Home Blog Page 65

સુરતના લાલગેટ કાપડ બજારમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગ, 10 લોકોનું સફળ રેસ્ક્યુ

0

સુરતના લાલગેટ વિસ્તારમાં આજે સવારે એક કાપડની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પાંચ માળની સમગ્ર બિલ્ડિંગ ધુમાડાથી ભરાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ લાલગેટ વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. કાપડનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે ઉત્પન્ન થયેલો ધુમાડો ઉપરના માળ સુધી ફેલાઈ જતા બિલ્ડિંગમાં રહેતા 10 જેટલા લોકો ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, સૌથી પહેલા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે ધુમાડામાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ સીડીની મદદથી એક પછી એક તમામ 10 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.

લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલો લાખો રૂપિયાનો કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશી વિવાદ બન્યો જીવલેણ: મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો ચોંકાવનારો અંત આવ્યો છે. બોપલના એક ફ્લેટમાં નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો કરી મારામારી કરનાર એક નામચીન આરોપી પોલીસ આવવાના ભયથી ભાગવા જતાં ચોથા માળેથી લપસીને નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે આ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. બોપલ પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજસીટોક અને NDPS સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો મૃતક
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે હત્યાના પ્રયાસ , મારામારી, ગુજસીટોક અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો. તે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો.

ગઈકાલે રાત્રે નશાની હાલતમાં ફ્લેટના રહીશો પર કર્યો હુમલો
ગત રાત્રે (8 જૂન) મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે માથાકૂટ કરી હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે પાડોશીઓ સાથે બેફામ મારામારી શરૂ કરી દીધી હતી. મહાવીરસિંહના સતત વધી રહેલા ત્રાસ અને આતંકથી કંટાળીને ફ્લેટના સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

પોલીસની ગાડી જોઈ ચોથા માળેથી ભાગવા ગયો અને પગ લપસ્યો
સ્થાનિકોએ જણાવ્યું છે કે પોલીસ આવી હોવાની ખબર પડતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસ્યો અને તે ચોથા માળેથી સીધો નીચે પટકાયો હતો, તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ પીએમ માટે મોકલ્યો
પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડી ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આથી હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મૃતક વિરૂદ્ધ અગાઉથી જ અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.

‘લવ જેહાદ રોકવા ભગવાન શ્રીરામ સૌથી મોટા આદર્શ’; CM યોગીનું શામલી કેસ વચ્ચે મોટું નિવેદન

0

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજની નવ દિવસીય શ્રીરામ કથાનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જગદગુરુ રામભદ્રાચાર્યના મંચ પરથી સંબોધન કરતાં તેમણે ભગવાન શ્રીરામના ચરિત્ર અને રામાયણને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે ભગવાન શ્રીરામ સૌથી મોટા આદર્શ ઉદાહરણ છે. તેમણે મારીચ અને સુબાહુને “લેન્ડ જેહાદ” સાથે જોડાયેલા તત્વો ગણાવ્યા હતા. યોગીએ કહ્યું કે રામકથા માત્ર સાંભળવાનો નહીં પરંતુ સમજવાનો વિષય છે. તેમના આ નિવેદનને તાજેતરના શામલી પ્રકરણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

CM યોગીએ શું કહ્યું?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વધતા લવ જેહાદના મામલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામ આવા કિસ્સાઓને રોકવા માટેનું સૌથી મોટું ઉદાહરણ છે.

યોગીએ જણાવ્યું કે લગભગ પાંચ સદીઓ સુધી ભગવાન શ્રીરામને તેમની જન્મભૂમિ પર પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં કોર્ટનો ચુકાદો આવ્યો હતો, જેમાં જગદગુરુ રામભદ્રાચાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ દેશ અને રાજ્યમાં નકારાત્મક શક્તિઓ પ્રભાવશાળી બને છે, ત્યારે સૌથી પહેલા ધર્મ પર હુમલો થાય છે. આવી શક્તિઓ સમાજને નુકસાન પહોંચાડે છે અને શૈક્ષણિક સંસ્થાઓને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

રાવણના ઉદાહરણથી સમજાવ્યું
મુખ્યમંત્રીએ કહ્યું કે નકારાત્મક શક્તિઓ હંમેશા સ્થાપિત વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, જેમ કે રાવણે પોતાના સમયમાં કર્યું હતું. રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું, જેના વિરોધમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે સંપૂર્ણ શક્તિ સાથે પ્રયાસ કર્યો હતો. તેમણે ઉત્તર અને દક્ષિણ ભારતને જોડવાનું કામ કર્યું અને નારી સન્માન તથા સુરક્ષાનું ઉદાહરણ પૂરું પાડ્યું. યોગીના મતે, લવ જેહાદ સામે લડવા માટે ભગવાન શ્રીરામનું જીવન સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત છે.

લવ જેહાદ મુદ્દે કડક વલણ
મુખ્યમંત્રીએ કહ્યું કે લવ જેહાદ અંગે સૌથી પહેલાં વર્ષ 2009 અને 2011માં કેરળ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો કે તેને ધાર્મિક જનસાંખ્યિકી બદલવાના કાવતરાના ભાગરૂપે જોવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

યોગીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2020માં લવ જેહાદ રોકવા માટે કડક કાયદો બનાવ્યો હતો. તેમ છતાં, હજુ પણ આ મુદ્દે વ્યાપક જનજાગૃતિની જરૂર છે. તેમણે સમાજને સતર્ક રહેવાની અપીલ કરતાં કહ્યું કે સમાજના સ્તરે એકસાથે વિચારવું અને પગલાં ભરવા જરૂરી છે.

‘લેન્ડ જેહાદ’નો પણ ઉલ્લેખ
મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજને એવા લોકો સામે પણ સજાગ રહેવું પડશે, જેઓ જમીનની જનસાંખ્યિકી બદલવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામે પણ પોતાના સમયમાં આવા તત્વો સામે લડત આપી હતી.

યોગીના જણાવ્યા મુજબ, મારીચ અને સુબાહુ પણ “લેન્ડ જેહાદ” સાથે જોડાયેલા હતા અને તેઓ જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરતા હતા. આવા તત્વો સામે સમાજે એકજૂટ થઈને કામ કરવું પડશે.

શામલી કેસ ફરી ચર્ચામાં
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં તાજેતરમાં લવ જેહાદનો એક ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. આરોપ છે કે જીમ ટ્રેનર ચાંદની કુરૈશીના પ્રેમસંબંધમાં આવીને દવા વેપારીના પુત્ર આયુષ મલિકે ધર્મપરિવર્તન કર્યું હતું અને પોતાનું નામ મોહમ્મદ અલી રાખ્યું હતું.

જોકે, બાદમાં આયુષ મલિકનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેણે પોતાની ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યાનો દાવો કર્યો હતો. CM યોગી આદિત્યનાથના તાજેતરના નિવેદન બાદ શામલીનો આ મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સૈન્યનો અંધાધૂંધ ગોળીબારમાં 120 ના મોત, સેંકડો ઘાયલ

0

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે. પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓની શોક સભા માટે ભેગા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ સીધી કાર્યવાહીમાં 120 ના મોત થયા છે. અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં બંધના એલાન અને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ, જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી એ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે.

JAACના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારી શાહઝેબ હબીબના અંતિમ સંસ્કાર નિમિત્તે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનનો આરોપ છે કે શાહઝેબ હબીબનું મૃત્યુ અગાઉ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, ત્યારે સુરક્ષા દળોએ કાર્યવાહી કરતાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી.

મુઝફ્ફરાબાદ કરાર બાદ પણ યથાવત અસંતોષ
PoKમાં હાલના અસંતોષનું મુખ્ય કારણ ઓક્ટોબર 2025માં થયેલો કહેવાતો મુઝફ્ફરાબાદ કરાર માનવામાં આવે છે. આ કરાર પાકિસ્તાન સરકાર, PoK વહીવટીતંત્ર અને JAAC વચ્ચે ગયા વર્ષના વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ થયો હતો.

તે સમયે સરકારે ઘઉં અને વીજળી પર સબસિડી, વિરોધ પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર, વહીવટી સુધારા, માળખાકીય વિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારા સહિત અનેક માંગણીઓ સ્વીકારવાનું વચન આપ્યું હતું.

વીજળી અને મોંઘવારી સામે શરૂ થયો હતો આંદોલન
ગયા વર્ષે PoKમાં વીજળીના વધતા બિલ અને લોટના ભાવવધારા સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. આ હિંસક અથડામણોમાં ત્રણ પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

PoK લાંબા સમયથી સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે, જ્યાં JAACના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે વારંવાર અથડામણો થતી રહી છે. જેના કારણે નાગરિકો અને પોલીસકર્મીઓ બંનેને જાનહાનિ ભોગવવી પડી છે.

બંધ પહેલાં જ ધરપકડો અને પ્રતિબંધ
સ્થાનિક લોકોના હિતોની અવગણના અને સરકાર વિરુદ્ધ વધતા અસંતોષ વચ્ચે JAACએ 9 જૂને બંધનું એલાન આપ્યું હતું. જોકે, બંધ પહેલાં જ સત્તાવાળાઓએ સંગઠન પર પ્રતિબંધ મૂકી અનેક કાર્યકરોની ધરપકડ કરી હતી.

JAACએ સરકાર સમક્ષ કુલ 38 માંગણીઓ રજૂ કરી હતી. ગયા વર્ષે થયેલી ચર્ચા બાદ તેમાંની 36 માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. PoKના વડા પ્રધાન ફૈઝલ મુમતાઝ રાઠોડે બાકીની બે માંગણીઓ અંગે ચર્ચા કરવા તૈયારી દર્શાવી હતી.

બે મુખ્ય માંગણીઓ પર વિવાદ
બાકી રહેલી બે માંગણીઓમાં પાકિસ્તાનમાં વસતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત બેઠકો રદ કરવી અને સરકારી અધિકારીઓ તથા મંત્રીઓને મળતા વિશેષ લાભો બંધ કરવાનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાઓનો ઉકેલ માત્ર વિધાનસભા દ્વારા જ શક્ય છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વધ્યો વિવાદ
તાજેતરના તણાવ પાછળનું એક મહત્વનું કારણ PoKની સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ માનવામાં આવે છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાનમાં વસતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો બંધારણીય રીતે સુરક્ષિત છે અને બંધારણીય સુધારા વિના તેને રદ કરી શકાય નહીં.

વિદેશોમાં પણ વિરોધ પ્રદર્શનો
PoKમાં સર્જાયેલી હિંસક ઘટનાઓ બાદ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ બ્રિટન, અમેરિકા અને અન્ય અનેક દેશોમાં વસતા કાશ્મીરી પ્રવાસીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે અને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

દુનિયાની સૌથી પહોળી જીભ ધરાવતો પરિવાર! પિતા-દીકરી બંનેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું

0

અમેરિકાના ન્યુ યોર્કમાં રહેતા બાઇરન શ્લેન્કર પોતાની અનોખી શારીરિક વિશેષતાને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા છે. તેમની જીભની પહોળાઈ 8.57 સેન્ટિમીટર હોવાનું નોંધાયું છે, જેના કારણે તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યું છે.

રસપ્રદ વાત એ છે કે બાઇરનને પોતાની જીભ દુનિયાની સૌથી પહોળી જીભોમાંની એક છે તેની જાણ પુખ્ત વયે થઈ હતી. તેમની દીકરી એમિલીના સ્કૂલ પ્રોજેક્ટ માટે તેઓ સ્કૂલ લાઇબ્રેરીમાં વિવિધ પુસ્તકો જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના હાથમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ સંબંધિત એક પુસ્તક આવ્યું, જેમાં સૌથી પહોળી જીભનો રેકોર્ડ નોંધાયેલો હતો.

બાઇરને જ્યારે તે રેકોર્ડ જોયો ત્યારે તેમને લાગ્યું કે તેમની પોતાની જીભ તો તેનાથી પણ વધુ પહોળી છે. ત્યારબાદ તેમણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ સંસ્થાનો સંપર્ક કર્યો અને સત્તાવાર માપણી બાદ જાણવા મળ્યું કે તેમની જીભ ખરેખર દુનિયાની સૌથી પહોળી જીભ છે. આ સિદ્ધિ બદલ તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું.

ખાસ વાત એ છે કે તેમની દીકરી એમિલી શ્લેન્કરે પણ પિતાની આ અનોખી વિશેષતા વારસામાં મેળવી છે. એમિલીની જીભ પણ અસાધારણ રીતે પહોળી છે. તેની જીભની પહોળાઈ 7.33 સેન્ટિમીટર નોંધાઈ છે, જેના આધારે મહિલાઓમાં સૌથી પહોળી જીભનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તેના નામે નોંધાયો છે.

આ રીતે પિતા અને દીકરી બંનેએ પોતાની અનોખી શારીરિક વિશેષતાના કારણે વિશ્વ રેકોર્ડ બનાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

જલગાંવમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત 4 ગુજરાતી સહિત 6 લોકોનાં કરુણ મોત

0

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. કાર અને મોટરસાઈકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરે અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત જલગાંવ જિલ્લાના અમલનેર વિસ્તારમાં આવેલા લોંધે ફાટા નજીક સવારે લગભગ 7 વાગ્યે સર્જાયો હતો. કાર અને મોટરસાઈકલ વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં સવાર લોકો ગુજરાતના રહેવાસી હતા અને તેઓ મહારાષ્ટ્રમાં યોજાયેલા એક સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. જોકે, લોંધે ફાટા નજીક પહોંચતા જ તેમની કાર સામેથી આવી રહેલી મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માતની ગંભીરતા એટલી હતી કે અથડામણ બાદ મોટરસાઈકલ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક પાછળથી આવી રહેલી રાજ્ય પરિવહનની બસ સાથે પણ અથડાઈ ગઈ હતી. પરિણામે ઘટનાસ્થળે જ છ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.

મૃતકોમાં કારમાં સવાર ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તેમની ઓળખ નંદલાલ મહાજન, અનિતા મહાજન, સુરેશ મહાજન અને નિર્મલા મહાજન તરીકે થઈ છે. જ્યારે મોટરસાઈકલ પર સવાર નિલેશ તાવડે અને ફાલ્ગુની ભોઈના પણ અકસ્માતમાં મોત થયા છે.

આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ બંને પરિવારોમાં શોકનો માહોલ સર્જ્યો છે, જ્યારે સગાઈ સમારોહમાં જવા નીકળેલા પરિવાર માટે ખુશીનો પ્રસંગ પળવારમાં દુઃખમાં ફેરવાઈ ગયો છે.

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મચારીઓના મોત

0

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે સર્જાયેલી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનામાં ઓછામાં ઓછા આઠ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પ્લાન્ટના હીટ યુનિટમાં બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, એક વિશાળ ક્રેન દ્વારા પીગળેલું સ્ટીલ ભરેલો લેડલ ઊંચકીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક લેડલમાંથી મોટા પ્રમાણમાં પીગળેલું સ્ટીલ લીક થઈ ગયું અને નીચે કામ કરી રહેલા શ્રમિકો પર પડ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પીગળેલા સ્ટીલનું તાપમાન અંદાજે 1600 ડિગ્રી સેલ્સિયસ હતું. અત્યંત ગરમ સ્ટીલના સંપર્કમાં આવતાં શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દુર્ઘટના બાદ CCD યુનિટમાં ભીષણ આગ પણ ફાટી નીકળી હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઘટનામાં કર્મચારીઓના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામ કરીને બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા તથા ઘાયલોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને કાર્યસ્થળ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

જયપુરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 3લોકોના મોત, 5 ઘાયલ

0

જયપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. આગ શહેરના ‘ખો નાગોરિયાન’ વિસ્તારમાં લાગી હતી, જ્યાં હાલ રેસ્ક્યૂ ઓપરેશન (બચાવ કામગીરી) ચાલુ છે અને ફાયર બ્રિગેડ તેમજ સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે.

આ દુર્ઘટના જયપુરના ખો નાગોરિયાન વિસ્તારમાં બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક રહેણાંક મકાનની અંદર ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.

આગ લાગ્યા બાદ એક પછી એક મોટા ધડાકા થતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

જયપુરના કલેક્ટર સંદેશ નાયકે ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી છે. જ્યારે પાંચ ઘાયલોને સારવાર માટે જયપુરિયા હોસ્પિટલ અને SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાંથી ત્રણ લોકોને SMS હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેઓ 50થી 70 ટકા સુધી દાઝી ગયા હોવાથી તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે.

ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કાટમાળમાં કોઈ અન્ય વ્યક્તિ ફસાયો છે કે કેમ તે અંગે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓએ મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા નકારી નથી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી અને તેના માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને સુરક્ષા નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ખાન સરને કોર્ટમાંથી મોટી રાહત: ફાયરિંગ કેસમાં ધરપકડ પર લગાવી રોક

0

પટણાની એક કોર્ટે લોકપ્રિય યુટ્યુબર ફૈઝલ ખાન, જેને ખાન સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને કોચિંગ સેન્ટરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં રાહત આપી છે. મંગળવારે પટણા જિલ્લા અદાલતે ખાન સરની ધરપકડ પર રોક લગાવી છે. ખાન સર વિરુદ્ધ ફાયરિંગ કેસમાં હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના આરોપો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.

ખાન સરના વકીલ દ્વારા પટણા જિલ્લા અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અધિકારીઓ આ કેસમાં ખાન સરની પૂછપરછ કરી શકે છે, પરંતુ વચગાળાના રક્ષણ અમલમાં હોય ત્યાં સુધી તેમની સામે ધરપકડ સહિત કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાતી નથી.

ખાન સરના વકીલની દલીલો સાંભળ્યા પછી કોર્ટે તેમને વચગાળાની રાહત આપી. કોર્ટે આ કેસમાં અન્ય આરોપી રોશન આનંદની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પાછલી કાર્યવાહી દરમિયાન, કોર્ટે પોલીસને કેસમાં એકત્રિત કરાયેલ કેસ ડાયરી અને પુરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પટનાના મુસલ્લાહપુર વિસ્તારમાં ફૈઝલ ખાન ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ફૈઝલ ખાને આરોપ લગાવ્યો હતો કે 2 જૂને તેમની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જ્ઞાન બિંદુ એકેડેમીના ડિરેક્ટર રોશન આનંદ પર ગોળીબાર કરવાનો આરોપ હતો. પોલીસે રોશન આનંદ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. રોશન આનંદે દાવો કર્યો હતો કે ખાને પોતે જ આ ઘટનાનું આયોજન કર્યું હતું.

સુરક્ષા ગાર્ડ્સની જુબાની બાદ FIR દાખલ
પોલીસે ગોળીબાર કરવા બદલ ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બે સુરક્ષા ગાર્ડની અટકાયત કરી. સુરક્ષા ગાર્ડે પોલીસને જણાવ્યું હતું કે ફૈઝલ ખાને તેમને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. સુરક્ષા ગાર્ડના નિવેદન બાદ પોલીસે ખાન વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં બે ગાર્ડ ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. આ ગાર્ડ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના પ્રદીપ કુમાર (38) અને કાસગંજ જિલ્લાના તાલેબર સિંહ (34) છે.

હોર્મુઝ ખાડી નજીક અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ, ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ટ્રમ્પે આપી મોટી જાણકારી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ ખાડી નજીક અમેરિકી સેનાનું એક અપાચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે દુર્ઘટનામાં સામેલ બંને પાયલોટ સુરક્ષિત છે અને તેમને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, હોર્મુઝ જલમાર્ગ નજીક અમેરિકી સૈન્યનું AH-64 અપાચે હેલિકોપ્ટર ટેકનિકલ અથવા અન્ય કોઈ કારણસર ક્રેશ થયું હતું. ઘટના બનતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બંને પાયલોટને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે સતત હુમલા અને પ્રતિહુમલાઓ ચાલી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ બની ગયો છે. આવા સમયે અમેરિકી હેલિકોપ્ટરના અકસ્માતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે.

જોકે હેલિકોપ્ટર દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકી સૈન્ય અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે AH-64 અપાચે વિશ્વના સૌથી આધુનિક અને શક્તિશાળી હુમલાખોર હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. અમેરિકી એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટરને ‘ફ્લાઈંગ ટેન્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અદ્યતન રડાર, મિસાઈલ અને હથિયાર પ્રણાલીઓથી સજ્જ અપાચે દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને ચોક્કસ નિશાન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતે પણ પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે અપાચે હેલિકોપ્ટરોની ખરીદી કરી છે. તાજેતરમાં ભારત સરકારે અંદાજે ₹4,168 કરોડના ખર્ચે છ નવા અપાચે હેલિકોપ્ટર ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને અમેરિકી સૈન્ય દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતના કારણો સ્પષ્ટ થઈ શકશે.