સુરતમાં રેસ્ટોરાંનું ખાવાનું ખાવા પહેલાં હવે સ્વચ્છતા વિશે વિચારવું પડે તેવી સ્થિતિ સામે આવી છે. પાંચ વર્ષની બાળકીના મોત અને પરિવારના ચાર સભ્યો બીમાર પડ્યાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ ફૂડ સેફ્ટી વિરુદ્ધની કાર્યવાહી વધુ કડક બનાવી છે. માત્ર બે દિવસમાં શહેરના 60 રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સ સીલ કરવામાં આવ્યા છે.
બુધવારે SMCના આરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાં 209 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ કરી હતી, જેમાં 34 ઢાબાનો સમાવેશ થતો હતો. તપાસ દરમિયાન 548 કિલો અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમોના ભંગ બદલ 128 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. ગંભીર સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા ખામીઓ ધરાવતા 43 એકમોને સીલ કરાયા હતા.
તપાસમાં અસ્વચ્છ કિચન, ખાદ્ય સામગ્રીનો અયોગ્ય સંગ્રહ અને નબળી ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ જેવી ગેરરીતિઓ સામે આવી હતી. કાર્યવાહી દરમિયાન SMCએ રૂ.4.43 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો.
આ પહેલાં મંગળવારે 330 હોટલ-રેસ્ટોરાંની તપાસ દરમિયાન 17 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતા અને 1,641 કિલો અયોગ્ય ખોરાક નષ્ટ કરાયો હતો. 208 એકમોને નોટિસ અપાઈ હતી અને રૂ.4.17 લાખનો ચાર્જ વસૂલાયો હતો.
આ સમગ્ર કાર્યવાહી વરાછામાં રેસ્ટોરાંમાંથી ભોજન લીધા બાદ કળસરિયા પરિવારના પાંચ સભ્યો બીમાર પડ્યા બાદ તેજ થઈ હતી. પાંચ વર્ષની આર્યાનું 17 ઓગસ્ટે મોત થયું હતું. જોકે, તેનું મોત ખરેખર ફૂડ પોઇઝનિંગને કારણે થયું હતું કે નહીં તે પોસ્ટમોર્ટમ અને તપાસના અંતિમ તારણ બાદ જ સ્પષ્ટ થશે.
SMCએ શહેરભરમાં તપાસ ચાલુ રાખવાની અને ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.