47.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઓનલાઈન વેધર પ્લેટફોર્મ્સ અનુસાર અહીં અનુભવાતું તાપમાન 48 ડિગ્રીથી પણ વધુ હતું. એર મોનિટરિંગ પ્લેટફોર્મ AQI ના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશનું ઈટાવા 48 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, હમીરપુર, આગ્રા અને ઓરાઈ સહિતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું હતું. હવામાન વિભાગ અનુસાર 45 ડિગ્રીથી વધુ તાપમાન હીટવેવની સ્થિતિ ગણાય છે.
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો કહેર
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ ભારે ગરમીનો માહોલ રહ્યો હતો. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના ઓછામાં ઓછા 20 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકોનું જીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે હરિયાણાના સિરસામાં 46 ડિગ્રી અને રાજસ્થાનના અલ્વરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની ચેતવણી આપી છે.
અલ નીનોની અસરથી ખેડૂતોમાં ચિંતા
યુરોપમાં ભારે ગરમી ફેલાવ્યા બાદ હવે અલ નીનોની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. બદલાતા વેધર પેટર્નને કારણે તાપમાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોના કૃષિ વિભાગોને ખરીફ પાકોને અલ નીનોની અસરથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
ખાસ કરીને ચોખા, અનાજ અને મકાઈના પાક પર સૌથી વધુ જોખમ ઉભું થયું છે. જો દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડશે તો ઉભો પાક બળી જવાની ભીતિ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે બીજ ભંડાર અને જળ વ્યવસ્થાપન જેવી યોજનાઓ અમલમાં મૂકવા તાકીદ કરવામાં આવી છે. જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.