Home Blog Page 72

નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં ભીષણ આગ, પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી

0

શુક્રવારે નોઈડાના સેક્ટર 75માં આવેલા આઈવી કાઉન્ટી એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, જેમાં બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. આગને કારણે સોસાયટીમાં ગભરાટ ફેલાયો હતો.

એક રહેવાસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મદદ માટે અપીલ કરી હતી. અહેવાલો અનુસાર ટાવર B2 ના 12મા માળે આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગ્નિશામકોએ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.

આ ઘટના ઇન્દિરાપુરમના ગૌર એવન્યુમાં કરોડો રૂપિયાના 14 ફ્લેટમાં ભીષણ આગ લાગી હોવાના એક મહિના પછી બની છે. આગનું કારણ હાલમાં અજ્ઞાત છે, અને આ મામલાની તપાસ ચાલી રહી છે. આગની આસપાસના અન્ય ફ્લેટને ખાલી કરાવવામાં આવ્યા છે.

લોકોને સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એવી શંકા છે કે આગ શોર્ટ સર્કિટ અથવા બાલ્કનીમાં સંગ્રહિત કોઈ ઉપકરણને કારણે લાગી હશે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 12મા માળે આગ લાગી ત્યારથી ફાયર બ્રિગેડને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સેક્ટર ૫૨માં રેસ્ટોરન્ટમાં આગ લાગી
સેક્ટર 75 ઉપરાંત, શુક્રવારે નોઈડાના સેક્ટર ૫૨માં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ આગ લાગી હતી. આગની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકો અંદર ફસાયેલા હતા, જેના કારણે ફાયર વિભાગને તાત્કાલિક જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગનો પ્રતિભાવ સમય ખૂબ જ ઝડપી હતો, અને તમામ ફાયર વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આધુનિક સાધનોની મદદથી આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈ ઈજા થઈ નથી. આગનું કારણ હાલમાં અજ્ઞાત છે. ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.

અમદાવાદીઓને ગરમીથી રાહત: આગામી 5 દિવસ વરસાદી માહોલ, તોફાની પવનનું એલર્ટ

હાલ સમગ્ર દેશમાં ચોમાસાનું વાતાવરણ ધીમે ધીમે પ્રસરી રહ્યું છે, ત્યારે તેની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે બદલાતા હવામાનને પગલે કેટલાય જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’ પણ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’ની જાહેરા
હવામાન વિભાગ દ્વારા શુક્રવાર (પાંચમી જૂન) અને શનિવાર (છઠ્ઠી જૂન) એમ બે દિવસ માટે રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદનું યલો ઍલર્ટ આપ્યું છે. શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં યલો ઍલર્ટ છે. જ્યારે શનિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો ઍલર્ટ છે.

અમદાવાદમાં તાપમાન ગગડ્યું
અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જોકે, અમદાવાદમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતોના મતમાં તફાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી 40થી 50 કિમીની ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

RBI MPCનો મોટો નિર્ણય: રેપો રેટ 5.25% પર યથાવત, લોનધારકોને EMIમાં રાહત નહીં

0

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. MPCએ સર્વાનુમતે રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. પરિણામે ઘર, વાહન અને અન્ય લોનની EMIમાં તાત્કાલિક કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.

પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીના જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણય પર સમગ્ર બજારની નજર હતી. MPCએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા વગર ‘તટસ્થ’ (Neutral) વલણ જાળવી રાખવાનું નક્કી કર્યું છે.

રેપો રેટ 5.25% પર યથાવત
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે દેશની આંતરિક આર્થિક પ્રવૃત્તિઓ હાલમાં સ્થિર છે અને અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. તેથી MPCએ હાલ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક પડકારો વચ્ચે પણ સ્થિરતા દર્શાવી રહ્યું છે.

વૈશ્વિક પડકારો અને મોંઘવારી પર RBIની નજર
ગવર્નરે જણાવ્યું કે વિશ્વ અર્થતંત્ર હાલમાં અનેક પડકારો અને અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યું છે. ઊંચી ઊર્જા કિંમતો અને વૈશ્વિક તણાવના કારણે વિકાસદર પર દબાણ તેમજ મોંઘવારીમાં વધારો જોવા મળી શકે છે. જોકે હાલ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી લક્ષ્યાંકથી નીચે છે, પરંતુ તેમાં વધારો થવાની શક્યતા યથાવત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત પાસે આ વૈશ્વિક પડકારોનો સામનો કરવાની પૂરતી ક્ષમતા છે અને RBI સતત આર્થિક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડ્યો
RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. ગવર્નરે જણાવ્યું કે ઊર્જા ખર્ચમાં વધારો, સપ્લાય ચેઇનમાં અવરોધો અને વૈશ્વિક માંગમાં નબળાઈના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી શકે છે. તેમણે કહ્યું કે ઊંચા લોજિસ્ટિક્સ ખર્ચ અને આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતાઓના કારણે ભારતના નિકાસ ક્ષેત્ર સામે પણ પડકારો ઊભા થયા છે.

મોંઘવારીનું અનુમાન વધાર્યું
RBIએ નાણાકીય વર્ષ 2027 માટે CPI આધારિત રિટેલ મોંઘવારીનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો છે. જ્યારે કોર ઇન્ફ્લેશન 4.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ગવર્નરે જણાવ્યું કે ઊર્જા કિંમતોમાં વધારો અને વૈશ્વિક વેપાર નીતિઓની અનિશ્ચિતતા ચાલુ ખાતાની ખાધ (CAD) પર દબાણ વધારી શકે છે. તેમ છતાં, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) મજબૂત છે અને કોઈપણ બાહ્ય આંચકાનો સામનો કરવા માટે પૂરતો છે.

વિદેશી રોકાણ માટે રાહત
RBIએ વિદેશી અને NRI રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધા છે. સરકારી સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) માટે રોકાણના નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત, એનઆરઆઈ (NRI) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) માટે ઇક્વિટી રોકાણની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. RBIએ રૂપિયાના વિનિમય દર અંગેની પોતાની હાલની નીતિમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી. RBIના આ નિર્ણયથી હાલ માટે લોનધારકોને EMIમાં કોઈ રાહત મળવાની નથી, પરંતુ આર્થિક સ્થિરતા જાળવવા માટે કેન્દ્રિય બેંકે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

0

ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈનું રાજીનામું સત્તાવાર રીતે મંજૂર કર્યું છે.

ભાજપ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, અન્નામલાઈએ પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા હસ્તાક્ષરિત આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કે. અન્નામલાઈ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, માનનીય નીતિન નવીને, તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈનું પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે.”

અન્નામલાઈએ 2 જૂનના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત જ, તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક અલગ, ગુપ્ત બેઠક યોજી. અમિત શાહ અને નીતિન નવીન સહિત અન્ય ટોચના ભાજપના નેતાઓએ હાજરી આપેલી આ બેઠકમાં, અન્નામલાઈએ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાર્ટી છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસે સુરત બન્યું ગ્રીન સિટીનું મોડેલ, PM મોદીના કાર્યક્રમમાં ઝીરો પ્લાસ્ટિક પહેલનું આકર્ષણ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત આગમનને લઈને આયોજિત કાર્યક્રમમાં શહેરે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો અનોખો સંદેશ આપ્યો છે. સ્વચ્છતા અને નવીન પ્રયોગો માટે જાણીતા સુરતે આ સમગ્ર કાર્યક્રમને ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ થીમ પર આધારિત બનાવી પ્લાસ્ટિક તથા થર્મોકોલ મુક્ત આયોજનનું સફળ મોડેલ રજૂ કર્યું છે.

વડાપ્રધાનના ‘મિશન લાઇફ’ અને પર્યાવરણ સંવર્ધનના વિઝનને ધ્યાનમાં રાખી કાર્યક્રમમાં ગ્રીન પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કરીને કાપડ, માટી અને વાંસ જેવા પર્યાવરણમિત્ર વિકલ્પોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકની બોટલો, પાણીના પાઉચ તેમજ ફ્લેક્સ બેનરોના ઉપયોગને સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો છે.

હાથ બનાવટના ભારતના નકશાનું વિશાળ વોલપીસ

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના યુવા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશાળ ‘ગ્રીન બેકડ્રોપ’ બન્યું છે. કાપડ, વાંસ અને આભલાની કલાત્મક કારીગરીથી તૈયાર કરાયેલા આ બેકડ્રોપમાં ભારતના નકશાને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ કૃતિ માત્ર પર્યાવરણ જાગૃતિનો સંદેશ જ નથી આપતી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સર્જનાત્મકતાનું પણ પ્રતીક બની છે.

લોકોને પીવાના પાણી માટે માટલાની વ્યવસ્થા કરાઈ

પર્યાવરણમિત્ર આયોજનના ભાગરૂપે કાર્યક્રમ સ્થળ, આસપાસના વિસ્તારો અને પાર્કિંગ ઝોનમાં પીવાના પાણી માટે અંદાજે 150 પરંપરાગત માટીના માટલાં મૂકવામાં આવ્યા છે. દરેક માટલાની ક્ષમતા આશરે 20 લીટર છે. આ પહેલ દ્વારા એક તરફ લોકોને ગરમીથી રાહત મળશે તો બીજી તરફ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવી પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે.

ચિત્રકારોએ કેનવાસ ઉપર તૈયાર કરેલા

કાર્યક્રમમાં સ્થાનિક ચિત્રકારો અને કલાકારોએ કેનવાસ પર પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને ટકાઉ વિકાસને કેન્દ્રમાં રાખી અનેક સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓ મુલાકાતીઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવાનો સંદેશ આપે છે અને કુદરતના સંવર્ધન માટે પ્રેરિત કરે છે.

આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ નાગરિકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણમિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. સ્વચ્છતામાં દેશભરમાં આગવું સ્થાન ધરાવતા સુરતે હવે ‘ઝીરો પ્લાસ્ટિક’ મોડેલ દ્વારા ગ્રીન અને ક્લીન ઇન્ડિયાના નિર્માણ માટે એક નવી દિશા દર્શાવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસે PM મોદી સુરતમાં: L&T પ્લાન્ટની મુલાકાત સાથે દક્ષિણ ગુજરાતને ₹18,778 કરોડની વિકાસ ભેટ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અત્યાધુનિક પ્લાન્ટની મુલાકાત લેશે. હજીરા ખાતે તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ તૈયાર થઈ રહેલા સંરક્ષણ અને ગ્રીન એનર્જી ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.

L&Tના ચેરમેન અને ટોચના અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે આશરે 6:15 વાગ્યે તેઓ દમણ માટે રવાના થશે, જ્યાં રૂ. 3000 કરોડથી વધુના વિકાસકાર્યોને લીલી ઝંડી આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે રૂ. 18,778 કરોડનો વિકાસ ઉત્સવ

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાનની આ મુલાકાત ઐતિહાસિક માનવામાં આવી રહી છે. સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ. 18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. તેમાં રૂ. 13,926 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ. 4,852 કરોડના પાંચ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક, શહેરી અને જાહેર સુવિધાઓને નવી ગતિ મળશે.

L&T પ્રિસિઝન એન્જિનિયરિંગમાં ‘જોરાવર લાઈટ ટેન્ક’નું શક્તિપ્રદર્શન

હજીરા સ્થિત L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ યુનિટમાં વડાપ્રધાન ‘જોરાવર લાઈટ ટેન્ક’નું નિરીક્ષણ કરશે. સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી આ લાઈટ ટેન્ક ખાસ કરીને લદ્દાખ અને LAC જેવા ઊંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. પ્રખ્યાત ડોગરા યોદ્ધા જનરલ જોરાવરસિંહના નામ પરથી ઓળખાતી આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે, જેના કારણે તેને સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરનારી આ ટેન્ક ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.

અત્યાધુનિક ‘કે9 વજ્ર’ હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત

વડાપ્રધાન હજીરામાં આવેલી ‘કે9 વજ્ર’ હોવિત્ઝર ગન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ મુલાકાત લેશે. ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતી આ 155 મીમી, 52 કેલિબરની સ્વ-સંચાલિત તોપ તેની સચોટતા અને લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા માટે જાણીતી છે. અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ ઝડપથી કામગીરી કરવાની તેની વિશેષતા તેને ભારતીય સેનાનું મહત્વપૂર્ણ હથિયાર બનાવે છે. ગુજરાતની ધરતી પર તેનું ઉત્પાદન થવું રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવે છે.

PM મોદીના સુરત પ્રવાસે ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર: 12 સિટી બસ રૂટ બંધ, BRTSના 2 રૂટ ડાયવર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસની સૂચના અનુસાર 5 જૂન, 2026ના રોજ સિટી બસના 12 રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે BRTSના 2 રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રોજિંદા બે લાખથી વધુ મુસાફરોને અસર કરતા આ નિર્ણય હેઠળ વડાપ્રધાનના સત્તાવાર રૂટ પર આવતી બસ સેવાઓને અન્ય માર્ગો પર વાળવામાં આવી છે અને બાકીના રૂટ પર પણ બસોની ફ્રિકવન્સી ઘટાડવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બસ સેવાઓ ફરીથી પૂર્વવત કરવામાં આવશે.

વાહનવ્યવહાર વિભાગે જણાવ્યા મુજબ BRTS રૂટ નં. 12 (ONGC કોલોની–સરથાણા નેચર પાર્ક) હવે માત્ર સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક સુધી જ દોડશે. જ્યારે રૂટ નં. 14 (ONGC કોલોની–કોસાડ EWS H2) હવે પાલ RTOથી કોસાડ EWS H2 વચ્ચે સંચાલિત થશે. ઉપરાંત સિટી બસના રૂટ નં. 136, 206, 658, 658B, 706, 106R, 153R, 216B, 216K, 226J, 716 અને 126R સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. આ રૂટો રેલવે સ્ટેશન, એરપોર્ટ, અડાજણ, ઇચ્છાપોર, ઇસ્કોન સર્કલ, VNSGU, ઉમરા, કાપોદ્રા, ભીમપોર, કોસાડ અને જહાંગીરપુરા જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને જોડે છે.

વડાપ્રધાનના પ્રવાસને લઈને સમગ્ર સુરત શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં શહેરના 6 હજારથી વધુ પોલીસ જવાનો ઉપરાંત બહારથી આવેલા 6 DCP કક્ષાના અધિકારીઓ અને SRPની 5 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

NSG અને SPGના અધિકારીઓ તથા કમાન્ડો પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. ગુરુવારે સુરત એરપોર્ટથી હજીરા સ્થિત L&T કંપની અને ઈન્ડોર સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા કાફલાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક રૂટોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ સેવાઓને ફરી નિયમિત કરવામાં આવશે.

આજે સુરતમાં PM મોદીના હસ્તે ₹12,421 કરોડના હાઈવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, NH-56 બનશે વિકાસની નવી ધમની

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે. તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીમાં વધારો થશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ મળશે.

વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઇના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. ₹ 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઇનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હીકલ અંડરપાસનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઇન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઇવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજ શરૂ થવાથી આગામી સમયમાં માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના લક્ષ્ય અનુસાર સ્થાનિક ઉદ્યોગો માટે લૉજિસ્ટિક્સનો ખર્ચો ઘટાડવામાં મદદ મળશે.

આ ઉપરાંત, ₹4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં NH-56 (પેકેજ 4) ના ધમાસીયાથી બિટાડા / મોવીનું ફોર લેનિંગ, NH-56 (પેકેજ 6) ના નસરપોરથી મલોથાનું ફોર લેનિંગ, સુરત હજીરા નેશનલ હાઇવે (NH-53) પર 6 લેન VUP એટલે કે વ્હીકલ અંડરપાસ (રિલાયન્સ) અને VUP કમ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં NH-56ના અપગ્રેડેશન હેઠળ ધમાસીયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ આ વિસ્તારના આદિજાતિ જિલ્લાઓ (નર્મદા, તાપી, વલસાડ, છોટા ઉદેપુર) સુધી કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ફોર લેન માર્ગો ખેડૂતો, ઉદ્યોગો અને ટ્રેડ રૂટને જોડીને સ્થાનિક વિકાસમાં યોગદાન આપશે. 107.67 કિલોમીટરની કુલ લંબાઈના આ ફોર લેન માર્ગના નિર્માણથી મુસાફરીના સમયમાં 40 મિનિટ સુધી ઘટાડો થશે અને સરેરાશ ગતિમાં 75 ટકાનો વધારો જોવા મળશે. આ ફોર લેન ફાર્મા, મેડિકલ ક્લસ્ટર તેમજ ફિશીંગ સી-ફુડ ક્લસ્ટર, આ વિસ્તારના આદિજાતિ જિલ્લાઓ અને લૉજિસ્ટિક્સ નોડ્સ (એક એરપોર્ટ, 2 રેલવે સ્ટેશન અને 2 બંદરો)ને જોડશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53ના હજીરા બંદર-સુરત વિભાગ પર લગભગ ₹149 કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા 6-લેન ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ હજીરા પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારો માટે ભારે માલવાહક ટ્રાફિકની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થઈ શકશે. તેનાથી દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસની સાથોસાથ સુરતના સ્થાનિક નાગરિકો માટે સલામત અને ટ્રાફિકની ભીડથી મુક્ત મુસાફરીની સુવિધા મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીકના ભારે ઔદ્યોગિક વિસ્તારની ભીડ ઓછી થશે અને સુગમ પરિવહન સુનિશ્ચિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે આવશે, ₹21 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે શુક્રવાર 5 જૂન 2026ના રોજ સુરત અને દમણની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાં એરપોર્ટના ઉદ્ઘાટન સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવા આવવાના છે.

વડાપ્રધાન દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલિકોપ્ટરથી દમણ જશે. સુરતમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ માટે ઇન્ડોર સ્ટેડિયમને પસંદ કરવામાં આવે તેવી ચર્ચા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરો અને વિવિધ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત શહેર પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે જેમાં 120 માંથી 115 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન સંઘપ્રદેશને બે સૌથી મહત્વાકાંક્ષી અને મોટા પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેમાં ‘નમો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ’ અને ‘નમો એરપોર્ટ’નું ભવ્ય લોકાર્પણ સામેલ છે. દમણમાં શરૂ થનારી આ અત્યાધુનિક નમો હોસ્પિટલ માત્ર સંઘપ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાતના સરહદી જિલ્લા વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. જ્યારે નમો એરપોર્ટના કારણે પ્રદેશના પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને એક નવો વેગ મળશે.

સુરતમાં 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી સેવા અને ટ્રોમા કેર ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ, વલસાડમાં સુધારણા આધારિત વીજ વિતરણ યોજના, દહેજ PCPIR અને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક જેવી અનેક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને જાહેર ઉપયોગિતાની યોજનાઓનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ થશે.

વડાપ્રધાનની સુરત મુલાકાતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પીએમ મોદીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રોટોકોલ જાળવવા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી 1-2 દિવસમાં પીએમ મોદીના સમગ્ર રૂટ અને મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. પીએમ મોદી સૌપ્રથમ દમણમાં કેન્દ્રશાસિત પ્રદેશના મહત્વકાંક્ષી એરપોર્ટ પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે, જેની સીધી સકારાત્મક અસર પડોશી જિલ્લા વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાત પર પણ પડશે.

બંધારણના મહાન વિદ્વાન ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

0

ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના પ્રખ્યાત વિદ્વાન ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે થયું છે. ડૉ. કશ્યપ દેશના અગ્રણી બંધારણીય નિષ્ણાત, રાજકીય વિશ્લેષક અને સંસદીય બાબતોના અગ્રગણ્ય એક્સપર્ટ હતા. તેમના નિધનથી દેશના રાજકીય, સંસદીય અને શૈક્ષણિક જગતમાં શોકની લહેર છે.

10 મે, 1929ના રોજ જન્મેલા ડૉ. સુભાષ કશ્યપે ભારતીય સંસદ સાથે જોડાયેલી અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે વર્ષ 1953માં સંસદ સચિવાલયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 37 વર્ષ સુધી સીધા સંસદ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ વર્ષ 1984થી 1990 દરમિયાન 7મી, 8મી અને 9મી લોકસભાના મહાસચિવ (સેક્રેટરી જનરલ) રહ્યા હતા. આ ત્રણેય લોકસભાના કાર્યકાળ દરમિયાન સંસદીય કામકાજના સંચાલનમાં અને સંસદીય સંસ્થાઓને મજબૂત બનાવવામાં તેમણે અજોડ ભૂમિકા ભજવી હતી. વૈશ્વિક સ્તરે પણ તેમણે જિનીવા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પાર્લામેન્ટ્રી ડોક્યુમેન્ટેશન (IPU)નું નેતૃત્વ કર્યું હતું.

ડૉ. સુભાષ કશ્યપ ભારતીય બંધારણ અને સંસદીય પ્રક્રિયાઓના એટલા મોટા જ્ઞાની હતા કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 100થી વધુ પુસ્તકો અને 500થી વધારે રિસર્ચ પેપર્સ લખ્યા હતા. તેઓ ભારત સરકાર માટે પંચાયતી રાજ કાયદા અને સંસ્થાઓના માનદ બંધારણીય સલાહકાર પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત, તેઓ લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય બાર એસોસિએશન (INBA)ના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. જાહેર બાબતો અને દેશના બંધારણીય માળખાને મજબૂત કરવામાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં તેમને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.

પોતાના જીવનના અંતિમ વર્ષોમાં પણ તેઓ નવી દિલ્હી સ્થિત ‘સેન્ટર ફોર પોલિસી રિસર્ચ’ (CPR)માં માનદ સંશોધન પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા. ડૉ. કશ્યપ બંધારણના કામકાજની સમીક્ષા માટે રચાયેલા રાષ્ટ્રીય આયોગના સભ્ય હતા અને તેની ડ્રાફ્ટિંગ તેમજ એડિટોરિયલ (સંપાદકીય) સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. એટલું જ નહીં, દેશમાં ચર્ચાસ્પદ બનેલા ‘વન નેશન, વન ઇલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી)ની સંભાવનાઓ પર વિચાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, તેના મુખ્ય સભ્યોમાં પણ તેમનો સમાવેશ થતો હતો. બંધારણીય બાબતો, કાયદાકીય વિષયો અને સંસદીય પરંપરાઓમાં તેમનું પ્રદાન દેશ હંમેશા યાદ રાખશે.