Home Blog Page 71

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા, વિકાસકાર્યોનું લોકાર્પણ કરી સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું
પોતાની સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઈના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઈનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસ (VOP)નું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઈન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઈવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે.

રાજકોટના ગોંડલમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 માસૂમ લોકોના મોત

0

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં શુક્રવારે એક એવી હૃદયદ્રાવક ઘટના બની કે સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો. ગામના ઓરિયા તળાવમાં રમતા રમતા ચાર નાના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને આસપાસના પંથકને પણ આઘાતમાં મૂકી દીધા છે.

મળતી માહિતી મુજબ, શેમળા ગામમાં આવેલી એક વાડીમાં શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો. પરિવારના સભ્યો રોજગારી માટે કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકો નજીકમાં રમવા નીકળ્યા હતા. વાડીથી થોડે અંતરે આવેલા ઓરિયા તળાવની આસપાસ તેઓ રમતા હતા. રમતમાં મગ્ન બાળકોને કદાચ તળાવની ઊંડાઈ અને જોખમનો અંદાજ ન આવ્યો અને એક પછી એક ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા.

ઘટનાસ્થળે કોઈને શરૂઆતમાં જાણ ન થતાં કિંમતી સમય પસાર થઈ ગયો. બાદમાં બાળકો નજરે ન પડતાં પરિવારજનો અને આસપાસના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તળાવ પાસે પહોંચતા બાળકો પાણીમાં ડૂબી ગયાની આશંકા ઉભી થઈ હતી.

સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી
બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની માહિતી મળતાં જ વાડી માલિક અને ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વિલંબ કર્યા વિના ખાનગી વાહન મારફતે ગોંડલની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક બાળકની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

એક જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો નજીકના સગા સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં બે બાળકો કરશનભાઈ ડામોરના સંતાનો હતા, જ્યારે એક બાળક તેમના સાળાના પરિવારનો હતો. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મૃત્યુ પામનાર બાળકોમાં 6 વર્ષીય અર્જુન ભુરાભાઈ બબેરીયા, 6 વર્ષીય લખત કરશનભાઈ ડામોર અને 3 વર્ષીય લક્ષ્મી કરશનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. જ્યારે 3 વર્ષીય સાહિલ ભુરાભાઈ બબેરીયા હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે.

હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયા
દુર્ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોતાના સંતાનોને ગુમાવનારા માતા-પિતાનો આક્રંદ જોઈને હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારના સભ્યોને સાંત્વના આપવી પણ મુશ્કેલ બની ગઈ હતી. નાના બાળકોના મૃતદેહો હોસ્પિટલ પહોંચતાં જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારના સભ્યો અને સંબંધીઓની રડવાની ચીસોથી સમગ્ર હોસ્પિટલ પરિસર શોકમય બની ગયું હતું.

સામાજિક અને રાજકીય આગેવાનો પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ પણ હોસ્પિટલ ખાતે હાજરી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત જરૂરી સારવાર અને અન્ય સહાય માટે તંત્ર સાથે સંકલન કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

તળાવો અને જળાશયો પાસે સુરક્ષાની જરૂરિયાત ફરી ચર્ચામાં
આ દુઃખદ ઘટના બાદ ગામડાઓમાં આવેલા ખુલ્લા તળાવો અને જળાશયોની સુરક્ષાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે. ઉનાળાની રજાઓ દરમિયાન અથવા પરિવારજનો કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકો ઘણીવાર તળાવો, ચેકડેમ અને જળાશયો પાસે રમવા પહોંચી જતા હોય છે. આવા સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ ન હોવાને કારણે અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે તળાવો આસપાસ સુરક્ષા વાડ, ચેતવણીના બોર્ડ અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓને ઘણી હદ સુધી અટકાવી શકાય છે.

સમગ્ર પંથકમાં શોકની લાગણી
શેમળા ગામમાં બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત અને એક બાળકના જીવન-મરણ વચ્ચેના સંઘર્ષે દરેકની આંખો ભીની કરી દીધી છે. ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને લોકો પીડિત પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ બની છે કે નાના બાળકોની સુરક્ષા માટે સતત સાવધાની અને જાગૃતિ કેટલી જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, હજીરાના L&T પ્લાન્ટમાં સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

0

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 જૂન) સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ઉત્પાદન કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત વિકસિત થઈ રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો તેમજ ગ્રીન એનર્જી સંબંધિત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું અવલોકન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

આજે 5 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કેટલાક BRTS અને સિટી બસ રૂટમાં ફેરફાર તેમજ ડાયવર્ઝન કરવામાં આવશે. સદર કાર્યક્રમ અંતર્ગત અમલમાં મુકાયેલા રૂટ ફેરફારો અને ડાયવર્ઝન કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યથાવત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તથા ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સૂચના પ્રાપ્ત થતાં તમામ BRTS અને સિટી બસ રૂટો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. શહેરીજનોને સહકાર આપવા અને મુસાફરી પૂર્વે જરૂરી માહિતી મેળવવા ચકાસી લેવા અનુરોધ કરાયો છે.

આજે 5 જૂન 2026ના રોજ સુરતમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન તેમના જીવનચરિત્ર આધારિત વિશેષ પેઈન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રતિબિંબિત કરતી આ કલાત્મક કૃતિઓ સામાન્ય જીવનથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની યાત્રાને જીવંત બનાવે છે.

RBI ગવર્નરની ભૂમિકામાં મનોજ બાજપેયી, ‘ગવર્નર’ ફિલ્મથી ફરી જીતશે દર્શકોનું દિલ

મનોજ બાજપેયી બોલિવૂડના સૌથી ટેલેન્ટેડ અને સફળ કલાકારોમાંના એક છે, જેમના નામે અનેક રેકોર્ડ્સ નોંધાયેલા છે. તેમણે પોતાની દમદાર એક્ટિંગ અને અનોખા પાત્રો દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. મનોજ બાજપેયી ટૂંક સમયમાં જ ‘ગવર્નર’ નામની ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેઓ એક અર્થશાસ્ત્રી અને આરબીઆઈ (RBI)ના ગવર્નરની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ એક પોલિટિકલ-ડ્રામા ફિલ્મ છે, જેમાં ભરપૂર થ્રિલર જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ‘ધ કેરળ સ્ટોરી’ બનાવનારા વિખ્યાત ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અભિનેતા અત્યારે પોતાની આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આવતા અઠવાડિયે એટલે કે 12 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ મનોજ બાજપેયી, રણવીર અલ્હાબાદિયાના પ્રખ્યાત પોડકાસ્ટમાં મહેમાન બન્યા હતા, જ્યાં તેમણે પોતાના કરિયર અને સંઘર્ષના દિવસોની અનેક વાતો શેર કરી હતી.

પોડકાસ્ટ દરમિયાન મનોજ બાજપેયીએ પોતાના એ મુશ્કેલ સમયને યાદ કર્યો, જ્યારે ‘સત્યા’ જેવી કલ્ટ અને સુપરહિટ ફિલ્મ આપ્યા હોવા છતાં તેમણે લાંબો સમય ઘરે બેસી રહેવું પડ્યું હતું. તેમણે ખુલાસો કર્યો કે તે સમયે તેમના પર શનિની સાડાસાતીનો પ્રભાવ હતો, જેના કારણે તેમની પાસે કામની ભારે અછત સર્જાઈ હતી. શનિની સાડાસાતી એ શનિ ગ્રહનું સાડા સાત વર્ષ સુધી ચાલતું એક વિશેષ ગોચર છે, જે દરમિયાન શનિદેવ વ્યક્તિની આકરી પરીક્ષા લે છે. આ કારણે મનોજ બાજપેયીને ભારે આર્થિક અને માનસિક સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, જ્યારે તેઓ આ પરીક્ષામાં પાસ થયા, ત્યારે તેમને કરિયરમાં અભૂતપૂર્વ સફળતા મળી.

અભિનેતાએ સમજાવ્યું શનિ મહારાજની ચાલનું ગણિત
શનિદેવના પ્રભાવ વિશે વાત કરતા મનોજે જણાવ્યું કે, “શનિ તમારી જિંદગીમાં મુશ્કેલીઓ ચોક્કસ લઈને આવે છે, પરંતુ તેની સાથે-સાથે તેઓ તમને આધ્યાત્મિક સમજદારી પણ આપે છે. તે તમને સૌથી વધુ સંઘર્ષ કરાવે છે, પરંતુ સામે સૌથી મોટી સફળતા પણ આપે છે. તમને કંઈપણ સરળતાથી મળતું નથી, ઘણું બધું મેળવવા માટે પોતાની જાતને ઘસવી પડે છે.”

તેમણે આગળ ઉમેર્યું કે, “શનિદેવ તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે મહેનત કરો, દરેક નાની જીત અને ઓળખ મેળવવા માટે. દરેક વહાલી વસ્તુ મેળવવા માટે શનિ મહારાજ તમારી પાસે મહેનત કરાવે છે, પછી ભલે તે માતા-પિતાનો પ્રેમ હોય કે પાર્ટનરનો સાથ. તમારે તમારી બાજુથી ઘણું બધું ગુમાવવું કે આપવું પડે છે. પરંતુ જ્યારે તમને વળતર મળવાનું શરૂ થાય છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે ભૂતકાળમાં જે કંઈપણ થયું તે સારા માટે જ થયું હતું.”

વર્તમાન સમયની વાત કરીએ તો, આજે મનોજ બાજપેયી પાસે એકથી એક શાનદાર પ્રોજેક્ટ્સ લાઇનઅપમાં છે. લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ એ તેમને વૈશ્વિક સ્તરે અદભુત ઓળખ અને અપાર પ્રેમ અપાવ્યો છે. આ સિવાય તેઓ અત્યાર સુધીમાં 4 વખત નેશનલ એવોર્ડ (રાષ્ટ્રીય પુરસ્કાર) જીતી ચૂક્યા છે, જે કોઈપણ કલાકાર માટે બહુ મોટી સિદ્ધિ ગણાય છે.

વિશ્વ પર્યાવરણ દિવસે ડેપ્યુટી CM હર્ષ સંઘવી સાઇકલ લઈને ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત શહેરમાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિત સુરત શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે સાઇકલ યાત્રામાં ભાગ લીધો હતો.

5 જૂનના રોજ સવારે સુરત લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી પ્રસ્થાન કરીને હર્ષ સંઘવી સાઇકલ પર ઇન્દોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની સાથે પોલીસ વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને યુવાનો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરિયાળો અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. વધતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાનની સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે, વૃક્ષારોપણ કરે અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવે તે સમયની જરૂરિયાત છે.

તેમણે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે નાની-નાની સારી આદતો દ્વારા પણ આપણે પ્રકૃતિને બચાવવામાં મહત્વનું યોગદાન આપી શકીએ છીએ. વાહનોના વધતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાઇકલ જેવી પર્યાવરણમૈત્રી પરિવહન પદ્ધતિને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ પણ નાગરિકોને હરિયાળું સુરત અને સ્વચ્છ ગુજરાત બનાવવા માટે સહભાગી બનવાની અપીલ કરી હતી. ઇન્દોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા બાદ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ સંદેશો આપવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર પ્રતીકાત્મક ન રહ્યો, પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો. હર્ષ સંઘવીની સાઇકલ યાત્રાએ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના વધારવાનો સંદેશ આપ્યો હતો.

24 વર્ષમાં 45 પેપર લીક કૌભાંડો: કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી? જવાબદારો સામે કડક પગલાંનો અભાવ

0

પેપર લીકના વિવિધ કેસોને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો એક પછી એક લીક થવાથી યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. જવાબદારો સામે કાર્યવાહીની સતત માંગ કરવામાં આવી રહી છે. જોકે, પેપર લીકની વારંવાર ઘટનાઓ બનવા છતાં, પરીક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોય તેવા બહુ ઓછા કિસ્સાઓ છે.

2002 થી 2025 વચ્ચે સામે આવેલા 45 મોટા પેપર લીકના કેસોની તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર થોડા અધિકારીઓને જ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા કિસ્સાઓમાં તપાસ અને ટ્રાયલ હજુ પણ ચાલુ છે. એક કેસમાં કોર્ટની સજા પણ ફટકારવામાં આવી હતી, જ્યારે કેટલાક અધિકારીઓને પાછળથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

પેપર લીકના મુખ્ય કેસ નીચે મુજબ છે:
2024 UGC-NET
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને લગભગ ચાર મહિના સુધી ફરજિયાત રાહ જોવામાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેમને સ્ટીલ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને પછી તેમના મૂળ કેડર, છત્તીસગઢ પાછા મોકલવામાં આવ્યા. સિંહે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ (UPPSC) ના પરીક્ષા નિયંત્રક અજય કુમાર તિવારીને સમીક્ષા અધિકારી (RO) અને સહાયક સમીક્ષા અધિકારી (ARO) પ્રારંભિક પરીક્ષાઓમાં કથિત બેદરકારીના આરોપો વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે જુલાઈ 2024 માં 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ કેસની તપાસ શરૂ કરી હતી.

જૂન અને સપ્ટેમ્બર 2024 ની વચ્ચે, ધરપકડ કરાયેલા 12 આરોપીઓને અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. આ કેસ પ્રયાગરાજ કોર્ટમાં પેન્ડિંગ છે. અજયે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

2024 UP પોલીસ કોન્સ્ટેબલ ભરતી
ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRPB) ના અધ્યક્ષ, રેણુકા મિશ્રા, જે 1990-બેચના DGP રેન્કના IPS અધિકારી છે, તેમને પેપર લીક બાદ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમને ફરજિયાત રાહ જોવા પર મૂકવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના ડીજીપીના કાર્યાલય સાથે જોડાયેલા છે. મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે ચર્ચા કરવા માંગતા નથી.

2023 બિહાર પોલીસ કોન્સ્ટેબલ ભરતી
પોલીસે નિવૃત્ત ડીજીપી સંજીવ કુમાર સિંઘલ સામે વિભાગીય કાર્યવાહીની ભલામણ કરી હતી. નિવૃત્તિ પછી તેઓ સેન્ટ્રલ કોન્સ્ટેબલ સિલેક્શન બોર્ડ (CSBC) ના વડા હતા. પેપર લીક બાદ તેમના પર કથિત બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સિંઘલે કહ્યું હતું કે તેઓ “યોગ્ય સમયે” આ મામલાનો ઉકેલ લાવશે.

2022 RPSC
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) ના સભ્ય બાબુલાલ કટારાની વરિષ્ઠ શિક્ષક ભરતી કેસના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2024 માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ નોંધાવી છે. કટારા ન્યાયિક કસ્ટડીમાં છે અને ટ્રાયલ ચાલી રહી છે.

2021 REET લેવલ-2
ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શિક્ષક પાત્રતા કસોટી (REET) પેપર લીક કેસમાં રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE) ના અધ્યક્ષ ડી.પી. જરોલીને તેમના પદ પરથી હટાવ્યા હતા. RBSE સચિવ અરવિંદ કુમાર સેંગવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા અને નવેમ્બર 2022 માં તેમને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહ્યું છે. જરોલીએ કહ્યું, “મને રાજકીય ષડયંત્રના ભાગ રૂપે દૂર કરવામાં આવ્યો હતો. સેંગવા સાથે પણ અન્યાય કરવામાં આવ્યો હતો.”

2021 UKSSSC
IAS અધિકારી એસ. રાજુએ 5 ઓગસ્ટ, 2022 ના રોજ ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UKSSSC) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. તેમણે ભરતી પરીક્ષા પેપર લીક કેસ માટે “નૈતિક જવાબદારી” લીધી. 1984 બેચના નિવૃત્ત અધિકારી રાજુ સપ્ટેમ્બર 2016 થી કમિશનના અધ્યક્ષ હતા. આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

IAS અધિકારી એસ.રાજુએ કહ્યું કે રાજીનામું તેમનો વ્યક્તિગત નિર્ણય હતો. તેમણે અગાઉના પરીક્ષા પરિણામો અને લીક થયેલી પરીક્ષામાં શંકાસ્પદ માર્ક્સ ધરાવતા ઉમેદવારોની યાદી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને સુપરત કરી હતી, જેણે કેસનો પર્દાફાશ કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું, “મેં છેતરપિંડી વિરોધી કાયદો તૈયાર કર્યો હતો, જેનો સરકારે અમલ કર્યો.”

2021 UPTET
ઉત્તર પ્રદેશ પરીક્ષા નિયમનકારી સત્તામંડળના સચિવ સંજય કુમાર ઉપાધ્યાય પર UP શિક્ષક પાત્રતા પરીક્ષા (UPTET) પેપર લીક કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેમને સંયુક્ત નિયામકના પદ પર બઢતી આપવામાં આવી હતી. પોલીસે 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, અને કેસ ચાલુ છે. ઉપાધ્યાયે કહ્યું, “વિભાગીય તપાસમાં મારા વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયા નથી.”

2021 RPSC
RPSC સભ્ય રામુરામ રૈકાની સબ-ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં જામીન પર છે. તેમણે ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.

2018 UP શિક્ષક ભરતી
UPPSC પરીક્ષા નિયંત્રક અંજુ લતા કટિયારને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને કથિત બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી. 2019 થી આ કેસ ઓછામાં ઓછો 202 વખત મુલતવી રાખવામાં આવ્યો છે.

અંજુને બાદમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને રાજ્ય મહેસૂલ પરિષદમાં પોસ્ટ કરવામાં આવી હતી. અંજુએ આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા અને ન્યાયિક પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો, એમ કહીને કે ઝડપી ટ્રાયલ “સત્યને ઉજાગર કરશે અને ન્યાય સુનિશ્ચિત કરશે.”

2015 UPPSC
ઓક્ટોબર 2015 માં, અલ્હાબાદ હાઈકોર્ટે UPPSC ચેરમેન અનિલ યાદવની નિમણૂક રદ કરી. અનિલે કોઈપણ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો, આરોપોને “પ્રચાર” ગણાવ્યા અને કહ્યું કે તે “કોઈપણ કોર્ટમાં સાબિત થયા નથી.”

બ્રેકઅપ બાદ ઓફિસમાં ઘૂસી પ્રેમીએ ગર્લફ્રેન્ડ પર ચાકૂથી જીવલેણ હુમલો, ઘટનાનો વીડિયો વાયરલ

0

પંજાબના મોહાલીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેઝ 11 માં બેસ્ટેક મોલ (સેક્ટર 66) નજીક એક ખાનગી ઓફિસમાં કામ કરતી 30 વર્ષીય મહિલાની તેના પૂર્વ પ્રેમીએ ઓફિસની અંદર જ ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી.

આ ભયાનક ગુનો કર્યા પછી, આરોપીએ એક જ છરીથી વારંવાર પોતાને છરી વડે ઘા કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી, જ્યારે આરોપી હજુ પણ ગંભીર હાલતમાં છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસે શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાની ઓળખ પટિયાલાની રહેવાસી ડિમ્પલ (30) તરીકે થઈ છે, જ્યારે આરોપીની ઓળખ હરવિંદર સિંહ માન ઉર્ફે હેરી (34) તરીકે થઈ છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી મોહાલીના ફેઝ 11માં પેકર્સ એન્ડ મૂવર્સ કંપનીમાં સહ કર્મચારી હતા.

અચાનક સાથીદારોની સામે ડિમ્પલ પર હુમલો કર્યો
આખી ઘટના ઓફિસમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. ગુરુવારે (04 જુન 2026)ની સાંજે, ડિમ્પલ રાબેતા મુજબ તેના ડેસ્ક પર કામ કરી રહી હતી જ્યારે હરવિંદર આવ્યો, અને ઝઘડો થયો. ગુસ્સે થઈને, હરવિંદરે તેણે છુપાવેલી છરી કાઢી અને ડિમ્પલ પર હુમલો કર્યો.

મૃતક મહિલા અને આરોપી રિલેશનશીપમાં હતા
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે બંને લાંબા સમયથી રિલેશનશીપમાં હતા, પરંતુ લગભગ છ મહિના પહેલા તેમનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થયા પછી, હરવિંદર માનસિક રીતે અસ્વસ્થ હતો અને ડિમ્પલ પર સંબંધ ફરીથી શરૂ કરવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ તેણી તેનાથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી. આનાથી હતાશ થઈને, તેણે આ ભયાનક હત્યાનું કાવતરું ઘડ્યું.

સહારા રણમાં દુર્ઘટના: ટ્રક બગડતાં પાણી વગર 49 લોકોના કરુણ મોત

0

સહારા રણની શાંત અને સળગતી રેતીએ બીજી એક હૃદયદ્રાવક દુર્ઘટના જોઈ છે. નાઇજરમાં એક ટ્રક અચાનક બગડી ગઈ, જેના કારણે મુસાફરો રણની વચ્ચે પાણી વગર ફસાયા. સળગતો સૂર્ય, ચારે બાજુ રેતીનો દરિયો, અને પાણી દેખાતું નહોતું – આવી સ્થિતિમાં ૪૯ લોકોએ જીવ ગુમાવ્યા. તેઓ માલીથી ધાર્મિક તહેવાર પછી પાછા ફરી રહ્યા હતા, પરંતુ આ યાત્રા મૃત્યુની યાત્રામાં ફેરવાઈ ગઈ. બે લોકો કોઈક રીતે ૫૦ કિલોમીટર ચાલીને બચી ગયા, અને આ ઘટનાની જાણ દુનિયાને કરી.

આફ્રિકન દેશ નાઇજરમાં, સહારા રણના એક દૂરના વિસ્તારમાં 49 લોકો તરસથી મૃત્યુ પામ્યા. તેઓ એક ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ ટ્રક બગડી ગઈ. અધિકારીઓએ ગુરુવારે આ જાહેરાત કરી. તેઓ મુસ્લિમ તહેવાર પછી માલીથી પરત ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં તેમની પાસે પાણી ખૂટી ગયું. અગાડેઝ પ્રાંતીય સરકારે ફેસબુક પર પોસ્ટ કર્યું કે આસામાકાથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમીમાં એક ઉજ્જડ વિસ્તારમાં 49 લોકો તરસથી મૃત્યુ પામ્યા.

આસામાકા નાઇજર અને અલ્જેરિયા વચ્ચેનો એક મુખ્ય સરહદી બિંદુ છે, અને તે માલી સરહદની નજીક પણ છે. સરકારે કહ્યું કે પાણીની અછત અને વાહનની નિષ્ક્રિયતાને કારણે લોકો ફસાયેલા હતા. ડ્રાઇવર, તેના સાથીઓ અને મુસાફરોએ વાહનને સુધારવા માટે ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તેઓ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક જગ્યાએ ફસાયા હતા, જ્યાં ખૂબ જ ગરમી હતી અને પાણી ઉપલબ્ધ નહોતું. આનાથી બચવું ખૂબ મુશ્કેલ બન્યું.

સરકારે કહ્યું કે મૃતકોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવ્યા હતા. જો કે, બે લોકો કોઈક રીતે બચી ગયા. તેઓ 50 કિલોમીટરથી વધુ ચાલ્યા અને પાણી મળ્યું. ત્યારબાદ તેઓ આસામાકા ગયા અને ત્યાંના અધિકારીઓને ઘટના વિશે જાણ કરી. આ રણ વિસ્તાર આફ્રિકન દેશોમાંથી યુરોપ પહોંચવાનો પ્રયાસ કરતા લોકો માટે પણ એક માર્ગ છે. આ માર્ગ પર ઘણા લોકો તરસ અને ભૂખથી મૃત્યુ પામ્યા છે.

નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં ભીષણ આગ, પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી

0

શુક્રવારે નોઈડાના સેક્ટર 75માં આવેલા આઈવી કાઉન્ટી એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, જેમાં બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. આગને કારણે સોસાયટીમાં ગભરાટ ફેલાયો હતો.

એક રહેવાસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મદદ માટે અપીલ કરી હતી. અહેવાલો અનુસાર ટાવર B2 ના 12મા માળે આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગ્નિશામકોએ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.

આ ઘટના ઇન્દિરાપુરમના ગૌર એવન્યુમાં કરોડો રૂપિયાના 14 ફ્લેટમાં ભીષણ આગ લાગી હોવાના એક મહિના પછી બની છે. આગનું કારણ હાલમાં અજ્ઞાત છે, અને આ મામલાની તપાસ ચાલી રહી છે. આગની આસપાસના અન્ય ફ્લેટને ખાલી કરાવવામાં આવ્યા છે.

લોકોને સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એવી શંકા છે કે આગ શોર્ટ સર્કિટ અથવા બાલ્કનીમાં સંગ્રહિત કોઈ ઉપકરણને કારણે લાગી હશે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 12મા માળે આગ લાગી ત્યારથી ફાયર બ્રિગેડને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સેક્ટર ૫૨માં રેસ્ટોરન્ટમાં આગ લાગી
સેક્ટર 75 ઉપરાંત, શુક્રવારે નોઈડાના સેક્ટર ૫૨માં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ આગ લાગી હતી. આગની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકો અંદર ફસાયેલા હતા, જેના કારણે ફાયર વિભાગને તાત્કાલિક જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગનો પ્રતિભાવ સમય ખૂબ જ ઝડપી હતો, અને તમામ ફાયર વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આધુનિક સાધનોની મદદથી આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈ ઈજા થઈ નથી. આગનું કારણ હાલમાં અજ્ઞાત છે. ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.

અમદાવાદીઓને ગરમીથી રાહત: આગામી 5 દિવસ વરસાદી માહોલ, તોફાની પવનનું એલર્ટ

હાલ સમગ્ર દેશમાં ચોમાસાનું વાતાવરણ ધીમે ધીમે પ્રસરી રહ્યું છે, ત્યારે તેની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે બદલાતા હવામાનને પગલે કેટલાય જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’ પણ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’ની જાહેરા
હવામાન વિભાગ દ્વારા શુક્રવાર (પાંચમી જૂન) અને શનિવાર (છઠ્ઠી જૂન) એમ બે દિવસ માટે રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદનું યલો ઍલર્ટ આપ્યું છે. શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં યલો ઍલર્ટ છે. જ્યારે શનિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો ઍલર્ટ છે.

અમદાવાદમાં તાપમાન ગગડ્યું
અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જોકે, અમદાવાદમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતોના મતમાં તફાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી 40થી 50 કિમીની ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.