Home Blog Page 5

સોનિયા ગાંધીની આત્મકથામાં કેટલાય રહસ્યો, રાજકીય વમળો સર્જશે

0

રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીનું એક નિવેદન માત્ર રાજકીય નહીં, પરંતુ અત્યંત વ્યક્તિગત લાગણીથી ભરેલું હતું. માતા સોનિયા ગાંધીની આવનારી આત્મકથાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પિતાના અવસાન બાદ તેમની માતાએ જે સંઘર્ષ કર્યો છે, તેની સાચી સાક્ષી તેઓ અને પ્રિયંકા જ છે. તેમણે કલ્પના વ્યક્ત કરી કે રાજીવ ગાંધી આજે ઉપરથી પોતાની ‘સુંદર સોનિયા’ને ગર્વથી જોઈ રહ્યા હશે.

સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બર, 2026ના રોજ અલ્ફ્રેડ એ. નોફ દ્વારા પ્રકાશિત થવાની છે. પુસ્તકમાં સોનિયા ગાંધી પોતાના ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત, લગ્ન બાદ નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો બનવા સુધીની સફર અને જીવનમાં આવેલા મોટા આઘાતોની વાત કરશે.

રાહુલ ગાંધીએ લખ્યું કે તેમણે માતા-પિતાને છેલ્લે 35 વર્ષથી વધુ સમય પહેલાં સાથે જોયા હતા. રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ દરેક મુશ્કેલીનો સામનો હિંમત અને ગૌરવ સાથે કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેમની માતા જેવી અંગત જીવનને મહત્વ આપતી વ્યક્તિ માટે પોતાની જીવનકથા દુનિયા સામે મૂકવી સરળ ન રહી હશે.

આ આત્મકથામાં 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીનું વડાપ્રધાન બનવું, 1991માં રાજીવ ગાંધીની હત્યા, ત્યારબાદ સોનિયા ગાંધીનું જાહેર જીવનમાં પ્રવેશવું અને 2004માં કોંગ્રેસની આગેવાની હેઠળ ગઠબંધનને જીત મળ્યા બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર જેવા મહત્વપૂર્ણ પ્રસંગોનો પણ સમાવેશ થશે.

સોનિયા ગાંધીએ પુસ્તક વિશે કહ્યું છે કે આ માત્ર રાજકીય સફર નહીં, પરંતુ પ્રેમ, વફાદારી, પરિવાર અને છ દાયકામાં તેમણે જોયેલા ભારતના સામાજિક-રાજકીય પરિવર્તનોની વ્યક્તિગત કહાની છે.

સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા ૯૦ દિવસ માટે સસ્પેન્ડ

સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પડ્યાએ રેગિંગનો ભોગ બની આત્મહત્યા કરી લીધા બાદ આ ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી 90 દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરી દીધા છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ બાંધછોડ કરશે નહીં.

આ ઉપરાંત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ફરજમોકૂફી (સસ્પેન્શન)ના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. આ સમય દરમિયાન સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. તદુપરાંત, ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે, તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.

આ ઘટના બાદ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને ‘એન્ટિ-રેગિંગ સમિતિ’ અને ‘એન્ટિ-રેગિંગ સ્ક્વોડ’ને તુરંત વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું રહેશે.

પાકિસ્તાનને ભારતનો જડબાતોડ ‘જવાબ’! પાક હાઈ કમિશનની બહાર બુલડોઝર ચલાવાયો, શું છે આખો મામલો?

0

ઈસ્લામાબાદમાં થયેલી કાર્યવાહી બાદ દિલ્હીમાં બનેલી આ ઘટનાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની રાજદ્વારી ખેંચતાણ ફરી ચર્ચામાં આવી છે. નવી દિલ્લીના શાંતિપથ પર આવેલા પાકિસ્તાની હાઈ કમિશનની બહાર હાઈ કમિશનની નિર્ધારિત સીમાની બહાર બનાવાયેલા અનધિકૃત બાંધકામો, બેરિકેડ અને ફેન્સિંગ હટાવવામાં આવ્યા હતા.

સંબંધિત એજન્સીઓએ ગુરુવારે જેસીબીની મદદથી બહારના ભાગમાં બનાવાયેલા માળખાં દૂર કર્યા હતા. સ્થળ પરથી લેવાયેલા દૃશ્યોમાં તૂટેલી ફેન્સિંગ, લોખંડના ફ્રેમ, છતના શીટ, ઈંટ અને કોંક્રિટનો કાટમાળ જોવા મળ્યો હતો. વિઝા વિભાગના સર્વિસ કાઉન્ટરો યથાવત રહ્યા હતા અને મુખ્ય ઇમારત કે મુખ્ય પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડવામાં આવ્યું નહોતું.

આ કાર્યવાહી 17 ઓગસ્ટની આસપાસ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહારથી પાકિસ્તાની સત્તાવાળાઓએ સુરક્ષા બેરિકેડ અને પાર્કિંગ પોલ હટાવ્યા બાદ થઈ હતી. બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવાથી મીડિયા અહેવાલોમાં તેને પરસ્પર કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, દિલ્હીની કાર્યવાહી અંગે સત્તાવાર કારણ તરીકે અનધિકૃત રીતે બનાવાયેલા માળખાંની વાત કરવામાં આવી હતી.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરને લઈને પણ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે 19 ઓગસ્ટે શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. આ નિવેદન સામે પાકિસ્તાને અમેરિકી ચાર્જ ડી’અફેયર્સ નતાલી બેકરને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન બંને કોમનવેલ્થના સભ્ય હોવાથી તેમના રાજદ્વારી મિશનને ‘હાઈ કમિશન’ કહેવામાં આવે છે, જ્યારે અન્ય દેશોમાં સામાન્ય રીતે ‘એમ્બેસી’ શબ્દ વપરાય છે.

કંગના ભડકી! બાબા રામદેવને સોશિયલ મીડિયા પર આપ્યો એવો જવાબ કે વિવાદ વધ્યો

ગટર જનરેશન’ના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે કંગના રનૌત અને બાબા રામદેવ વચ્ચે વ્યક્તિગત ટકરાવ સુધી પહોંચી ગયો છે. રામદેવે કંગનાના નિવેદનની ટીકા કરતાં તેના બાળપણ, જવાની અને ભૂતકાળ પર સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, બાબાજીએ તેની જવાની અને બેડરૂમ અંગે ‘દિવાસ્વપ્ન’ જોવાનું બંધ કરવું જોઈએ. તેણે આગળ રામદેવને કહ્યું કે અફવા કે પંચાતના આધારે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધવી યોગ્ય નથી.

કંગના રનૌતની ઈન્સ્ટા સ્ટોરીમાંથી લીધેલો સ્ક્રીનશોટ

કંગનાએ આ સાથે પતંજલિ સાથે જોડાયેલા વિવાદોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે દાવો કર્યો કે તેને ક્યારેય નકલી અથવા ભ્રામક તબીબી દાવાઓને લઈને સુપ્રીમ કોર્ટની ફટકારનો સામનો કરવો પડ્યો નથી અને તેથી તેને ચારિત્ર્ય અંગે ઉપદેશ ન આપવામાં આવે.

આ વિવાદની શરૂઆત જુલાઈમાં થઈ હતી. જંતર-મંતર સહિતના વિરોધ પ્રદર્શનો અંગે કંગનાએ કેટલાક પ્રદર્શનકારીઓને ‘ગટર જનરેશન’ કહીને ટીકા કરી હતી. બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનો ઈશારો સમગ્ર Gen Z તરફ નહોતો.

રામદેવે કંગનાની ટિપ્પણીને વાંધાજનક ગણાવી હતી અને કહ્યું હતું કે દેશના યુવાનોને ‘ગટર’ કહેવું વિકૃત માનસિકતાની નિશાની છે. હવે બંનેના આક્ષેપ-પ્રત્યાક્ષેપે રાજકીય અને સોશિયલ મીડિયા ચર્ચાને વધુ ગરમાવી દીધી છે.

Video: વડોદરામાં 7 વર્ષના બાળકનું રહસ્યમય મોત: બસના દરવાજામાં ગળું કેવી રીતે ફસાયું? 15 મિનિટના CCTV ગાયબ

વડોદરામાં 7 વર્ષના માસૂમ બાળકના મોતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પ્રસાદ લેવા ઘરેથી નીકળેલા દિવ્યેશનું સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક રિપેરિંગ માટે ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં ગળું ફસાઈ જતાં મોત થયું હતું. ઘટના કેવી રીતે બની તે હજુ સ્પષ્ટ નથી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બનાવના સમયના લગભગ 15 મિનિટના CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી પોલીસની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દિવ્યેશના પિતા રાકેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના રહેવાસી છે અને હાલ તરસાલી બાયપાસ નજીક આવેલી એસ.આર. બાયોગેસ કંપનીમાં નોકરી કરે છે. દિવ્યેશ તરસાલી-2ની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, દિવ્યેશ પ્રસાદ લેવા ઘરેથી બહાર જતાં જ થોડા સમય બાદ પરિવારને બાળક સાથે અકસ્માત થયો હોવાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાના સમય પહેલાં અને પછીના CCTV ફૂટેજ મળ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાના સમયગાળાના 15 મિનિટના ફૂટેજ ગાયબ છે. વીજળી ગુલ થવાને કારણે આ સમયગાળાનું રેકોર્ડિંગ થયું ન હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે, બાળક બસના દરવાજામાં કયા સંજોગોમાં ફસાયું તે જાણવા પોલીસે CCTV, ટેકનિકલ પુરાવા અને અન્ય પાસાઓની તપાસ શરૂ કરી છે. પરિવારજનો પણ સમગ્ર ઘટનાની સચોટ તપાસ અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

Video: રેસ્ટોરન્ટમાં જમવા જતાં પહેલાં આ જરૂર વાંચજો! સુરતમાં બે દિવસમાં 60 જગ્યાએ તાળા

સુરતમાં રેસ્ટોરાંનું ખાવાનું ખાવા પહેલાં હવે સ્વચ્છતા વિશે વિચારવું પડે તેવી સ્થિતિ સામે આવી છે. પાંચ વર્ષની બાળકીના મોત અને પરિવારના ચાર સભ્યો બીમાર પડ્યાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ ફૂડ સેફ્ટી વિરુદ્ધની કાર્યવાહી વધુ કડક બનાવી છે. માત્ર બે દિવસમાં શહેરના 60 રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સ સીલ કરવામાં આવ્યા છે.

બુધવારે SMCના આરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાં 209 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ કરી હતી, જેમાં 34 ઢાબાનો સમાવેશ થતો હતો. તપાસ દરમિયાન 548 કિલો અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમોના ભંગ બદલ 128 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. ગંભીર સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા ખામીઓ ધરાવતા 43 એકમોને સીલ કરાયા હતા.

તપાસમાં અસ્વચ્છ કિચન, ખાદ્ય સામગ્રીનો અયોગ્ય સંગ્રહ અને નબળી ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ જેવી ગેરરીતિઓ સામે આવી હતી. કાર્યવાહી દરમિયાન SMCએ રૂ.4.43 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો.

આ પહેલાં મંગળવારે 330 હોટલ-રેસ્ટોરાંની તપાસ દરમિયાન 17 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતા અને 1,641 કિલો અયોગ્ય ખોરાક નષ્ટ કરાયો હતો. 208 એકમોને નોટિસ અપાઈ હતી અને રૂ.4.17 લાખનો ચાર્જ વસૂલાયો હતો.

આ સમગ્ર કાર્યવાહી વરાછામાં રેસ્ટોરાંમાંથી ભોજન લીધા બાદ કળસરિયા પરિવારના પાંચ સભ્યો બીમાર પડ્યા બાદ તેજ થઈ હતી. પાંચ વર્ષની આર્યાનું 17 ઓગસ્ટે મોત થયું હતું. જોકે, તેનું મોત ખરેખર ફૂડ પોઇઝનિંગને કારણે થયું હતું કે નહીં તે પોસ્ટમોર્ટમ અને તપાસના અંતિમ તારણ બાદ જ સ્પષ્ટ થશે.

SMCએ શહેરભરમાં તપાસ ચાલુ રાખવાની અને ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ડ્રાય સ્ટેટમાં ક્યાંથી આવ્યો નકલી દારૂ? ભાવનગરમાં 9 મોત બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ભાવનગરમાં નકલી દારૂકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં દાવો થયો છે કે મિથેનોલયુક્ત નકલી ઇંગ્લિશ દારૂ તૈયાર કરાવવા માટે મધ્યપ્રદેશથી ખાસ વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો અને આ દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’નું પણ ઝેરી દારૂ પીવાથી મોત થયું હતું. આ કાંડમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયાં છે અને અનેક અસરગ્રસ્ત સારવાર હેઠળ છે.

પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી તરીકે ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે. તેણે ઉજ્જૈનના સાગરીતોની મદદથી અમદાવાદમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ, ખાલી બોટલો, ઢાંકણાં અને ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકર મેળવી ભાવનગર લાવ્યા હોવાનો તપાસમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નરેન્દ્રસિંહ યાદવ સહિતના લોકોએ ગૌતમના ઘરે મિથેનોલયુક્ત પ્રવાહી તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં એવો પણ દાવો છે કે દારૂ ત્રણ તબક્કામાં તૈયાર થયો હતો. પ્રથમ તબક્કામાં બનેલો જથ્થો વેચવામાં આવ્યો હતો, જ્યારે બીજી વખત તૈયાર કરાયેલ દારૂ ગુણવત્તા બગડતાં નાશ કરાયો હતો. ત્રીજા તબક્કામાં તૈયાર થયેલો જથ્થો ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો હતો.

આ વચ્ચે 19 ઓગસ્ટની રાત્રે ગાંધી કોલોની સામેના ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી સોનગઢની સરકારી શાળાના શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ મળતાં કેસ વધુ ગંભીર બન્યો છે. તેમના ઘરે ‘રોયલ સ્ટેગ’ની અડધી ભરેલી બોટલ મળી આવી હોવાનું સામે આવ્યું છે.

ખરકડી ગામમાં 16 ઓગસ્ટે યોજાયેલી દારૂ પાર્ટી બાદ એક પછી એક લોકોની તબિયત બગડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે નકલી દારૂના નેટવર્કની તપાસ તેજ કરી છે અને ગૌતમ સોલંકી સહિત અનેક લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

Video Zhuque-3: સમુદ્ર બાદ હવે જમીન પર પણ રોકેટનું સફળ વાપસી લેન્ડિંગ; શું ચીન SpaceXને ટક્કર આપવા તૈયાર?

ચીન હવે માત્ર રૉકેટને અવકાશમાં મોકલવા નહીં, પરંતુ ઉડાન બાદ તેને ફરી જમીન પર ઉતારવાની દોડમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ચીની ખાનગી કંપની લેન્ડસ્પેસના Zhuque-3 રૉકેટના પ્રથમ તબક્કાને સફળતાપૂર્વક જમીન પર પાછો ઉતારવામાં આવ્યો. આ ચીન માટે મોટી સિદ્ધિ છે, કારણ કે પહેલીવાર ઓર્બિટલ-ક્લાસ બૂસ્ટરને લેન્ડિંગ લેગ્સની મદદથી નિયંત્રિત રીતે જમીન પર ઉતારવામાં આવ્યું છે.

અહેવાલો મુજબ, આ લેન્ડસ્પેસનો બીજો લેન્ડિંગ પ્રયાસ હતો અને તેની સફળતા બાદ કંપની SpaceX તથા Blue Originની સાથે ફરી ઉપયોગ કરી શકાય તેવી ઓર્બિટલ રૉકેટ ટેક્નોલોજી ધરાવતી ખાનગી કંપનીઓના જૂથમાં સામેલ થઈ છે.

66.1 મીટર ઊંચું Zhuque-3 સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને મિથેન તથા લિક્વિડ ઓક્સિજનથી ચાલે છે. કંપનીનું કહેવું છે કે તેનું બૂસ્ટર 20 વખત સુધી ફરી ઉપયોગ કરી શકાય તે રીતે બનાવાયું છે. તેની ક્ષમતા 14.2 ટન સુધીનો પેલોડ લો અર્થ ઓર્બિટમાં એક વખતના ઉપયોગમાં પહોંચાડવાની છે, જ્યારે SpaceXનું Falcon 9 લગભગ 22.8 ટન સુધી પહોંચાડી શકે છે.

આ પહેલાં 10 જુલાઈએ ચીને Long March-10Bના પ્રથમ તબક્કાને સમુદ્રમાં પ્લેટફોર્મ પર નેટ-કૅપ્ચર સિસ્ટમથી સફળતાપૂર્વક પાછો મેળવ્યો હતો. એટલે જમીન અને સમુદ્ર—બંને પદ્ધતિથી રૉકેટ બૂસ્ટર રિકવર કરવાની ચીનની ક્ષમતા હવે દેખાઈ રહી છે.

આવી ટેક્નોલોજીનો મુખ્ય હેતુ રૉકેટના મોંઘા ભાગો ફરી વાપરી લોન્ચિંગ ખર્ચ ઘટાડવાનો છે. આ પ્રયાસ ચીનની ચોથી ઓર્બિટલ બૂસ્ટર રિકવરી કોશિશ હતી. લેન્ડસ્પેસે મળેલા બૂસ્ટરને આગામી છ મહિનામાં ફરી મિશનમાં ઉપયોગ કરવાની યોજના જાહેર કરી છે. જોકે SpaceXની સરખામણીમાં ચીન હજુ લોન્ચિંગની સંખ્યા અને અનુભવમાં પાછળ છે.

600મા ટેસ્ટમાં ભારતનો ધમાકો! ગોલમાં શ્રીલંકાને 165 રને હરાવ્યું, માનવ સુથારનો 10 વિકેટનો કહેર

0

ભારતના ક્રિકેટ ઇતિહાસનો 600મો ટેસ્ટ યાદગાર બની ગયો છે. ગોલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલની ટીમે યજમાનને 165 રને હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. મેચનો સૌથી મોટો હીરો બન્યો 24 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથાર, જેણે બંને ઈનિંગ્સમાં મળીને 10 વિકેટ ઝડપી ભારતને શાનદાર જીત અપાવી હતી. બીજી ઈનિંગ્સમાં તેણે 55 રનમાં 6 વિકેટ ઝડપી શ્રીલંકાની આખી બેટિંગ લાઇન-અપ તોડી નાખી હતી.

ભારતે પ્રથમ ઈનિંગમાં 462 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. દેવદત્ત પડિક્કલે શાનદાર 167 રન ફટકારી પોતાની પ્રથમ ટેસ્ટ સદી ઉપરાંત મોટી ઈનિંગ રમી હતી. કે.એલ. રાહુલે 82 અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 284 રનમાં સમેટાઈ હતી, જેના કારણે ભારતને 178 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.

ભારતે બીજી ઈનિંગમાં 193 રન બનાવ્યા અને શ્રીલંકા સામે 372 રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. ઋષભ પંતે 66, પડિક્કલે 44 અને રાહુલે 35 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ પાંચમા દિવસે 84/4થી આગળ રમત શરૂ કરી હતી, પરંતુ માનવ સુથાર અને ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શક્યું નહીં. આખી શ્રીલંકન ટીમ 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સુથાર સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને રવિન્દ્ર જાડેજા તથા મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.

શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ 84 અને કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 59 રન બનાવી સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લક્ષ્યાંક ઘણો મોટો હતો. ભારતની જીતમાં દેવદત્ત પડિક્કલના 167 અને 44 રનની ઈનિંગ્સ બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.

માનવ સુથાર માટે આ માત્ર બીજી ટેસ્ટ મેચ હતી. જૂનમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ તેણે ગોલમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે, જ્યાં ભારત શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

સુનિતાએ કેમ લીધી ડિવોરસની અરજી પાછી? ગોવિંદા-સુનિતાના સંબંધમાં આવ્યો ટ્વિસ્ટ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને સુનિતા અહુજાના સંબંધોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે મોટો વળાંક આવ્યો છે. સુનિતાએ ગોવિંદા સામે દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હોવાની પુષ્ટિ અભિનેતાના મેનેજર શશી સિંહાએ કરી છે. તેમણે આ સમાચારને “ખુશીની વાત” ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે બંને વચ્ચે હવે કોઈ અલગાવ નથી રહ્યો.

શશી સિંહાના જણાવ્યા પ્રમાણે, સુનિતાએ પોતાનો નિર્ણય બદલીને કેસ પાછો ખેંચ્યો છે. તેમણે કહ્યું કે અગાઉ જે કંઈ કહેવામાં આવ્યું હતું તે તે સમયની પરિસ્થિતિ અને લાગણીઓના કારણે હતું. હવે મામલો ભૂતકાળ બની ગયો છે અને પરિવાર માટે આ સારો નિર્ણય છે. જોકે, તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે દંપતીની અંગત વાત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ છે.

રિપોર્ટ્સ અનુસાર, સુનિતાએ 5 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(i), 13(1)(ia) અને 13(1)(ib) હેઠળ વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગને આધાર બનાવવામાં આવ્યા હતા. આ મામલો 2025માં જાહેર ચર્ચામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં ગોવિંદા અને સુનિતા ફરી વિવાદના કેન્દ્રમાં આવ્યા હતા. સુનિતાએ ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’ની સહ-અભિનેત્રી કોમલ રાણી સ્વર્ણકાર સાથેની નિકટતા અંગે જાહેરમાં ટિપ્પણી કરી હતી. ગોવિંદાએ પણ જવાબ આપતાં સુનિતાને પોતાના નિવેદનો અંગે મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી.

જોકે, હવે છૂટાછેડાની અરજી પાછી ખેંચાતા બંનેના સંબંધોમાં સમાધાનની શક્યતા વધુ મજબૂત બની છે. થોડા સમય પહેલાં પણ બંને તરફથી સંબંધ સુધરવાના સંકેતો મળ્યા હતા.