Tuesday, Jun 9, 2026

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સૈન્યનો અંધાધૂંધ ગોળીબારમાં 120 ના મોત, સેંકડો ઘાયલ

4 Min Read

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે. પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓની શોક સભા માટે ભેગા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ સીધી કાર્યવાહીમાં 120 ના મોત થયા છે. અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં બંધના એલાન અને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ, જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી એ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે.

JAACના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારી શાહઝેબ હબીબના અંતિમ સંસ્કાર નિમિત્તે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનનો આરોપ છે કે શાહઝેબ હબીબનું મૃત્યુ અગાઉ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, ત્યારે સુરક્ષા દળોએ કાર્યવાહી કરતાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી.

મુઝફ્ફરાબાદ કરાર બાદ પણ યથાવત અસંતોષ
PoKમાં હાલના અસંતોષનું મુખ્ય કારણ ઓક્ટોબર 2025માં થયેલો કહેવાતો મુઝફ્ફરાબાદ કરાર માનવામાં આવે છે. આ કરાર પાકિસ્તાન સરકાર, PoK વહીવટીતંત્ર અને JAAC વચ્ચે ગયા વર્ષના વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ થયો હતો.

તે સમયે સરકારે ઘઉં અને વીજળી પર સબસિડી, વિરોધ પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર, વહીવટી સુધારા, માળખાકીય વિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારા સહિત અનેક માંગણીઓ સ્વીકારવાનું વચન આપ્યું હતું.

વીજળી અને મોંઘવારી સામે શરૂ થયો હતો આંદોલન
ગયા વર્ષે PoKમાં વીજળીના વધતા બિલ અને લોટના ભાવવધારા સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. આ હિંસક અથડામણોમાં ત્રણ પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

PoK લાંબા સમયથી સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે, જ્યાં JAACના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે વારંવાર અથડામણો થતી રહી છે. જેના કારણે નાગરિકો અને પોલીસકર્મીઓ બંનેને જાનહાનિ ભોગવવી પડી છે.

બંધ પહેલાં જ ધરપકડો અને પ્રતિબંધ
સ્થાનિક લોકોના હિતોની અવગણના અને સરકાર વિરુદ્ધ વધતા અસંતોષ વચ્ચે JAACએ 9 જૂને બંધનું એલાન આપ્યું હતું. જોકે, બંધ પહેલાં જ સત્તાવાળાઓએ સંગઠન પર પ્રતિબંધ મૂકી અનેક કાર્યકરોની ધરપકડ કરી હતી.

JAACએ સરકાર સમક્ષ કુલ 38 માંગણીઓ રજૂ કરી હતી. ગયા વર્ષે થયેલી ચર્ચા બાદ તેમાંની 36 માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. PoKના વડા પ્રધાન ફૈઝલ મુમતાઝ રાઠોડે બાકીની બે માંગણીઓ અંગે ચર્ચા કરવા તૈયારી દર્શાવી હતી.

બે મુખ્ય માંગણીઓ પર વિવાદ
બાકી રહેલી બે માંગણીઓમાં પાકિસ્તાનમાં વસતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત બેઠકો રદ કરવી અને સરકારી અધિકારીઓ તથા મંત્રીઓને મળતા વિશેષ લાભો બંધ કરવાનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાઓનો ઉકેલ માત્ર વિધાનસભા દ્વારા જ શક્ય છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વધ્યો વિવાદ
તાજેતરના તણાવ પાછળનું એક મહત્વનું કારણ PoKની સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ માનવામાં આવે છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાનમાં વસતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો બંધારણીય રીતે સુરક્ષિત છે અને બંધારણીય સુધારા વિના તેને રદ કરી શકાય નહીં.

વિદેશોમાં પણ વિરોધ પ્રદર્શનો
PoKમાં સર્જાયેલી હિંસક ઘટનાઓ બાદ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ બ્રિટન, અમેરિકા અને અન્ય અનેક દેશોમાં વસતા કાશ્મીરી પ્રવાસીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે અને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Share This Article