ઈસ્લામાબાદમાં થયેલી કાર્યવાહી બાદ દિલ્હીમાં બનેલી આ ઘટનાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની રાજદ્વારી ખેંચતાણ ફરી ચર્ચામાં આવી છે. નવી દિલ્લીના શાંતિપથ પર આવેલા પાકિસ્તાની હાઈ કમિશનની બહાર હાઈ કમિશનની નિર્ધારિત સીમાની બહાર બનાવાયેલા અનધિકૃત બાંધકામો, બેરિકેડ અને ફેન્સિંગ હટાવવામાં આવ્યા હતા.
સંબંધિત એજન્સીઓએ ગુરુવારે જેસીબીની મદદથી બહારના ભાગમાં બનાવાયેલા માળખાં દૂર કર્યા હતા. સ્થળ પરથી લેવાયેલા દૃશ્યોમાં તૂટેલી ફેન્સિંગ, લોખંડના ફ્રેમ, છતના શીટ, ઈંટ અને કોંક્રિટનો કાટમાળ જોવા મળ્યો હતો. વિઝા વિભાગના સર્વિસ કાઉન્ટરો યથાવત રહ્યા હતા અને મુખ્ય ઇમારત કે મુખ્ય પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડવામાં આવ્યું નહોતું.
આ કાર્યવાહી 17 ઓગસ્ટની આસપાસ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહારથી પાકિસ્તાની સત્તાવાળાઓએ સુરક્ષા બેરિકેડ અને પાર્કિંગ પોલ હટાવ્યા બાદ થઈ હતી. બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવાથી મીડિયા અહેવાલોમાં તેને પરસ્પર કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, દિલ્હીની કાર્યવાહી અંગે સત્તાવાર કારણ તરીકે અનધિકૃત રીતે બનાવાયેલા માળખાંની વાત કરવામાં આવી હતી.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરને લઈને પણ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે 19 ઓગસ્ટે શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. આ નિવેદન સામે પાકિસ્તાને અમેરિકી ચાર્જ ડી’અફેયર્સ નતાલી બેકરને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
ભારત અને પાકિસ્તાન બંને કોમનવેલ્થના સભ્ય હોવાથી તેમના રાજદ્વારી મિશનને ‘હાઈ કમિશન’ કહેવામાં આવે છે, જ્યારે અન્ય દેશોમાં સામાન્ય રીતે ‘એમ્બેસી’ શબ્દ વપરાય છે.