Thursday, Aug 20, 2026

Video: વડોદરામાં 7 વર્ષના બાળકનું રહસ્યમય મોત: બસના દરવાજામાં ગળું કેવી રીતે ફસાયું? 15 મિનિટના CCTV ગાયબ

2 Min Read

વડોદરામાં 7 વર્ષના માસૂમ બાળકના મોતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પ્રસાદ લેવા ઘરેથી નીકળેલા દિવ્યેશનું સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક રિપેરિંગ માટે ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં ગળું ફસાઈ જતાં મોત થયું હતું. ઘટના કેવી રીતે બની તે હજુ સ્પષ્ટ નથી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બનાવના સમયના લગભગ 15 મિનિટના CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી પોલીસની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દિવ્યેશના પિતા રાકેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના રહેવાસી છે અને હાલ તરસાલી બાયપાસ નજીક આવેલી એસ.આર. બાયોગેસ કંપનીમાં નોકરી કરે છે. દિવ્યેશ તરસાલી-2ની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, દિવ્યેશ પ્રસાદ લેવા ઘરેથી બહાર જતાં જ થોડા સમય બાદ પરિવારને બાળક સાથે અકસ્માત થયો હોવાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાના સમય પહેલાં અને પછીના CCTV ફૂટેજ મળ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાના સમયગાળાના 15 મિનિટના ફૂટેજ ગાયબ છે. વીજળી ગુલ થવાને કારણે આ સમયગાળાનું રેકોર્ડિંગ થયું ન હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે, બાળક બસના દરવાજામાં કયા સંજોગોમાં ફસાયું તે જાણવા પોલીસે CCTV, ટેકનિકલ પુરાવા અને અન્ય પાસાઓની તપાસ શરૂ કરી છે. પરિવારજનો પણ સમગ્ર ઘટનાની સચોટ તપાસ અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

Share This Article