Home Blog Page 51

નાશિકમાં બૅન્ક સાથે 38 કરોડની છેતરપિંડી: જવેલર્સની ધરપકડ

0

ટીજેએસબી કો-ઑપરેટિવ બેન્ક સાથે ૩૮ કરોડ રૃપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ નાશિક પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે બાફના જવેલર્સના ડિરેકટર નીલેશ બાફનાની ધરપકડ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે બેન્ક અધિકારીની ફરિયાદને આધારે સરકારવાડા પોલીસે શનિવારે નીલેશ સુભાષ બાફના, સુભાષ લખીચંદ બાફના, નર્મતા નીલેશ બાફના, પ્રભાવતી સુભાષ બાફના, સરલા પારસમલ બાફના અને ગેરન્ટર કાંતિલાલ લખીચંદ બાફના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે રવિવારે નીલેશ બાફનાની ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૨૬ જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. વધુ તપાસ માટે આ કેસ આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બાફનાએ ૧૯૯૮માં ટીજેએસબી બેન્ક પાસેથી ૯૦ લાખની કેશ ક્રેડિટ લીધી હતી. તેણે સમયાંતરે પુનૅચુકવણી કરીને તેણે બેન્ક અધિકારીઓનો વિશ્વાસ જીત્યો હતો.ત્યાર બાદ તેણે સમયાંતરે વધુ લોનની માગણી કરી હતી, જેનો આંકડો ૪૪ કરોડ રૃપિયા સુધી પહોંચ્યો હતો. જોકે માર્ચ, ૨૦૨૫થી તેણે નિયમિત રીતે લોનના વ્યાજની ચુકવણી કથિત રીતે કરી નહોતી.

અધિકારીએ જણાવ્યું હતું કે બાફનાનું એકાઉન્ટ નોન-પરફોર્મિંગ એસેટ બની ગયું હતું. બેન્કે પછી તેની મિલકતોને ટાંચ મારવાની પ્રક્રિયા શરૃ કરી હતી. ૧૨ મેના રોજ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટના આદેશ પછી બેન્કે ત્રીજી જૂને બાફનાને એક નોટિસ મોકલાવી હતી અને દુકાનમાંનો બધો સામાન કબજામાં આપવાનું કહ્યું હતું. જોકે બાફનાએ દુકાનની કસ્ટડી આપી નહોતી.

પરિણામે પોલીસની મદદથી દુકાનનું શટર તોડવામાં આવ્યું હતું. જોકે દુકાનમાંથી માત્ર રૃપિયા ૨૫,૧૯,૨૫૦ મૂલ્યનો સામાન મળી આવ્યો હતો. આરોપીએ ૫૯.૦૭ કરોડ રૃપિયાનો સામાન હોવાનું ખોટું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું અને તે દસ્તાવેજો સાચા હોવાનું દર્શાવ્યું હતું. એવું પોલીસે જણાવ્યું હતું.

આ દસ્તાવેજોને આધારે બેન્કમાંથી વિવિધ લોન સુવિધાઓ અને કેશ ક્રેડિટ લેવામાં આવી હતી. ૧૯૯૮થી આરોપીના ટ્રાન્ઝેકશનની તપાસ કરવામાં આવતાં આ છેતરપિંડી સામે આવી હતી. પરિણામે બેન્ક અધિકારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલો સુપ્રીમ કોર્ટમાં, તાત્કાલિક સુનાવણીની માગ

0

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરીનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે જેમાં આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે સંબંધિત નાણાકીય અનિયમિતતાઓ અને કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

અરજદારોએ આ મામલે તાત્કાલિક FIR નોંધવા અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી છે. તેમણે કોર્ટને દાન ભંડોળમાં કોઈ ગેરરીતિ, ઉચાપત અથવા ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે સ્થાપિત કરવા માટે CBI-SIT ને સમયમર્યાદામાં પારદર્શક તપાસ કરવા માટે નિર્દેશ આપવા પણ વિનંતી કરી છે.

બે વકીલો દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે
આ અરજી વકીલો અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને ટ્રસ્ટને એક મજબૂત નિયમનકારી, દેખરેખ અને ઓડિટ સિસ્ટમ સ્થાપિત કરવા માટે નિર્દેશ આપવામાં આવે જે જનતા અને લાખો ભક્તોના વિશ્વાસને જાળવી રાખે.

“એફઆઈઆર વગર તપાસ શરૂ થઈ”
અરજીમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી વર્તમાન એસઆઈટીએ એફઆઈઆર કે નિયમિત ફોજદારી કેસ વગર તપાસ શરૂ કરી છે. વહીવટી અધિકારીઓની બનેલી આ એસઆઈટી પાસે જટિલ નાણાકીય અને ફોજદારી કેસોને હેન્ડલ કરવા માટે વિશેષ કુશળતા હોઈ શકે નહીં.

અરજદારોનો દલીલ છે કે આ કેસની તપાસ એક સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જોઈએ જેની પાસે જટિલ નાણાકીય કૌભાંડોનો સામનો કરવા માટે જરૂરી કુશળતા, સંસાધનો અને સંસ્થાકીય પદ્ધતિઓ હોય, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.

અરજીમાં જણાવાયું છે કે, “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સંબંધિત ગુમ થયેલા ભંડોળ અને અન્ય કથિત અનિયમિતતાઓના અહેવાલો સાચા સાબિત થાય કે ન થાય, આવા અહેવાલોએ અયોધ્યાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરતી પેઢીઓમાં ઊંડી ચિંતા પેદા કરી છે.”

કતારના LNG પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 12 ભારતીયો સહિત 13 શ્રમિકોના મોત

0

કતારના વિશ્વવિખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં રવિવારે સાંજે થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. લાંબા સમયથી બંધ રહેલા પ્લાન્ટને ફરી શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન થયેલા આ પ્રચંડ બ્લાસ્ટમાં 12 ભારતીયો સહિત કુલ 13 શ્રમિકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત 66થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી અનેકની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.

રી-સ્ટાર્ટિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી મુજબ રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં આવેલી બારઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં રવિવારે સાંજે પ્લાન્ટને ફરી કાર્યરત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 70 કિલોમીટર દૂર આવેલા દોહા શહેરના વિસ્તારોમાં પણ તેની અસર અનુભવાઈ હતી અને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

12 ભારતીયો સહિત 13 શ્રમિકોના કરુણ મોત

કતારમાં આવેલા ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 શ્રમિકોમાંથી 12 ભારતીય નાગરિકો હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કામદારો ગંભીર રીતે દાઝ્યા અને ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે વ્યક્ત કરી સંવેદના

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘટનાને લઈને ઊંડી શોક સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. સાથે જ ભારતીય દૂતાવાસને મૃતદેહોને વહેલી તકે વતન પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

ટેકનિકલ ખામીના કારણે થયો વિસ્ફોટ

કતારના ઊર્જા મંત્રી અને કતાર એનર્જીના સીઇઓ સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે આ ઘટના કોઈ આતંકી હુમલો કે તોડફોડનું પરિણામ નથી, પરંતુ પ્લાન્ટને ફરી શરૂ કરતી વખતે સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો છે. પ્લાન્ટ ડિસેમ્બર 2025થી જાળવણી માટે બંધ હતો અને થોડા દિવસો પહેલાં જ તેને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તમામ ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. દૂતાવાસ કતાર સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યું છે.

તપાસના આદેશ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ LNG પ્લાન્ટને લાંબા સમય બાદ ફરી શરૂ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને જોખમી હોય છે. આવી સ્થિતિમાં નાની ટેકનિકલ ભૂલ પણ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે કતાર સરકારે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે અને વિગતવાર તપાસના આદેશો આપ્યા છે. કતાર એનર્જી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાથી પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી તેમજ દેશની LNG નિકાસ ક્ષમતા પર પણ હાલ કોઈ અસર થઈ નથી.

સુરતમાં હોટેલના રૂમમાં દંપતીએ પીધી ઝેરી દવા: પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકની સીમાડા સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટેલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોટેલના એક રૂમમાં રોકાયેલા દંપતીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

હોટેલના રૂમમાં ઝેરી દવા પીતા દોડધામ મચી

પ્રાપ્ત માહિતી અનુસાર, દંપતીએ હોટેલના રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ હોટેલ સ્ટાફ રૂમ સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ પત્નીને મૃત જાહેર કરી હતી. જ્યારે પતિને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.

સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક લા મરીના હોટેલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે હોટેલના રૂમને કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. ઉપરાંત એફએસએલ (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ

પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. દંપતી ક્યાંના રહેવાસી હતા, હોટેલમાં ક્યારે રોકાયા હતા અને તેમની હિલચાલ અંગે માહિતી મેળવવા હોટેલના રજિસ્ટર તેમજ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પારિવારિક વિવાદ, આર્થિક સંકટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પતિના નિવેદન બાદ થશે ખુલાસો

પોલીસના જણાવ્યા અનુસાર, હાલ પતિની સ્થિતિ ગંભીર હોવાથી તેનું નિવેદન લઈ શકાયું નથી. તે ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મળી શકે છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે.

રશિયાના ડિફેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર હુમલો, મિસાઇલ ઉત્પાદનને ઝટકો

રશિયાના વોરોનેઝ વિસ્તારમાં આવેલા VZPP-S સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર હુમલો થયાની માહિતી સામે આવી છે. આ પ્લાન્ટ રશિયાના સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર હુમલા બાદ પ્લાન્ટની કામગીરી અને ઉત્પાદન ક્ષમતા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

VZPP-S રશિયાના અગ્રણી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સપ્લાયર્સમાંનું એક છે. અહીં ખાસ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર મેટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક ઘટકોનું ઉત્પાદન થાય છે, જેનો ઉપયોગ Kh-101 ક્રૂઝ મિસાઇલ, ઇસ્કંદર-K મિસાઇલ અને પેન્ટસિર-S1 એર ડિફેન્સ સિસ્ટમ જેવા અદ્યતન લશ્કરી સાધનોમાં થાય છે.

નિષ્ણાતોના મતે, આ પ્રકારના વ્યૂહાત્મક પ્લાન્ટ પર થયેલો હુમલો રશિયાની સંરક્ષણ ઉત્પાદન શ્રેણી માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. આ પ્લાન્ટ લશ્કરી, એરોસ્પેસ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડે છે. જો કે, હુમલાથી થયેલા વાસ્તવિક નુકસાન અથવા સંભવિત જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. રશિયન અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

આ ઘટનાને રશિયાના સંરક્ષણ માળખા અને લશ્કરી ઉત્પાદન ક્ષમતા પર દબાણ વધારનારી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

Ayodhya: રામ મંદિર દાન ચોરી કેસની તાત્કાલિક સુનાવણીનો હાઇકોર્ટનો ઇનકાર

0

અયોધ્યામાં શ્રી રામ મંદિર દાન ચોરી કેસનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

કેગ દ્વારા ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી
આ અરજીમાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા દાનનું ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે. અરજદાર એડવોકેટ મોહિત અશોકે જણાવ્યું હતું કે તેઓ આ મહત્વપૂર્ણ મામલાની વહેલી સુનાવણી માટે કોર્ટને વિનંતી કરશે.

અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ પહોંચી છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી
આ અંગે મળતી માહિતી મુજબ રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં છે. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 140 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

લીંબાયત પોલીસની સતર્કતાથી ગંભીર ગુનો ટળ્યો, ભાઈને મારવા નીકળેલો શખ્સ ઝડપાયો

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ગુનેગારો તથા અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવા પોલીસ સક્રિય રહીને કાર્યવાહી કરી રહી છે.દરમ્યાન પોલીસની સતર્કતાને લીધે એક ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી. પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે તીક્ષણ ચપ્પુ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે ચપ્પુ સાથે પકડાયેલો ઈસમ પોતાના ભાઈને જ મારવા માટે ચપ્પુ લઈને નીકળ્યો હતો

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન અને સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી. ચાવોડની દેખરેખ હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંજયનગર સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે એક શંકાસ્પદ ઈસમને પકડી તેની તપાસ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમ્યાન તેની પાસેથી તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યો હતો.પોલીસે આરોપી ચેતન સંજય પાટીલની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચપ્પુ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપી સંજય પાટીલ અને તેના ભાઈ વચ્ચે માર્કેટમાં કામ બાબત ઝગડો ચાલો રહ્યો હતો આ ઝગડાની અદાવત રાખી તે પોતાના ભાઈને જ મારવા માટે ચપ્પુ લઈને નીકળ્યો હતો જોકે પોલીસની સતર્કતાથી આરોપી કોઈ ગંભીર અપરાધને અંજામ આપે તે પહેલાતેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદથી મળી રાહત તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી, ઉકળાટ અને ભારે બફારા વચ્ચે આજે આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના આગમન સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર બે કલાકમાં જ લગભગ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અરેઠ વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

સુરત શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. પાલ વિસ્તારમાં પણ BRTS બસ કાદવ અને ધસેલા રસ્તામાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સતત આવી રહેલી ઘટનાઓને કારણે રસ્તાની કામગીરી અને તંત્રની તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શહેરમાં ઉધના ઝોનમાં સૌથી વધુ વરસાદ
સુરત શહેરમાં વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાના આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી, રાંદેર અને કતારગામ ઝોનમાં 4-4 મીમી, વરાછા ઝોનમાં 7 મીમી, લિંબાયત ઝોનમાં 12 મીમી અને અઠવા ઝોનમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉધના ઝોનમાં સૌથી વધુ 22 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદ સાથે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વરસાદ શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલી ગઈ હતી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉધના, લિંબાયત, પાલ અને ઉમરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. અનેક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખેડૂતોમાં ખુશીની લહેર
છેલ્લા એક સપ્તાહથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદના આગમન સાથે જ ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. જિલ્લાના મહુવા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું.

કરોડોની કામગીરી છતાં યથાવત સમસ્યાઓ
સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાં વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી રહે છે. આ વખતે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રને દોડધામ કરવી પડી હતી. વરસાદના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે લાંબા સમય બાદ પડેલા વરસાદને કારણે ગરમી અને બફારાથી રાહત મળતાં લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, કહ્યું- દેશહિતમાં લીધો નિર્ણય

0

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પદ છોડ્યા બાદ તેમણે જણાવ્યું કે આ નિર્ણય દેશહિતમાં લેવામાં આવ્યો છે. સ્ટાર્મરે કહ્યું, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય બ્રિટનની ભલાઈ માટે લેવામાં આવ્યો છે.”

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પદ છોડ્યા બાદ તેમણે જણાવ્યું કે આ નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં સ્ટાર્મર એવા છઠ્ઠા વડાપ્રધાન બન્યા છે, જેમણે કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ પદ છોડી દીધું છે.

સ્ટાર્મર પહેલાં પણ પાંચ વડાપ્રધાનોએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં રાજીનામું આપી દીધું હતું. કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચેની રાજકીય સ્પર્ધા ધરાવતા બ્રિટનમાં હવે આગામી વડાપ્રધાન તરીકે લેબર પાર્ટીના નેતા એન્ડી બર્નહેમનું નામ ચર્ચામાં છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે અન્ય સંભવિત ઉમેદવારો કોણ હશે તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. રસપ્રદ વાત એ છે કે રાજીનામા પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બ્રિટનના વડાપ્રધાન ટૂંક સમયમાં પોતાનું પદ છોડવાના છે.

સ્ટાર્મર પહેલાં કયા બ્રિટિશ વડાપ્રધાનોએ આપ્યું હતું રાજીનામું?

  • લિઝ ટ્રસ (Liz Truss)
  • બોરિસ જોન્સન (Boris Johnson)
  • થેરેસા મે (Theresa May)
  • ડેવિડ કેમેરોન (David Cameron)
  • ગોર્ડન બ્રાઉન (Gordon Brown)

વન વિભાગના RFO સામે છેડતીનો કેસ, ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી

0

વાપી ખાતે વન વિભાગની કચેરીમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સામે સહકર્મી મહિલા કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાપીના આરજીઇએસ હાઈસ્કૂલ (RGES High School) નજીક આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશ ડામોર સામે કચેરીમાં કાર્યરત મહિલા કર્મચારીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે દિનેશ ડામોર લાંબા સમયથી તેમની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરતો હતો. જોકે, કચેરીના વાતાવરણ અને અન્ય કારણોસર તે અત્યાર સુધી આ બાબત સહન કરતી આવી હતી.

શુક્રવારે આરોપીએ મહિલાનો હાથ પકડી છેડતી કરતા આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે આરોપીને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (APP) મુકેશ પાટણવાડિયાએ દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી દિનેશ ડામોરને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.