બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને સુનિતા અહુજાના સંબંધોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે મોટો વળાંક આવ્યો છે. સુનિતાએ ગોવિંદા સામે દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હોવાની પુષ્ટિ અભિનેતાના મેનેજર શશી સિંહાએ કરી છે. તેમણે આ સમાચારને “ખુશીની વાત” ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે બંને વચ્ચે હવે કોઈ અલગાવ નથી રહ્યો.
શશી સિંહાના જણાવ્યા પ્રમાણે, સુનિતાએ પોતાનો નિર્ણય બદલીને કેસ પાછો ખેંચ્યો છે. તેમણે કહ્યું કે અગાઉ જે કંઈ કહેવામાં આવ્યું હતું તે તે સમયની પરિસ્થિતિ અને લાગણીઓના કારણે હતું. હવે મામલો ભૂતકાળ બની ગયો છે અને પરિવાર માટે આ સારો નિર્ણય છે. જોકે, તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે દંપતીની અંગત વાત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ છે.
રિપોર્ટ્સ અનુસાર, સુનિતાએ 5 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(i), 13(1)(ia) અને 13(1)(ib) હેઠળ વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગને આધાર બનાવવામાં આવ્યા હતા. આ મામલો 2025માં જાહેર ચર્ચામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં ગોવિંદા અને સુનિતા ફરી વિવાદના કેન્દ્રમાં આવ્યા હતા. સુનિતાએ ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’ની સહ-અભિનેત્રી કોમલ રાણી સ્વર્ણકાર સાથેની નિકટતા અંગે જાહેરમાં ટિપ્પણી કરી હતી. ગોવિંદાએ પણ જવાબ આપતાં સુનિતાને પોતાના નિવેદનો અંગે મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી.
જોકે, હવે છૂટાછેડાની અરજી પાછી ખેંચાતા બંનેના સંબંધોમાં સમાધાનની શક્યતા વધુ મજબૂત બની છે. થોડા સમય પહેલાં પણ બંને તરફથી સંબંધ સુધરવાના સંકેતો મળ્યા હતા.