Tuesday, Jun 23, 2026

કતારના LNG પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 12 ભારતીયો સહિત 13 શ્રમિકોના મોત

3 Min Read

કતારના વિશ્વવિખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં રવિવારે સાંજે થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. લાંબા સમયથી બંધ રહેલા પ્લાન્ટને ફરી શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન થયેલા આ પ્રચંડ બ્લાસ્ટમાં 12 ભારતીયો સહિત કુલ 13 શ્રમિકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત 66થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી અનેકની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.

રી-સ્ટાર્ટિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી મુજબ રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં આવેલી બારઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં રવિવારે સાંજે પ્લાન્ટને ફરી કાર્યરત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 70 કિલોમીટર દૂર આવેલા દોહા શહેરના વિસ્તારોમાં પણ તેની અસર અનુભવાઈ હતી અને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

12 ભારતીયો સહિત 13 શ્રમિકોના કરુણ મોત

કતારમાં આવેલા ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 શ્રમિકોમાંથી 12 ભારતીય નાગરિકો હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કામદારો ગંભીર રીતે દાઝ્યા અને ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે વ્યક્ત કરી સંવેદના

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘટનાને લઈને ઊંડી શોક સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. સાથે જ ભારતીય દૂતાવાસને મૃતદેહોને વહેલી તકે વતન પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

ટેકનિકલ ખામીના કારણે થયો વિસ્ફોટ

કતારના ઊર્જા મંત્રી અને કતાર એનર્જીના સીઇઓ સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે આ ઘટના કોઈ આતંકી હુમલો કે તોડફોડનું પરિણામ નથી, પરંતુ પ્લાન્ટને ફરી શરૂ કરતી વખતે સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો છે. પ્લાન્ટ ડિસેમ્બર 2025થી જાળવણી માટે બંધ હતો અને થોડા દિવસો પહેલાં જ તેને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તમામ ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. દૂતાવાસ કતાર સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યું છે.

તપાસના આદેશ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ LNG પ્લાન્ટને લાંબા સમય બાદ ફરી શરૂ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને જોખમી હોય છે. આવી સ્થિતિમાં નાની ટેકનિકલ ભૂલ પણ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે કતાર સરકારે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે અને વિગતવાર તપાસના આદેશો આપ્યા છે. કતાર એનર્જી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાથી પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી તેમજ દેશની LNG નિકાસ ક્ષમતા પર પણ હાલ કોઈ અસર થઈ નથી.

Share This Article