Home Blog Page 63

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યાં અભિનંદન

0

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થયાનું મુખ્યમંત્રીએ કહ્યું,તો દેશની જનતાએ કહ્યું ‘મોદી હૈ તો મુમકીન હૈ’

ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણને સમર્પિત કાર્યકાળના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને પત્ર લખીને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે, તેમજ દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને લોકકલ્યાણ માટે તેમના સતત યોગદાનની પ્રશંસા કરી છે.

વિકાસની સ્પીડ અને સ્કેલ જોઇને જન-જન બોલ્યા ‘મોદી હૈ તો મુમકીન હૈ’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલાંઓ થકી ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ નો કાર્યમંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઇને આદે દેશમાં જન-જન બોલી રહ્યાં છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જન-જન સુધી પહોંચાડવામાં આવી છે. દેશમાં પહેલી વખત ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.

ગુજરાતને મળ્યું ડબલ એન્જિન સરકારનું બળ

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં ગુજરાતને વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને જે લાભ મળ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી તરીકેનું દાયિત્વ સંભાળતાની સાથે જ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને આ 12 વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક ભેટ આપી છે. વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરી ગેટ મૂકવાની પરવાનગી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વગેરે જેવી ભેટ થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.

લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું છે કે, દેશ આજે જ્યારે ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીએ સહુ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ સુશાસન માટે વડાપ્રધાનશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Gujarat weather forecast: ક્યાં પહોંચ્યુ ચોમાસુ? જાણો કયા રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી બાદ રાજ્યમાં હવે સત્તાવાર રીતે ચોમાસુ જામવાની શરૂઆત થઈ રહી છે. આ સમાચારની સાથે સાથે લોકોને વરસાદ ગરમીમાંથી પણ રાહત આપશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન
હવામાન વિભાગની માહિતી મુજબ આજથી એટલે કે, 10 થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અહીંના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. સ્થાનિક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તારીખ 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર મળ્યા છે. રાજ્યમાં ચોમાસાના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. વરસાદના એંધાણની સાથે જ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું આગમન થવાની પૂરી સંભાવના છે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં રાહત જોવા મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે આશા જાગી છે કે, પાકને પાણીની જરૂરિયાત પૂરી થશે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાઈ શકે છે. ચોમાસુ જામતા વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવશે. તમામ લોકો હવે મેઘરાજાના વધામણાં કરવાની તૈયારીમાં છે.

દીકરીઓ માટે અસુરક્ષિત બન્યું શિક્ષણધામ! શિક્ષકની હેવાનિયત સામે આવતા ચકચાર

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સિનિયર કે.જી.ની પાંચ વિદ્યાર્થીનીઓ સાથે 55 વર્ષીય શિક્ષક દ્વારા કથિત રીતે શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ નોંધાતા પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી છે.

નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ કરતો અડપલાં
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી શિક્ષક દેવાણંદ બેરાએ 28 જૂન 2025થી 2 મે 2026 દરમિયાન શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે અયોગ્ય શારીરિક વર્તન કર્યું હતું. આરોપીએ વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ તેમની સાથે અડપલાં કર્યા હોવાનું તેમજ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રકારના યૌન શોષણના આક્ષેપો પણ સામે આવ્યા છે.

વિદ્યાર્થીનીએ માતા-પિતાને કરી જાણ
મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વિદ્યાર્થીનીએ પોતાના માતા-પિતાને ‘બેડ ટચ’ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓએ અન્ય વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરતાં વધુ ચાર બાળકીઓ પણ આ ઘટનાનો ભોગ બની હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

આરોપીની કરાઈ ધરપકડ
એક વિદ્યાર્થીનીની 32 વર્ષીય માતાએ 8 જૂન, 2026ના રોજ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2), 351(2), 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8 અને 10 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ 9 જૂને આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય કોઈ વિદ્યાર્થી આ ઘટનાનો ભોગ બન્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

શુભેન્દુ સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો

0

પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે મંત્રીઓમાં વિભાગોનું ઔપચારિક વિતરણ કરતી એક નવી સૂચના બહાર પાડી. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગૃહ અને પહાડી બાબતો, જમીન અને જમીન સુધારણા, શરણાર્થી રાહત અને પુનર્વસન, વીજળી, માહિતી અને સંસ્કૃતિ, અને કર્મચારી અને વહીવટી સુધારા જેવા મુખ્ય વિભાગો સોંપવામાં આવ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા વિભાગો જાળવી રાખશે.

નિશીથ પ્રમાણિક આ વિભાગો સંભાળશે
કેબિનેટ મંત્રીઓમાં, નિશીથ પ્રમાણિકને ઉત્તર બંગાળ વિકાસ અને જળ સંસાધન તપાસ અને વિકાસ વિભાગ, અશોક કીર્તનિયાને ખાદ્ય અને પુરવઠા અને સહકાર વિભાગ, દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. જ્યારે ખુદીરામ ટુડુને આદિજાતિ વિકાસ, લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અગ્નિમિત્ર પાલને શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતો વિભાગ સોંપવામાં આવ્યો છે.

કોને કયો વિભાગ મળ્યો?
રાજ્ય સરકારે દીપક બર્મનને શાળા શિક્ષણ, આવાસ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપી છે. તાપસ રોયને ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યોગસાહસ, જાહેર ઉપક્રમો અને ઔદ્યોગિક પુનર્નિર્માણ તેમજ બિનપરંપરાગત અને નવીનીકરણીય ઊર્જા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

શંકર ઘોષને પ્રવાસન અને સંસદીય બાબતો વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે મનોજ કુમાર ઉરાંવ વન અને પર્યાવરણ વિભાગ સંભાળશે, તેમજ અર્જુન સિંહને શ્રમ અને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

કેબિનેટના અન્ય મંત્રીઓમાં જગન્નાથ ચટ્ટોપાધ્યાયને ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. સ્વપન દાસગુપ્તા નાણાં વિભાગની જવાબદારી સંભાળશે. કલ્યાણ ચક્રવર્તીને માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, બાયોટેકનોલોજી તેમજ ફૂડ પ્રોસેસિંગ અને બાગાયત વિભાગો સોંપવામાં આવ્યા છે.

આ ઉપરાંત શરદવત મુખર્જી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો કાર્યભાર સંભાળશે, જ્યારે અરુપ કુમાર દાસને સિંચાઈ અને જળમાર્ગ વિભાગ તેમજ અજય કુમાર પોદ્દારને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ અને જાહેર બાંધકામ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દૂધ કુમાર મંડલને કૃષિ વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે.

બિહારમાં જળ જીવન મિશન 2.0નો પ્રારંભ: હવે દરેક ઘરમાં સતત અને શુદ્ધ પાણી પહોંચાડવા પર ભાર

0

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને બિહાર સરકાર વચ્ચે ‘જળ જીવન મિશન 2.0’ માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બિહારમાં 96 ટકા ગ્રામીણ પરિવારો સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાની નોંધપાત્ર સફળતા બાદ હવે યોજનાના બીજા તબક્કામાં પાણીની સતત ઉપલબ્ધતા અને વ્યવસ્થાના અસરકારક સંચાલન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

બિહારમાં જળ જીવન મિશન 2.0: પાણીની સાતત્યતા પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્રને સાકાર કરતા બિહારના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નવા કરારનો મુખ્ય હેતુ અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને જાળવી રાખવાનો અને પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવાનો છે.

બિહાર સરકારે અગાઉના જળ જીવન મિશન અંતર્ગત રાજ્યના 96 ટકા ગ્રામીણ ઘરોમાં નળ કનેક્શન પહોંચાડીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. હવે જળ જીવન મિશન 2.0 હેઠળ સરકારનું ધ્યાન માત્ર નવા કનેક્શન આપવા પર નહીં, પરંતુ પાણીની ગુણવત્તા, નિયમિત પુરવઠો અને પાઈપલાઈન સહિતની સમગ્ર ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પર રહેશે.

આ MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રી ડો. રાજભૂષણ ચૌધરી, બિહારના PHED મંત્રી સંજય કુમાર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કરાર દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી દરેક પરિવાર સુધી શુદ્ધ, સુરક્ષિત અને સતત પીવાનું પાણી પહોંચતું રહે.

નાસીરનગર ડિમોલિશન મામલે મનપા એક્શનમાં: કર્મચારીઓની ભૂમિકા તપાસવા કમિટી રચાઈ

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનન મામલે આજે કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોની સાથે રહીને મનપાની મુખ્ય કચેરી તાપી ભવન બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 3 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ તો સમગ્ર કાર્યવાહીની તપાસ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે, દિનદડાડે યુનિફોર્મ પહેરીને સરકારી મશીનરી લાવી 500 જેટલા પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજે 10 દિવસ થવા છતાં કોઈ કાર્યવાડી નથી કરવામાં આવી, આ જંગલરાજ નહીં તો બીજુ શુ છે?

વરસાદ માથા પર છે ત્યારે પહેરેલા કપડે આ લોકો રોડ ઉપર આવી ગયા છે. એમને હજુ ન્યાય નથી મળ્યો. અમે મનપા કમિશ્નર પાસે તાત્કાલિક આ લોકોને ઘર બનાવી આપવામાં આવે અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી છે. જો જરુર પડશે તો અમે આ વિસ્થાપિત લોકોને લઈને મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નરના બંગલા પર રહેવા જઈશું, આ લોકોને ન્યાય નહી મળે ત્યાં સુધી અમારું આંદોલન શરુ રહેશે.

કોંગ્રેસના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અર્શદ જરીવાલાએ જણાવ્યું કે, જેટલા પણ અધિકારી છે તેમના મોઢા પર દેખાય છે કે તેમણે પાપ કર્યું છે, અમે જયારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે રજૂઆત શાંતિથી સાંભળે છે અને માત્ર તપાસ ચાલુ છે તેમ કહે છે પણ કેટલા દિવસ તપાસ થવાની અને કેટલા પુરાવા આપવાના, બધા પુરાવા આપ્યા છે, પણ એ લોકોને પુરાવા જોઈતા જ નથી અને ન્યાય આપવો જ નથી.

ન્યાય આપવો જ હોય તો 12 દિવસથી આ લોકો ખાધા પીધા વગર બેઠા છે, આ લોકોનું શું વાંક છે. આ લોકો 40 થી 50 વર્ષથી ત્યાં વસવાટ કરે છે, આ લોકોને ન્યાય ઈશ્વર આપશે અને ઈશ્વર કોઈને છોડતો નથી. સમગ્ર કોંગ્રેસ આ લોકોની સાથે છે અને ગુજરાત પ્રદેશના બધા જ નેતાઓ અહિયાં રોડ પર ઉતરવાના છે.

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસ દ્વારા મનપા કચેરી બાદ મનપા કમિશ્નરના બંગલે પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, મ્યુનિસિપલ કમિશનરના બંગલા પર વિરોધ કરવા માટે ભેગા થયેલા નાસીરનગરના લોકો અને કોંગ્રેસ નેતા અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાન ACP મલ્હોત્રાએ ધરણા પર બેસેલા કોંગ્રેસના નેતાઓને ત્યાં વિરોધ ન કરવા જણાવવામાં આવ્યું ડતું અને ડીટેઈન કરી લેવાની વાત કરી, ત્યારે પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલ વાલાએ કહ્યું કે તમે અમને ગોળી મારી દો અમે ગોળી ખાવા તૈયાર છીએ.

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યુ રાજીનામુ

0

તૃણમૂલ કોંગ્રેસ (TMC) જ્યારે પહેલેથી જ આંતરિક અસંતોષ અને પક્ષપલટાની ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે સુષ્મિતા દેવનું આ પગલું પક્ષ માટે બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. જો કે, તેમણે આ રાજીનામું કયા કારણોસર આપ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા દેવ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે ટીએમસીનો એક મજબૂત અને જાણીતો ચહેરો રહ્યા છે.

TMCમાં ભડકો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે માત્ર એક મહિનાની અંદર જ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ હાઈકમાન્ડથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે.

સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના નેતાઓ એક પછી એક પક્ષને અલવિદા કહી રહ્યા છે, જેના કારણે મમતા બેનર્જી રાજકીય રીતે એકલા પડતા દેખાઈ રહ્યા છે. કાકોલી ઘોષ દસ્તીદાર અને સુખેન્દુ શેખર જેવા મમતાના અતિ નજીકના નેતાઓએ પહેલા જ બળવાખોર વલણ અપનાવ્યું છે, અને હવે સુષ્મિતા દેવે પણ રાજ્યસભાનું સભ્યપદ છોડી દેતા ટીએમસી બેકફૂટ પર આવી ગઈ છે.

સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની હાલત પત્તાના મહેલ જેવી થઈ ગઈ છે. ધારાસભ્ય દળમાં તિરાડ પડ્યા બાદ હવે સાંસદોમાં પણ મોટું ભંગાણ નક્કી માનવામાં આવી રહ્યું છે. બળવાખોર જૂથનો દાવો છે કે ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો ટૂંક સમયમાં જ નવું જૂથ બનાવીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપી શકે છે.

શું બળવાખોર સાંસદો NDAમાં જોડાશે?
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસે લોકસભાના કુલ ૨૮ સાંસદો છે. બળવાખોર નેતા કાકોલી ઘોષના દાવા અનુસાર, પક્ષના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં તેમના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ તમામ સાંસદોએ એનડીએ (NDA) સાથે જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જો કે, 20 સાંસદોના દાવા વચ્ચે અત્યાર સુધી 14 સાંસદોના નામ સત્તાવાર રીતે સામે આવ્યા છે જેઓ કાકોલી ઘોષના આ જૂથમાં સક્રિય છે.

અન્ય અગ્રણી સાંસદો
બાપી હલદર, અરૂપ ચક્રવર્તી, જૂન માલિયા, કાલીપદા સરેન, જગદીશ બસુનિયા, અસિત મલ, અબુ તાહિર ખાન, ખલીકુર રહમાન, શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી અને પાર્થ ભૌમિક. રાજકીય વિશ્લેષકોના મતે, જો આ આખો જૂથ ટીએમસીથી અલગ થશે તો પશ્ચિમ બંગાળ સહિત રાષ્ટ્રીય રાજકારણમાં મમતા બેનર્જીના પક્ષનું વર્ચસ્વ નહિવત થઈ જશે.

અમદાવાદમાં નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ, 31 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ

અમદાવાદમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી અને મિલાવટી ઘીનું વેચાણ કરતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને અધિકારીઓએ આશરે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 31.81 લાખથી વધુ થાય છે. AMCની આ કાર્યવાહીએ મિલાવટખોરોમાં ખળભળાટ મચાવી દીધો છે.

ફૂડ વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે CTM નજીક આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. અહીં “રિધમ કાઉ ઘી” અને “વચનામૃત કાઉ ઘી”ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કાર્યરત વેપારી પાસેથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ઘીની કિંમત રૂ. 21.31 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર એકમને સીલ કરી ઘીના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બંને બ્રાન્ડનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક આવેલી “સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ” નામની એકમમાં કરવામાં આવતું હતું. ફેક્ટરી શહેરની હદ બહાર આવતી હોવાથી આગળની કાર્યવાહી માટે સમગ્ર કેસ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવ્યો છે.

વટવા અને દૂધેશ્વરમાં પણ દરોડા
મુખ્ય સ્ટોકિસ્ટની પૂછપરછ બાદ AMCની ટીમે વટવામાં આવેલી “વીરકૃપા ટ્રેડિંગ” અને દૂધેશ્વરની “ત્રિશાલા એજન્સી” પર પણ કાર્યવાહી કરી હતી. બંને સ્થળોએથી વધુ 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 10.49 લાખ જેટલી થાય છે.

લેબ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી
ત્રણેય સ્થળોએથી લેવામાં આવેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર વેપારીઓ સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006’ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. AMCએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.

સીએમ ઓફિસ, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, AMC મુખ્ય કચેરી ખાલી કરાવાઈ

અમદાવાદ અને ગાંધીનગરમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈ-મેલ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અલગ-અલગ ઈ-મેલ આઈડી પરથી મોકલાયેલા સંદેશાઓમાં CM ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરી અને RSS કચેરીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઈ-મેલમાં CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક માટે દિલ્હીમાં છે, ત્યારે આ ધમકી મળતાં સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

ધમકી મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડ, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકીભર્યા ઈ-મેલના સોર્સ અને મોકલનારની ઓળખ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હાઈ-એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરના તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના જામનગરમાં સ્થપાશે ભારતનું પ્રથમ AI ડેટા સેન્ટર

આ કરાર અંતર્ગત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 168 મેગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર બનાવશે, જેને મેટા કંપની ભાડે રાખશે. ભવિષ્યમાં મેટા પાસે આ સેન્ટરની ક્ષમતા વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ ભાગીદારી અંગે મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, “ભારતમાં અમારા પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે કામ કરવાનો અમને ગર્વ છે.

જામનગરની આ વિશ્વસ્તરીય સુવિધા અમને વૈશ્વિક સ્તરે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવામાં મદદ કરશે અને ભારતની અર્થવ્યવસ્થામાં અમારા લાંબા ગાળાના રોકાણને વધુ મજબૂત કરશે.”

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા, ભારતમાં ચેન્નાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે માર્ચમાં જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે તેમણે રિલાયન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડેટા સેન્ટર મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક રીતે યુઝર-જનરેટેડ કન્ટેન્ટ પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ભારતમાં 5 ગીગાવોટ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ડેટા સેન્ટર્સને આજના ડિજિટલ યુગની કરોડરજ્જુ માનવામાં આવે છે. કારણ કે ક્લાઉડ સેવાઓ, ઓનલાઈન પ્લેટફોર્મ અને AI સિસ્ટમ્સ તેમના પર આધાર રાખે છે. કંપની માને છે કે, આગામી વર્ષોમાં AI અને ક્લાઉડ સેવાઓની માંગ ઝડપથી વધશે. જેના માટે એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. આ રોકાણ દરખાસ્ત આને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.