Home Blog Page 49

GSRTCની નવી સુવિધા: હવે લોકલ બસોમાં ઓનલાઈન કરી શકાશે બુકિંગ

0

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નવી સુવિધા શરુ કરવામાં આવી છે. જેમાં લોકલ બસમાં મુસાફરી કરતા મુસાફરો હવે ઓનલાઈન બુકિંગ કરાવી પોતાની સીટ કન્ફર્મ કરી શકશે. જેમાં મુસાફરો 100 કિલોમીટરથી વધુ અંતરની પસંદગીની લોકલ બસ સેવાઓમાં ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

રાજ્યભરમાં 2500થી વધુ બસને આ વ્યવસ્થામાં આવરી લેવાશે
આ નિર્ણયથી રાજ્યભરમાં 2500થી વધુ બસ ટ્રીપ્સને આ વ્યવસ્થામાં આવરી લેવામાં આવી છે. નોંધનિય છે કે, ગત ફેબ્રુઆરી મહિનાથી પ્રાયોગિક ધોરણે આ સેવા ચાલુ કરવામાં આવી હતી. જેમાં મુસાફરોને સારો પ્રતિસાર મળ્યો હતો. ત્યારે આ સેવા આજથી તારીખ સુધીમાં તક્કાવાર મળીને અઢી હજારથી વધુ બસ ટ્રિપોમાં સુવિધા ચાલુ કરાઈ છે. ત્યારે લાંબા અંતરની લોકલ બસોમાં 100 કિ.મી.થી વધુ મુસાફરી માટે ટિકિટ રિઝર્વેશનની સુવિધા મળશે. આ સુવિધા ટૂંકા અંતરની મુસાફરીમાં આપવામાં આવશે નહીં.

મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈડ પર કરી શકાશે બુકિંગ
હવે મુસાફરો GSRTCની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન અથવા GSRTCની વેબસાઇટ http://gsrtc.in દ્વારા ઘર બેઠા જ પોતાની પસંદગીની બસમાં બેઠક બુક કરી શકશે. ઓનલાઈન બુકિંગથી મુસાફરોને સમયની બચત થશે, સાથે જ મુસાફરી પહેલાં જ બેઠક નિશ્ચિત થઈ જવાથી અનિશ્ચિતતા પણ દૂર થશે. આ સુવિધાથી ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને અન્ય મુસાફરો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની છત ધરાશાયી, 5 લોકોના મોત, અનેક મજૂરો દટાયા

0

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તારાતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રેસ બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટ ડિપો રોડ પર આવેલી એક નિર્માણાધીન ગોડાઉનની છત અચાનક ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર 5 લોકોના મોત અને 50થી 55 મજૂરો દટાયા હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ બપોરે લગભગ 12 વાગ્યે ગોડાઉનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક છતનો મોટો ભાગ તૂટી પડતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

અનેક મજૂરો દટાયા હોવાની આશંકા
રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાર લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક મજૂરો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

ભારે કાટમાળને કારણે મુશ્કેલી
ભારે કાટમાળને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બચાવ દળો મશીનો અને ખાસ સાધનોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે છત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

અગરિયાના બાળકો માટે ગુજરાત સરકારની અનોખી પહેલ, રણમાં દોડશે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’

0

ગુજરાત સરકારે રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિત શિક્ષણ મળી રહે તે માટે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’ નિમિત્તે ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 વિશેષ રણસાળા બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા અભિયાન (SSA), શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મૂકવામાં આવ્યો છે. મીઠાના ઉત્પાદન વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા પરિવારોના 6 થી 14 વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ મોબાઈલ ક્લાસરૂમ તૈયાર કરાયા છે.

તેમણે કહ્યું કે, આ બસો જે બિન ઉપયોગી હાલતમાં હતી એ જ બસ આજે શાળાનો ઉત્તમ ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવશે જેથી છેવાડાનો એકપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેમ, તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આ વિશેષ રણશાળા બસનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તૈયાર કરનાર કારીગરો અને અધિકારીઓનું ફૂલોથી સ્વાગત કરીને શિક્ષણ માટેના આ યજ્ઞમાં સહભાગી થયા તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટ, મીઠાનું ઉત્પાદન થાય છે તેવા વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા પરિવારોના 6થી 14 વર્ષના બાળકો સામેના શૈક્ષણિક પડકારોને દૂર કરવાનો પ્રયાસ છે. આ અંતર્ગત કુલ 28 વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા વાહનો તૈયાર કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ સુવિધાયુક્ત મોબાઈલ ક્લાસરૂમ તરીકે કામ કરશે.

દરેક મોબાઈલ સ્કૂલ GSRTCની નિવૃત્ત બસોને આધુનિક શિક્ષણ સ્પેસમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવી છે. આ બસો 3.8 KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છે, જે વીજળીના જોડાણ વિના પણ 48 કલાક સુધી બસ કાર્યરત રાખવા સક્ષમ છે. આ સોલાર સંચાલિત ક્લાસરૂમમાં 43 ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલો, એફએમ રેડિયો, ડિજિટલ ઘડિયાળ, એલઇડી લાઇટિંગ સિસ્ટમ, વોલ ફેન અને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણને સપોર્ટ કરતા લર્નિંગ એઇડ્સ એટલે કે શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કયા જિલ્લાના અગરિયા વિસ્તારોને મળશે લાભ?

  • પ્રથમ તબક્કામાં તૈયાર થયેલી આ 28 ખસો ગુજરાતના અલગ-અલગ જિલ્લાના રણ વિસ્તારોમાં મોકલવામાં આવી છે:
  • સુરેન્દ્રનગર (પાટડી તાલુકો): 20 ખસો (સૌથી વધુ)
  • પાટણ (સાતલપુર તાલુકો): 04 બસો
  • કચ્છ (અંજાર તાલુકો): 02 બસો
  • મોરબી (માળિયા તાલુકો): 02 બસો

રશૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં ગેમ-ચેન્જર
આ અનોખી પહેલથી રણ વિસ્તારના બાળકોમાં રશૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયોમાં મોટો ઘટાડો થશે. મોસમી સ્થળાંતરને કારણે દર વર્ષે ખોરવાતા શિક્ષણને આ પ્રોજેક્ટ અટકાવશે. આગામી સમયમાં આ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્થળાંતરિત સમુદાયોના શિક્ષણ માટે એક રોલ મોડેલ સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, GSRTC ના MD ડૉ. રાજેન્દ્ર કુમાર અને શિક્ષણ વિભાગ તેમજ SSA ના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈમાં મેઘતાંડવની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

0

મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાના પહેલા જ દિવસે મુંબઈમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે. મુશળધાર વરસાદને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અંધેરી સબવે બંધ કરી દીધો છે. હવામાન વિભાગે આજે 24 જૂન માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું હતું. ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપી હતી.

નોંધનીય છે કે મુંબઈમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 13 દિવસ મોડું પહોંચ્યું છે. શહેરમાં આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. અગાઉ, 1958 અને 1974માં મુંબઈમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું, જે 28 જૂને પહોંચ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા છે.

ધોધમાર વરસાદને પગલે અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો છે. 23 જૂનના રોજ સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી બીએમસી દ્વારા નોંધાયેલા વરસાદના ડેટા મુજબ, શહેરમાં સરેરાશ 56 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વીય ઉપનગરોમાં 23 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 33 મીમી વરસાદ પડ્યો હતો.

મુંબઈના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો હતો
બીએમસીના ડેટા મુજબ, 23 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી 24 જૂનના રોજ સવારે 2 વાગ્યા સુધી, શહેર વિસ્તારમાં સરેરાશ 78 મીમી વરસાદ નોંધાયો હતો. પૂર્વીય ઉપનગરોમાં 87 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમી ઉપનગરોમાં 113 મીમી વરસાદ પડ્યો હતો. રાત્રે 1 થી 2 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ ભાંડુપ કોમ્પ્લેક્ષમાં 40 મીમી નોંધાયો હતો. વધુમાં, એસ વોર્ડમાં 35 મીમી, ટી વોર્ડમાં 31 મીમી અને મીઠાગૌર મ્યુનિસિપલ સ્કૂલ વિસ્તારમાં 29 મીમી વરસાદ પડ્યો હતો.

બીએમસીએ અહેવાલ આપ્યો હતો કે પાણી ભરાયેલા અંધેરી અંડરપાસ સિવાય તમામ સબવે કાર્યરત રહ્યા હતા, જ્યારે સમગ્ર શહેરમાં ટ્રેન સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈ અને પાલઘરમાં કેટલાક સ્થળોએ વીજળી પડવાની અને ભારેથી અતિ ભારે વરસાદની સાથે 40 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ભારે વરસાદને કારણે મુંબઈ ઠપ્પ થઈ ગયું
બુધવાર રાતથી મુંબઈને અડીને આવેલા વસઈ, વિરાર અને નાલાસોપારા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક સેવાઓ ખોરવાઈ ગઈ છે અને મુસાફરોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં સમસ્યાઓ વધી ગઈ છે. ભવાની પાર્ક વિસ્તારમાં પણ એક ઝાડ પડી ગયું છે અને ફાયર બ્રિગેડની ટીમો તેને દૂર કરવા માટે કામ કરી રહી છે. સતત વરસાદને કારણે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

નીરવ મોદીને યૂકે કોર્ટમાંથી મોટો ઝટકો, બેન્ક ઓફ ઈન્ડિયાને 100 કરોડ ચૂકવવાનો આદેશ

હજારો કરોડ રૂપિયા લઈને ભારત છોડી ભાગી ગયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. નીરવ મોદીને મોટો ફટકો આપતા, યુકેની એક કોર્ટે તેમને બેંક ઓફ ઈન્ડિયાને $10.7 મિલિયન (આશરે ₹100 કરોડ) ની મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ સિમોન ટિંકલરે બેંકના દાવાને સંપૂર્ણપણે માન્ય અને વાજબી ગણાવ્યો. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં કેદ છે અને ભારતમાં પ્રત્યાર્પણ ટાળવા માટે કાનૂની દાવપેચમાં રોકાયેલ છે, પરંતુ આ નવા ચુકાદાએ તેના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.

આખો મામલો શું છે?
આ સમગ્ર વિવાદ 2012નો છે, જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની, ડાયમંડ FZE ને મોટી લોન આપી હતી. ઓગસ્ટ 2013 માં, નીરવ મોદીએ પોતે આ લોન માટે વ્યક્તિગત ગેરંટી તરીકે સહી કરી હતી. આનો અર્થ એ થયો કે કંપની દ્વારા કોઈપણ ડિફોલ્ટ માટે નીરવ જવાબદાર હતો. કોર્ટમાં, નીરવ મોદીએ એક વિચિત્ર દલીલ રજૂ કરી. તેમણે દાવો કર્યો હતો કે બેંકનો આ નિયમ તેમને લાગુ પડતો નથી અને બેંકે ક્યારેય તેમના પૈસાની યોગ્ય માંગણી કરી નથી.

જોકે, ન્યાયાધીશ સિમોન ટિંકલરે નીરવના બધા બહાનાઓને ફગાવી દીધા, અને ચુકાદો આપ્યો કે શ્રી મોદી બેંકને $4.1 મિલિયન (આશરે ₹389 કરોડ) ની મૂળ રકમ અને વ્યક્તિગત ગેરંટી હેઠળ ઉપાર્જિત નોંધપાત્ર વ્યાજ ચૂકવવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે બેંકને પૈસા કેમ ન મળવા જોઈએ તેનું કોઈ આકર્ષક કારણ આપ્યું ન હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
55 વર્ષીય નીરવ મોદીની 19 માર્ચ, 2019 ના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલના સળિયા પાછળ છે. ભારત સરકાર તેને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં, નીરવ મોદીએ ભારતના પ્રત્યાર્પણના આદેશને પડકારવા માટે એક નવી યુક્તિ અજમાવી. તેમણે એક જૂના કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે ભારતીય જેલોમાં તેમને “ત્રાસ” આપવામાં આવ્યો હતો. જોકે, યુકે હાઈકોર્ટે, ભારત સરકારના આશ્વાસન પર આધાર રાખીને, તેમની અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી.

હવામાન વિભાગનું એલર્ટ: આજે 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

0

ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદના મુખ્ય કેન્દ્ર તરીકે સામે આવ્યા છે, જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આજે સવારે 7થી 10 વાગ્યા દરમિયાન ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં નોંધાયો હતો. આહવામાં 68 મિમી (2.68 ઇંચ) વરસાદ પડ્યો હતો, જેમાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન જ લગભગ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બીજી તરફ, ગોંડલમાં કુલ 54 મિમી (2.13 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સાંજે 6થી 8 વાગ્યાના સમયગાળામાં 46 મિમી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં પણ 37 મિમી (1.46 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જેમાં બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે 25 મિમી વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી, તાપીના ઉકાઈ, છોટાઉદેપુરના કાવંત અને બોટાદના રાણપુરમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાના આગમનમાં વિલંબ જોવા મળી રહ્યો છે. સમય કરતાં મોડું ચોમાસું પહોંચતા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પ્રિમોનસૂન વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

બિશ્નોઈ ગેંગના નામે ખંડણીની ધમકી બાદ ફેક્ટરી પર ફાયરિંગ

0

કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગને નામે ધમકીભર્યો કૉલ કર્યા પછી પુણેના બિઝનેસમૅનની ફૅક્ટરી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ પ્રકરણે સ્ટીલના ઉત્પાદનોનો વ્યવસાય ધરાવતા અમોલ રાજેન્દ્ર ચમાદાઈએ સૌપ્રથમ વાનવડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. જોકે ઘટના ફુરસુંગી પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી બાદમાં ચમાદાઈએ ફુરસુંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં બિઝનેસમૅને જણાવ્યું હતું કે સોમવારની સાંજે 4.30 વાગ્યે અજાણ્યા શખસે તેને કૉલ કર્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ ‘આરઝુ બિશ્ર્નોઈ’ તરીકે આપી હતી. જાનની ધમકી આપી શખસે ખંડણી માગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ચમાદાઈ ફુરસુંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતો હતો એ જ સમયે રાતે 8.10 વાગ્યાની આસપાસ તેની ફૅક્ટરી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ચાર રાઉન્ડ ફાયર કરી હુમલાખોર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને પણ ઇજા થઈ નહોતી.

ફરિયાદને આધારે ફુરસુંગી પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો. ખંડણી માટે ધમકી અને ગોળીબારની ઘટના એકબીજા સાથે સંકળાયેલી છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

રામ મંદિર દાન કૌભાંડ પછી એક્શન મોડમાં ટ્રસ્ટ, લાગુ થયા કડક નવા નિયમો

0

અયોધ્યામાં રામ મંદિર માટે ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની ખાસ તપાસ ટીમ (SIT) એ તેની તપાસ પૂર્ણ કરી છે. SIT એ મંગળવારે ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને તેનો વિગતવાર અહેવાલ સુપરત કર્યો. સરકારે સ્પષ્ટતા કરી છે કે તપાસ હજુ પણ ચાલુ છે. આનો અર્થ એ છે કે આ અંતિમ અહેવાલ નથી અને તપાસ ચાલુ રહેશે. SIT એ તાજેતરમાં અયોધ્યા મુદ્દા અંગે વિવિધ સ્તરે તપાસ, પૂછપરછ અને દસ્તાવેજ ચકાસણી હાથ ધરી હતી. હવે, પ્રાથમિક અહેવાલ સરકારને સુપરત થયા પછી, આ સંવેદનશીલ મામલામાં આગળની કાર્યવાહી પર નજર રાખવામાં આવશે.

7 જૂને લાંચ કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી, રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ સોમવાર, 15 જૂને તેની તપાસ શરૂ કરી. મહાસચિવ ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને પ્રશાસક ગોપાલ રાવ પાસેથી વ્યવસ્થા વિશે માહિતી મેળવ્યા બાદ તપાસ આગળ ધપાવવામાં આવી હતી અને રોકડની ગણતરી અને મંદિર વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લગભગ 150 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ચંપત રાયના ડ્રાઇવર રામશંકર યાદવ ટિનુ અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના નિવેદનોની પણ તુલના કરવામાં આવી હતી. વિસંગતતાઓ જણાતાં, બંનેની સતત ત્રણ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

શંકાસ્પદ જણાતા અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, રાજેશ પાઠક, અવિનાશ શુક્લા, કૃષ્ણદેવ તિવારી, સુભાષ શ્રીવાસ્તવ સહિત ટ્રસ્ટ અને બૅન્ક સાથે સંકળાયેલા 14 લોકોના લેખિત નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. છ દિવસની તપાસ દરમિયાન, અનેક પ્રકારની ગેરરીતિઓ મળી આવી હતી અને દાનપેટીઓની ચાવીઓ રામશંકર યાદવ ટીનુ પાસેથી મળી આવી હતી.

રામ મંદિર માટેના દાનની ચોરી અંગે આખો દેશ ચિંતિત છે. સીએમ યોગી આદિત્યનાથ પહેલા દિવસથી જ એક્શન મોડમાં છે, અને હવે એસઆઈટી તેમને રિપોર્ટ સોંપવાની તૈયારીમાં છે. દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામ મંદિરના પ્રસાદ અંગે નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.

જૂના કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા
મંદિરના પ્રસાદની ગણતરી માટે જવાબદાર લગભગ 50 ભૂતપૂર્વ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. હવે આ કામ માટે નવા લોકોની નિમણૂક કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું બૅન્ક ખાતું સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાની અયોધ્યા શાખામાં સ્થિત છે, જ્યાં મંદિરને મળતા તમામ દૈનિક દાન જમા કરવામાં આવે છે. આ ઘટના બાદ, એસબીઆઈના અધિકારીઓ અને ઓડિટરોને પણ બદલવામાં આવ્યા છે. હવે, પૈસા ફક્ત ટ્રસ્ટના અધિકારીઓની હાજરીમાં જ ગણાશે.

તેવી જ રીતે, આ કામ માટે ખાનગી એજન્સીમાંથી રાખવામાં આવેલા તમામ કર્મચારીઓને પણ બદલવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ દેખરેખ કાર્ય માટે અગાઉ નિયુક્ત કરાયેલા કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે અને નવા કર્મચારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ડ્રેસ કોડમાં ફેરફાર
રામ મંદિરમાં રોકડ દાનની ગણતરી કરતા કર્મચારીઓ માટે એક નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તેમના કપડાં હવે ખિસ્સા વગરના રહેશે.

સીસીટીવી બૅકઅપની સમય મર્યાદા લંબાવવામાં આવી
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અટકાવવા માટે એક નવી, ફૂલપ્રૂફ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ હવે 45 દિવસથી વધારીને 180 દિવસ માટે બેકઅપ લેવામાં આવશે. વધુમાં, દાન પેટીઓમાંથી ઉપાડનો પણ વીડિયો રેકોર્ડ કરવામાં આવશે.

એકને બદલે બે તાળા
જ્યારે રામ મંદિરમાં રોકડ દાનની ગણતરી કરવામાં આવશે અને તેને જમા કરાવવા માટે બૅન્કમાં લઈ જવામાં આવશે, ત્યારે બૉક્સમાં હવે એકને બદલે બે તાળા હશે જેમાં અલગ ચાવીઓ હશે. આનાથી પરિવહનમાં પૈસા ખોવાઈ જવાની સમસ્યા દૂર થશે.

ભૂતપૂર્વ ક્લાસ-1 અધિકારી સામે 3.56 કરોડની આવકથી વધુ સંપત્તિનો કેસ નોંધાયો

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આણંદના તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (નિવાસી અધિક કલેક્ટર) અને ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1) ના સિનિયર સ્કેલના અધિકારી કેતકીબેન વ્યાસ સામે ₹3.56 કરોડની અપ્રમાણસર મિલકત વસાવવાના આરોપસર ગુનો નોંધ્યો છે, જેઓ હાલમાં સસ્પેન્ડ છે. ACBના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની મિલકતો તેમની આવકના જાહેર કરેલા સ્ત્રોતો કરતા 68.84 ટકા વધુ હતી.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને તેમની કાયદેસરની આવક કરતાં વધુ મિલકત વસાવવાના કથિત કેસો શોધી કાઢવા માટે એસીબી (ACB) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (સુધારા અધિનિયમ, 2028) હેઠળ એક વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જ કેતકીબેન વ્યાસની મિલકતોની તપાસ કરવામાં આવી હતી.

તપાસ મુજબ, કેતકીબેન વ્યાસે 1 એપ્રિલ, 2012 થી 31 માર્ચ, 2023 સુધીના તપાસના સમયગાળા દરમિયાન એક સરકારી કર્મચારી તરીકે પોતાના હોદ્દાનો કથિત દુરુપયોગ કર્યો હતો અને પોતાની કાયદેસરની આવકની સરખામણીમાં ₹3,56,03,910ની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. એસીબી (ACB) એવો આક્ષેપ કર્યો છે કે આ રકમ તેમણે પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામે જંગમ અને સ્થાવર મિલકતોમાં રોકી હતી.

આ તપાસના તારણોના આધારે, અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશનમાં કેતકીબેન વ્યાસ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ એસીબી (ACB) ના અમદાવાદ યુનિટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (મદદનીશ નિયામક) ને સોંપવામાં આવી છે અને તે ડેપ્યુટી ડાયરેક્ટર (નાયબ નિયામક) ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

કોણ છે કેતકી વ્યાસ?
આણંદ (ગુજરાત) ના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકીબેન વ્યાસ, વર્ગ-1 ના એક સસ્પેન્ડેડ રાજ્ય વહીવટી અધિકારી છે. તેઓ 2023ના એક મોટા ખંડણી અને “સ્પાયકેમ” કૌભાંડ તેમજ ત્યારપછીના અપ્રમાણસર મિલકતના કેસમાં તેમની સંડોવણી માટે જાણીતા છે. તેઓ આણંદમાં તેમનો કાર્યકાળ અને ત્યારપછી તેમની સામે લેવાયેલા કાનૂની પગલાં બાબતે વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે.

2023નું “સ્પાયકેમ” અને ખંડણી કૌભાંડ
ઓગસ્ટ 2023માં, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આણંદના તત્કાલીન જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવીને હની-ટ્રેપમાં ફસાવવા અને બ્લેકમેલ કરવાના આરોપસર કેતકીબેન વ્યાસ અને અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે કેતકીબેન વ્યાસે, અન્ય લોકો સાથે મળીને, કલેક્ટર ઓફિસ અને ચેમ્બરમાં ગુપ્ત રીતે સ્પાય કેમેરા (છૂપા કેમેરા) ગોઠવવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ આ ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલા વીડિયોનો ઉપયોગ કલેક્ટરને બ્લેકમેલ કરવા માટે કરતા હતા, જેથી નાણાકીય લાભ મેળવવા માટે વિવાદિત ફાઇલો મંજૂર કરાવી શકાય

કોર્ટે 7 વર્ષની સજા ફટકારતા ચૈતર વસાવાની ધારાસભ્ય પદ જઈ શકે

0

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીને માર મારવા અને ધમકી મારવાના કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટની સજાની જાહેરાત સાથે ચૈતર વસાવા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરી શકે છે. નિયમ પ્રમાણે જો કોઈ ધારાસભ્ય કે સાંસદને કોઈ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા મળે તો તેમણે પદ છોડવું પડે છે. જે રીતે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકારતા તેમને સાંસદ પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા.

શું હતો રાહુલ ગાંધીનો કેસ
રાહુલ ગાંધીના કેસની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યુ હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ સુરતની મેટ્રોપોલિયન કોર્ટમાં ચાલ્યો હતો. આરોપ હતો કે આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોની છબી ખરાબ થઈ છે. ટ્રાયલ કોર્ટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી.

સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો હતો સ્ટે
રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરતા ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને સજા પર સ્ટે લગાવ્યો હતો. સુપ્રીમના સ્ટે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકે વાપસી થઈ હતી.

લોકસભા સચિવાલય દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું રાહુલનું સભ્યપદ
નીચલી કોર્ટની સજા બાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને સાંસદ પદેથી ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યા હતા. 24 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીનું સંસદ તરીકેનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીની સંસદમાં વાપસી થઈ હતી.

ચૈતર વસાવાના કેસમાં હવે શું થશે?
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે. હવે તેમણે ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે. જોકે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટમાં સજા પર સ્ટે લગાવવા માટે અરજી કરી શકે છે. જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવશે. જ્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આ સજા પર સ્ટે લગાવે તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકે છે.