Tuesday, Jun 16, 2026

જયપુરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 3લોકોના મોત, 5 ઘાયલ

2 Min Read

જયપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. આગ શહેરના ‘ખો નાગોરિયાન’ વિસ્તારમાં લાગી હતી, જ્યાં હાલ રેસ્ક્યૂ ઓપરેશન (બચાવ કામગીરી) ચાલુ છે અને ફાયર બ્રિગેડ તેમજ સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે.

આ દુર્ઘટના જયપુરના ખો નાગોરિયાન વિસ્તારમાં બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક રહેણાંક મકાનની અંદર ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.

આગ લાગ્યા બાદ એક પછી એક મોટા ધડાકા થતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

જયપુરના કલેક્ટર સંદેશ નાયકે ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી છે. જ્યારે પાંચ ઘાયલોને સારવાર માટે જયપુરિયા હોસ્પિટલ અને SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાંથી ત્રણ લોકોને SMS હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેઓ 50થી 70 ટકા સુધી દાઝી ગયા હોવાથી તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે.

ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કાટમાળમાં કોઈ અન્ય વ્યક્તિ ફસાયો છે કે કેમ તે અંગે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓએ મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા નકારી નથી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી અને તેના માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને સુરક્ષા નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Share This Article