આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે સર્જાયેલી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનામાં ઓછામાં ઓછા આઠ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પ્લાન્ટના હીટ યુનિટમાં બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, એક વિશાળ ક્રેન દ્વારા પીગળેલું સ્ટીલ ભરેલો લેડલ ઊંચકીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક લેડલમાંથી મોટા પ્રમાણમાં પીગળેલું સ્ટીલ લીક થઈ ગયું અને નીચે કામ કરી રહેલા શ્રમિકો પર પડ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, પીગળેલા સ્ટીલનું તાપમાન અંદાજે 1600 ડિગ્રી સેલ્સિયસ હતું. અત્યંત ગરમ સ્ટીલના સંપર્કમાં આવતાં શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દુર્ઘટના બાદ CCD યુનિટમાં ભીષણ આગ પણ ફાટી નીકળી હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઘટનામાં કર્મચારીઓના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામ કરીને બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા તથા ઘાયલોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને કાર્યસ્થળ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.