Home Blog Page 64

સીએમ ઓફિસ, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, AMC મુખ્ય કચેરી ખાલી કરાવાઈ

અમદાવાદ અને ગાંધીનગરમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈ-મેલ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અલગ-અલગ ઈ-મેલ આઈડી પરથી મોકલાયેલા સંદેશાઓમાં CM ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરી અને RSS કચેરીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઈ-મેલમાં CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક માટે દિલ્હીમાં છે, ત્યારે આ ધમકી મળતાં સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

ધમકી મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડ, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકીભર્યા ઈ-મેલના સોર્સ અને મોકલનારની ઓળખ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હાઈ-એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરના તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના જામનગરમાં સ્થપાશે ભારતનું પ્રથમ AI ડેટા સેન્ટર

આ કરાર અંતર્ગત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 168 મેગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર બનાવશે, જેને મેટા કંપની ભાડે રાખશે. ભવિષ્યમાં મેટા પાસે આ સેન્ટરની ક્ષમતા વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ ભાગીદારી અંગે મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, “ભારતમાં અમારા પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે કામ કરવાનો અમને ગર્વ છે.

જામનગરની આ વિશ્વસ્તરીય સુવિધા અમને વૈશ્વિક સ્તરે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવામાં મદદ કરશે અને ભારતની અર્થવ્યવસ્થામાં અમારા લાંબા ગાળાના રોકાણને વધુ મજબૂત કરશે.”

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા, ભારતમાં ચેન્નાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે માર્ચમાં જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે તેમણે રિલાયન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડેટા સેન્ટર મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક રીતે યુઝર-જનરેટેડ કન્ટેન્ટ પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ભારતમાં 5 ગીગાવોટ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ડેટા સેન્ટર્સને આજના ડિજિટલ યુગની કરોડરજ્જુ માનવામાં આવે છે. કારણ કે ક્લાઉડ સેવાઓ, ઓનલાઈન પ્લેટફોર્મ અને AI સિસ્ટમ્સ તેમના પર આધાર રાખે છે. કંપની માને છે કે, આગામી વર્ષોમાં AI અને ક્લાઉડ સેવાઓની માંગ ઝડપથી વધશે. જેના માટે એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. આ રોકાણ દરખાસ્ત આને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

ભારતને મોટો ઝટકો: હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

0

અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજી ઈજાના કારણે ત્રણ મેચની સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન હાર્દિકની ક્વાડ્રિસેપ્સ (જાંઘની માંસપેશી)માં ખેંચાણ આવ્યું હતું. હાર્દિક હાલમાં જ IPL દરમિયાન થયેલી પીઠની ખેંચાણ (બેક સ્પાઝમ)ની ઈજામાંથી સાજા થઈ રહ્યા હતા. રોહિત શર્માની સાથે હાર્દિકને પણ CoE તરફથી રમવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે સામે આવ્યું છે કે ફિટનેસ ટેસ્ટ દરમિયાન નવી ઈજા સામે આવતાં તેમની વાપસી ફરી લંબાઈ ગઈ છે.

ફિટનેસ ટેસ્ટમાં વધી મુશ્કેલી
માહિતી મુજબ, હાર્દિકે ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન સંપૂર્ણ 10 ઓવર બોલિંગ કરી હતી. જોકે, આ દરમિયાન તેમની ક્વાડ્રિસેપ્સ માંસપેશીમાં ખેંચાણ આવી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઈજા એટલી ગંભીર છે કે તેમને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી રિહેબ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સંપૂર્ણ સાજા થવા માટે લગભગ ત્રણ અઠવાડિયાનો સમય લાગશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં તેમના રમવાની કોઈ શક્યતા નથી, કારણ કે ત્યાં સુધી તેમનો રિહેબ પૂર્ણ થઈ શકશે નહીં.” જોકે, આ માહિતી સામે આવ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. ચાહકોનું કહેવું છે કે જ્યારે મંગળવારે તેમને ફિટનેસ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, તો પછી માત્ર એક દિવસ બાદ કેવી રીતે બહાર આવ્યું કે તેઓ સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં અને નવી ઈજા સામે આવી છે? સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે ટીમની અંદર કંઈક ચાલી રહ્યું છે.

શનિવારથી શરૂ થશે સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ 14 જૂનથી ધર્મશાલામાં શરૂ થશે. ત્યારબાદ બીજી મેચ 17 જૂને લખનૌમાં અને ત્રીજી મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે. હાર્દિકના બહાર થવાથી ટીમ ઈન્ડિયાના સંતુલન પર અસર પડી શકે છે, કારણ કે તેઓ બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વન-ડે યોજનાઓનો મહત્વનો ભાગ છે હાર્દિક
હાર્દિક પંડ્યાને તાજેતરમાં ભારતીય T20 ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો જેથી તેઓ વન-ડે ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટની નજર 2027ના વન-ડે વર્લ્ડ કપ પર છે અને હાર્દિકને આ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

2023ના વન-ડે વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં થયેલી પગની ઘૂંટીની ઈજા બાદ ટીમ ઈન્ડિયાને સંતુલન જાળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ હાર્દિકની ફિટનેસને લઈને વધારાની સાવધાની રાખી રહ્યું છે.

અગરકરે જણાવી હતી પ્રાથમિકતા
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ગયા અઠવાડિયે હાર્દિકની ભૂમિકા અંગે વાત કરતાં કહ્યું હતું કે ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને વન-ડે ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે ફિટ રાખવાનો છે.

અગરકરે કહ્યું હતું, “આ સમયે તેઓ અફઘાનિસ્તાન સિરીઝ માટે વન-ડે ટીમનો ભાગ છે. જસપ્રિત બુમરાહની જેમ જો અમે હાર્દિકને ફિટ રાખી શકીએ અને તેમને વન-ડે ક્રિકેટમાં નિયમિત રીતે રમાડી શકીએ તો એ અમારી પ્રાથમિકતા છે.”

તેમણે આગળ કહ્યું હતું, “તેમને T20 ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય રોટેશન અને વર્કલોડ મેનેજમેન્ટનો એક ભાગ છે. જરૂર પડશે તો અમે તેમને ફરી T20 ટીમમાં સામેલ કરી શકીશું.”

ઈંગ્લેન્ડ સિરીઝ પર પણ નજર
હાર્દિક માટે ચિંતાની વાત એ છે કે અફઘાનિસ્તાન સિરીઝ બાદ આવતા મહિને ઈંગ્લેન્ડ સામે પણ ત્રણ વન-ડે મેચ રમાવાની છે. ભારતીય ટીમ અને BCCI આશા રાખશે કે તેઓ સમયસર ફિટ થઈને વાપસી કરશે, કારણ કે આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખતા તેમની સંપૂર્ણ ફિટનેસ ટીમની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે. ભારતીય ટીમ માટે આ ચોક્કસપણે મોટો ઝટકો છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનું જોખમ લેવાના બદલે હાર્દિકને સંપૂર્ણ રીતે સાજા થવા માટે પૂરતો સમય આપવા માંગે છે.

કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગ્રેનેડ ફાટતાં સેનાના બે જવાન શહીદ

0

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં આકસ્મિક રીતે હેન્ડ ગ્રેનેડ ફૂટવાથી બે સૈનિકો શહીદ થયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉરીના કમલકોટમાં એક કેમ્પમાં નિયમિત સાધનોના વિતરણ દરમિયાન આકસ્મિક રીતે હેન્ડ ગ્રેનેડ ફૂટ્યો હતો, જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા.

ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા
સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકોને આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગ્રેનેડ વિસ્ફોટનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને આકસ્મિક વિસ્ફોટ માનવામાં આવી રહ્યો છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. શ્રીનગરમાં સંરક્ષણ મંત્રાલયના પીઆરઓએ જણાવ્યું હતું કે તેઓ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી જ આ ઘટના પર ટિપ્પણી કરશે.

LoC નજીક પાકિસ્તાની કિશોરની અટકાયત
દરમિયાન, મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ સેનાએ 14 વર્ષના પાકિસ્તાની છોકરાની અટકાયત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મેંઢર સેક્ટરના નાગરી ટેકરી વિસ્તારમાં સરહદ પાર કર્યા પછી તરત જ સતર્ક સૈનિકો દ્વારા કિશોરને આગળના વિસ્તારમાં અટકાવવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ રચ્યો નવો ઈતિહાસ: સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. આ સિદ્ધિ બદલ અમેરિકી સાંસદો, બિઝનેસ લીડર્સ અને ભારતીય ડાયસ્પોરાના અગ્રણીઓએ પીએમ મોદીના નેતૃત્વની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે ભારતની બદલાતી વૈશ્વિક છબી અને ભારત-અમેરિકાના મજબૂત સંબંધોનો શ્રેય મોદીના નેતૃત્વને આપ્યો છે.

ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ઉભરી આવ્યા છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ બાદ અમેરિકા સહિત વિશ્વભરના અનેક પ્રભાવશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ભારતીય મૂળના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમના મતે મોદીના નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે અને ભારત-અમેરિકા સંબંધોમાં પણ નવી મજબૂતી આવી છે.

અમેરિકી નેતાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સન્માન

અમેરિકી સેનેટર જોન કોર્નિને સોશિયલ મીડિયા પર પીએમ મોદીને 4,399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 1.4 અબજથી વધુ લોકોનો વિશ્વાસ જીતતા સતત ત્રણ વખત જનાદેશ મેળવવો એ અસાધારણ સિદ્ધિ છે.

આર્થિક ક્રાંતિ:

જોન કોર્નિને મોદીના કાર્યકાળ દરમિયાન થયેલી આર્થિક પ્રગતિને વિશેષ મહત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે લગભગ 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કાર્ય અને ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવું એ ઐતિહાસિક ઉપલબ્ધિ છે.

વૈશ્વિક પ્રભાવ:

ટેક્સાસ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અરુણ અગ્રવાલે જણાવ્યું કે 2014 અને 2026ના ભારત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. તેમના જણાવ્યા અનુસાર ભારત હવે માત્ર સંભાવનાઓ ધરાવતો દેશ નથી, પરંતુ તે સંભાવનાઓને સફળતામાં ફેરવતો દેશ બની ગયો છે. આજે ભારત વૈશ્વિક મંચ પર વધુ આત્મવિશ્વાસ સાથે પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે.

કોર્પોરેટ જગતની પ્રશંસા:

સાયબર સુરક્ષા ક્ષેત્રની અગ્રણી કંપની પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ નિકેશ અરોરાએ પણ વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મોદીના નેતૃત્વને ભારત માટે “રૂપાંતરકારી” ગણાવ્યું અને ભવિષ્યમાં ભારત-અમેરિકા ભાગીદારી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરી હતી.

રાજદ્વારી કુશળતાના વખાણ

અમેરિકાની જાણીતી ગાયિકા મેરી મિલ્બેને આ પ્રસંગને ભારતના લોકશાહી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ વિવિધ અમેરિકી રાષ્ટ્રપતિઓ સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે અને દરેક સમયે ભારતના હિતોને પ્રાથમિકતા આપી છે. સાથે જ તેમણે ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મેરી મિલ્બેને ઉમેર્યું કે મોદીનું નેતૃત્વ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

4,399 દિવસનો આ લાંબો કાર્યકાળ માત્ર એક આંકડો નથી, પરંતુ ભારતના વૈશ્વિક ઉદયની એક ગાથા છે. આ સમયગાળા દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અસરકારક હાજરી નોંધાવી છે અને અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. વિશ્વભરના નેતાઓને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષોમાં વધુ નવી ઊંચાઈઓ સર કરશે.

પશ્ચિમ બંગાળના TMC નેતા જહાંગીર ખાનને કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

0

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિસ્તારના તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા જહાંગીર ખાનને ડાયમંડ હાર્બર કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. સોમવારે ભારત-નેપાળ સરહદ નજીકથી તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી જહાંગીર ખાન ફરાર હતા. તેમના વિરુદ્ધ ખંડણી ઉઘરાવવી, ધાકધમકી આપવી અને અન્ય ગંભીર ગુનાઓના આરોપો નોંધાયેલા છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા.

અંતે ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઉત્તર બંગાળમાં ભારત-નેપાળ સરહદ નજીક ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા જહાંગીર ખાનને ઝડપી પાડ્યા હતા. ધરપકડ બાદ તેમને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કોલકાતા હાઈકોર્ટે જહાંગીર ખાનને ધરપકડથી વચગાળાની રાહત આપી હતી. જોકે, 26 મેના રોજ આ રાહત રદ કરવામાં આવી હતી. કોર્ટની સુરક્ષા હટતા જ પોલીસ સક્રિય બની હતી, જેના કારણે જહાંગીર ખાન માટે કાનૂની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

જહાંગીર ખાન તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ફાલ્ટા વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન તેમણે IPS અધિકારી અજય પાલને કથિત રીતે ‘પુષ્પા’ ફિલ્મની શૈલીમાં ધમકી આપી હતી. તેમના પર TMC શાસન દરમિયાન ખંડણી અને ધાકધમકી જેવા અનેક ગુનાઓમાં સંડોવણીના આરોપો પણ છે.

ફાલ્ટા વિધાનસભા બેઠક માટે 29 એપ્રિલે યોજાયેલા મતદાન દરમિયાન EVM સાથે છેડછાડ અને ચૂંટણીમાં ગેરરીતિની અનેક ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ચૂંટણી રદ કરી હતી અને 21 મેના રોજ ફરી મતદાન યોજવાનો નિર્ણય લીધો હતો.

પુનઃમતદાન પહેલાં જ TMC ઉમેદવાર જહાંગીર ખાન ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ કેન્દ્રીય સુરક્ષા દળોની દેખરેખ હેઠળ યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાએ 1,09,021 મતના રેકોર્ડ માર્જિનથી ભવ્ય જીત મેળવી હતી. CPI(M)ના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા હતા, જ્યારે TMC ઉમેદવારની સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.

હાલ પોલીસે જહાંગીર ખાનની પૂછપરછ શરૂ કરી છે અને તેમના વિરુદ્ધ નોંધાયેલા વિવિધ કેસોની તપાસને વધુ વેગ આપ્યો છે.

ક્યુબામાં 6.1નો શક્તિશાળી ભૂકંપ, દક્ષિણ ઈરાનમાં પણ અનુભવાયા આંચકા

ક્યુબા અને ઈરાન બંનેમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભારતીય સમય મુજબ ગઇકાલે મોડી રાત્રે ક્યુબાના ઉત્તરપશ્ર્ચિમ કિનારા પર એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જ્યારે આજે સવારે દક્ષિણ ઈરાનમાં એક અલગ ભૂકંપ અનુભવાયો. ક્યુબા નજીક 6.1 ની તીવ્રતાનો ભૂકંપ કેરેબિયન, મેક્સિકો અને ફ્લોરિડાના કેટલાક ભાગોમાં અનુભવાયો, જ્યારે ઈરાનના હોર્મોઝગન પ્રાંતમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ક્યુબાના ઉત્તરપશ્ચિમ કિનારે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને નિષ્ણાતોએ ઐતિહાસિક રીતે શક્તિશાળી અને પ્રદેશ માટે અસામાન્ય ગણાવ્યો હતો. ભૂકંપ 26 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ પશ્ચિમ ક્યુબામાં મન્ટુઆથી આશરે 104 કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં હતું, જે હવાનાથી રોડ માર્ગે લગભગ બે થી ચાર કલાક દૂર હતું.

ધરતીકંપ અસામાન્ય હતો કારણ કે તે ટેકટોનિક પ્લેટની અંદર આવ્યો હતો, પ્લેટની સીમા સાથે નહીં જ્યાં વધુ શક્તિશાળી ધરતીકંપો સામાન્ય રીતે કેન્દ્રિત હોય છે. તેઓએ કહ્યું કે 1880માં સાન ક્રિસ્ટોબલ નજીક આવેલા અંદાજિત 6.0 ની તીવ્રતાના ભૂકંપ પછી આ પ્રદેશના 332 કિલોમીટરના ત્રિજ્યામાં આવો કોઈ ભૂકંપ આવ્યો નથી.

ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, મંગળવારે વહેલી સવારે ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 22 કિલોમીટર નીચે હતું. જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. ઈરાન વિશ્વના સૌથી વધુ ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય દેશોમાંનો એક છે અને ઘણી મોટી ફોલ્ટ લાઇન પર સ્થિત હોવાથી, વારંવાર ભૂકંપ આવે છે.

સુરતના લાલગેટ કાપડ બજારમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગ, 10 લોકોનું સફળ રેસ્ક્યુ

0

સુરતના લાલગેટ વિસ્તારમાં આજે સવારે એક કાપડની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પાંચ માળની સમગ્ર બિલ્ડિંગ ધુમાડાથી ભરાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ લાલગેટ વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. કાપડનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે ઉત્પન્ન થયેલો ધુમાડો ઉપરના માળ સુધી ફેલાઈ જતા બિલ્ડિંગમાં રહેતા 10 જેટલા લોકો ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, સૌથી પહેલા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે ધુમાડામાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ સીડીની મદદથી એક પછી એક તમામ 10 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.

લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલો લાખો રૂપિયાનો કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશી વિવાદ બન્યો જીવલેણ: મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો ચોંકાવનારો અંત આવ્યો છે. બોપલના એક ફ્લેટમાં નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો કરી મારામારી કરનાર એક નામચીન આરોપી પોલીસ આવવાના ભયથી ભાગવા જતાં ચોથા માળેથી લપસીને નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે આ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. બોપલ પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજસીટોક અને NDPS સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો મૃતક
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે હત્યાના પ્રયાસ , મારામારી, ગુજસીટોક અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો. તે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો.

ગઈકાલે રાત્રે નશાની હાલતમાં ફ્લેટના રહીશો પર કર્યો હુમલો
ગત રાત્રે (8 જૂન) મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે માથાકૂટ કરી હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે પાડોશીઓ સાથે બેફામ મારામારી શરૂ કરી દીધી હતી. મહાવીરસિંહના સતત વધી રહેલા ત્રાસ અને આતંકથી કંટાળીને ફ્લેટના સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

પોલીસની ગાડી જોઈ ચોથા માળેથી ભાગવા ગયો અને પગ લપસ્યો
સ્થાનિકોએ જણાવ્યું છે કે પોલીસ આવી હોવાની ખબર પડતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસ્યો અને તે ચોથા માળેથી સીધો નીચે પટકાયો હતો, તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ પીએમ માટે મોકલ્યો
પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડી ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આથી હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મૃતક વિરૂદ્ધ અગાઉથી જ અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.

‘લવ જેહાદ રોકવા ભગવાન શ્રીરામ સૌથી મોટા આદર્શ’; CM યોગીનું શામલી કેસ વચ્ચે મોટું નિવેદન

0

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજની નવ દિવસીય શ્રીરામ કથાનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જગદગુરુ રામભદ્રાચાર્યના મંચ પરથી સંબોધન કરતાં તેમણે ભગવાન શ્રીરામના ચરિત્ર અને રામાયણને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે ભગવાન શ્રીરામ સૌથી મોટા આદર્શ ઉદાહરણ છે. તેમણે મારીચ અને સુબાહુને “લેન્ડ જેહાદ” સાથે જોડાયેલા તત્વો ગણાવ્યા હતા. યોગીએ કહ્યું કે રામકથા માત્ર સાંભળવાનો નહીં પરંતુ સમજવાનો વિષય છે. તેમના આ નિવેદનને તાજેતરના શામલી પ્રકરણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

CM યોગીએ શું કહ્યું?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વધતા લવ જેહાદના મામલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામ આવા કિસ્સાઓને રોકવા માટેનું સૌથી મોટું ઉદાહરણ છે.

યોગીએ જણાવ્યું કે લગભગ પાંચ સદીઓ સુધી ભગવાન શ્રીરામને તેમની જન્મભૂમિ પર પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં કોર્ટનો ચુકાદો આવ્યો હતો, જેમાં જગદગુરુ રામભદ્રાચાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ દેશ અને રાજ્યમાં નકારાત્મક શક્તિઓ પ્રભાવશાળી બને છે, ત્યારે સૌથી પહેલા ધર્મ પર હુમલો થાય છે. આવી શક્તિઓ સમાજને નુકસાન પહોંચાડે છે અને શૈક્ષણિક સંસ્થાઓને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

રાવણના ઉદાહરણથી સમજાવ્યું
મુખ્યમંત્રીએ કહ્યું કે નકારાત્મક શક્તિઓ હંમેશા સ્થાપિત વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, જેમ કે રાવણે પોતાના સમયમાં કર્યું હતું. રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું, જેના વિરોધમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે સંપૂર્ણ શક્તિ સાથે પ્રયાસ કર્યો હતો. તેમણે ઉત્તર અને દક્ષિણ ભારતને જોડવાનું કામ કર્યું અને નારી સન્માન તથા સુરક્ષાનું ઉદાહરણ પૂરું પાડ્યું. યોગીના મતે, લવ જેહાદ સામે લડવા માટે ભગવાન શ્રીરામનું જીવન સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત છે.

લવ જેહાદ મુદ્દે કડક વલણ
મુખ્યમંત્રીએ કહ્યું કે લવ જેહાદ અંગે સૌથી પહેલાં વર્ષ 2009 અને 2011માં કેરળ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો કે તેને ધાર્મિક જનસાંખ્યિકી બદલવાના કાવતરાના ભાગરૂપે જોવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

યોગીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2020માં લવ જેહાદ રોકવા માટે કડક કાયદો બનાવ્યો હતો. તેમ છતાં, હજુ પણ આ મુદ્દે વ્યાપક જનજાગૃતિની જરૂર છે. તેમણે સમાજને સતર્ક રહેવાની અપીલ કરતાં કહ્યું કે સમાજના સ્તરે એકસાથે વિચારવું અને પગલાં ભરવા જરૂરી છે.

‘લેન્ડ જેહાદ’નો પણ ઉલ્લેખ
મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજને એવા લોકો સામે પણ સજાગ રહેવું પડશે, જેઓ જમીનની જનસાંખ્યિકી બદલવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામે પણ પોતાના સમયમાં આવા તત્વો સામે લડત આપી હતી.

યોગીના જણાવ્યા મુજબ, મારીચ અને સુબાહુ પણ “લેન્ડ જેહાદ” સાથે જોડાયેલા હતા અને તેઓ જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરતા હતા. આવા તત્વો સામે સમાજે એકજૂટ થઈને કામ કરવું પડશે.

શામલી કેસ ફરી ચર્ચામાં
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં તાજેતરમાં લવ જેહાદનો એક ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. આરોપ છે કે જીમ ટ્રેનર ચાંદની કુરૈશીના પ્રેમસંબંધમાં આવીને દવા વેપારીના પુત્ર આયુષ મલિકે ધર્મપરિવર્તન કર્યું હતું અને પોતાનું નામ મોહમ્મદ અલી રાખ્યું હતું.

જોકે, બાદમાં આયુષ મલિકનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેણે પોતાની ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યાનો દાવો કર્યો હતો. CM યોગી આદિત્યનાથના તાજેતરના નિવેદન બાદ શામલીનો આ મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.