ભાવનગરમાં નકલી દારૂકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં દાવો થયો છે કે મિથેનોલયુક્ત નકલી ઇંગ્લિશ દારૂ તૈયાર કરાવવા માટે મધ્યપ્રદેશથી ખાસ વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો અને આ દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’નું પણ ઝેરી દારૂ પીવાથી મોત થયું હતું. આ કાંડમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયાં છે અને અનેક અસરગ્રસ્ત સારવાર હેઠળ છે.
પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી તરીકે ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે. તેણે ઉજ્જૈનના સાગરીતોની મદદથી અમદાવાદમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ, ખાલી બોટલો, ઢાંકણાં અને ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકર મેળવી ભાવનગર લાવ્યા હોવાનો તપાસમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નરેન્દ્રસિંહ યાદવ સહિતના લોકોએ ગૌતમના ઘરે મિથેનોલયુક્ત પ્રવાહી તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં એવો પણ દાવો છે કે દારૂ ત્રણ તબક્કામાં તૈયાર થયો હતો. પ્રથમ તબક્કામાં બનેલો જથ્થો વેચવામાં આવ્યો હતો, જ્યારે બીજી વખત તૈયાર કરાયેલ દારૂ ગુણવત્તા બગડતાં નાશ કરાયો હતો. ત્રીજા તબક્કામાં તૈયાર થયેલો જથ્થો ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો હતો.
આ વચ્ચે 19 ઓગસ્ટની રાત્રે ગાંધી કોલોની સામેના ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી સોનગઢની સરકારી શાળાના શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ મળતાં કેસ વધુ ગંભીર બન્યો છે. તેમના ઘરે ‘રોયલ સ્ટેગ’ની અડધી ભરેલી બોટલ મળી આવી હોવાનું સામે આવ્યું છે.
ખરકડી ગામમાં 16 ઓગસ્ટે યોજાયેલી દારૂ પાર્ટી બાદ એક પછી એક લોકોની તબિયત બગડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે નકલી દારૂના નેટવર્કની તપાસ તેજ કરી છે અને ગૌતમ સોલંકી સહિત અનેક લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.