Home Blog Page 43

પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી! ઉધના ગામ પાસે રોડ ધસી પડતા ST બસ ફસાઈ

સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ઉધના ગામ નજીક આવેલા મુખ્ય માર્ગનો એક ભાગ અચાનક ધસી પડતાં રસ્તા પર મોટો ભુવો પડ્યો હતો. ઘટનાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ST બસ રસ્તો બેસી જતાં ફસાઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુખ્ય માર્ગ પર પડેલા ભુવાને કારણે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

ગંભીર સવાલો ઊભા થયા
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું, છતાં પ્રથમ વરસાદમાં જ રસ્તો બેસી જતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોએ આક્ષેપ કર્યો કે માર્ગના નિર્માણ દરમિયાન ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી છે.

સ્થાનિકોએ કરી છે માગ
જોકે, આ ઘટનાએ ફરી એકવાર પ્રિ-મોન્સૂન તૈયારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સ્થાનિકોની માગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જામલિયા પાસે ધરમપુર-પાલનપુર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત, પાંચ ઘાયલ

વાંસદા તાલુકાના જામલિયા વળાંક પાસે ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ સામેથી આવતી ટ્રક સાથે વરસાદ અથડાતા ટ્રકમાં સવાર ક્લીનર અને એસટી બસમાં સવાર અજાણ્યા મુસાફર અને ટ્રકના ક્લિનરના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ થી વધુ મુસાફરો ને ઓછો વતી ઈજાઓ થઈ હતી.

વાંસદા તાલુકાના જામલિયા વળાંક પાસે ધરમપુરથી પાલનપુર જતી ST બસ નં. GJ-18-ZT-3151 અને સોનગઢથી કપરાડા તરફ જતી ટ્રક નં. GJ-15-AV-7518 વરસાદને કારણે બસના પાછલા ભાગે અથડાતા બસના એક અજાણ્યા મુસાફરને ગંભીર ઈજાઓ થતાં વલસાડ રિફર કરાયો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકના ક્લીનર સોનગઢના વિજય ગામીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રક ચાલક શૈલેષ ગામીત સહિત પાંચને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી ‌ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

0

સગીરા પર બળાત્કાર કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું કે, આસારામને તાત્કાલિક જામીન આપી શકાય નહીં. તે પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સાંભળશે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “અમે હાલમાં આસારામને જામીન આપી શકતા નથી. પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સાંભળવો જોઈએ. આસારામ એક પ્રભાવશાળી પદ ધરાવે છે; જામીન અરજીની સુનાવણી કરતી વખતે આપણે આનો પણ વિચાર કરવો પડશે.”

સુપ્રીમ કોર્ટે આસારામની વિનંતી ફગાવી
આસારામની અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને શીલ નાગુની સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો. બેન્ચે નિર્દેશ આપ્યો કે, અરજદારની તબીબી સેવાઓ જેલમાં ચાલુ રાખવામાં આવે. કોર્ટે કહ્યું કે, જો ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ હોય તો જ જામીન પર વિચાર કરવામાં આવશે.

સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કરીને જામીન માગ્યા
જસ્ટિસ સુંદરેશએ કહ્યું કે, “અમે સજા સ્થગિત કરવાનો વિચાર કરી રહ્યા નથી.” “જો કોઈ ગંભીર કટોકટી હોય, જેમ કે જીવને ખતરો હોય તો જ…શું અમે તેના પર વિચાર કરીશું.” તેમણે રાજ્યને આનો ઉકેલ લાવવા કહ્યું. રાજ્યના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે તેમને 2 જૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની તબિયત સારી છે.

આસારામનું પ્રતિનિધિત્વ કરતા દામા શેષાદ્રિ નાયડુએ જણાવ્યું હતું કે, તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે અને અનેક બીમારીઓથી પીડાય છે. નાયડુએ દાવો કર્યો હતો કે, અરજદાર “સોશિયલ મીડિયા ટ્રાયલ”નો ભોગ બન્યા છે. પીડિતાના વકીલે આ દલીલને નકારી કાઢી હતી, અને નિર્દેશ કર્યો હતો કે, આ કેસમાં સગીર પીડિતાઓ પણ સામેલ છે.

આસારામે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો
આસારામે 2013ના બળાત્કાર કેસમાં તેમને દોષિત ઠેરવવા અને આજીવન કેદની સજા ફટકારવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. તેમની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને, આસારામે વચગાળાની જામીનની પણ માંગ કરી છે.

હાઈકોર્ટે આજીવન કેદની સજાને આપ્યું સમર્થન
મે મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામને ગેંગરેપ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કેટલીક જોગવાઈઓમાંથી મુક્ત કર્યા હતા, જ્યારે તેમના સહ-આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે, બળાત્કાર કેસમાં તેમના ગુનાના નોંધપાત્ર પુરાવાઓને ટાંકીને, નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું.

પીએમ મોદી 4 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે: સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

ગુજરાતને વધુ એક ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 4 જુલાઈના રોજ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે દેશના મહત્વપૂર્ણ એવા ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

સાણંદમાં સ્થાપિત થનારો CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ આધુનિક સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટી તરીકે કાર્ય કરશે. આ પ્લાન્ટ શરૂ થતાં ગુજરાતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી ગતિ મળશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત દેશના સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે.

વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા રોકાણો આકર્ષ્યા છે. સાણંદમાં શરૂ થનારો આ ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ રાજ્યને ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે તેમજ આત્મનિર્ભર ભારતના વિઝનને પણ નવી ઊંચાઈ આપશે.

WhatsApp પર આવ્યું નવું યુઝરનેમ ફિચર: હવે નંબર આપ્યા વિના પણ કરી શકશો વાતચીત!

0

વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સ માટે વધુ એક મહત્વપૂર્ણ પ્રાઇવસી અપડેટ લાવવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં Username Feature રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે હવે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે મોબાઇલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે. આ નવું ફીચર લાખો યુઝર્સ માટે પ્રાઇવસી અને સુરક્ષાની દૃષ્ટિએ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

હાલમાં WhatsApp પર કોઈ નવા વ્યક્તિ સાથે ચેટ શરૂ કરવા માટે તેનો મોબાઇલ નંબર સેવ કરવો ફરજિયાત છે. પરંતુ નવા Username ફીચર આવ્યા બાદ દરેક યુઝર પોતાનું એક અનન્ય (Unique) યુઝરનેમ બનાવી શકશે. ત્યારબાદ અન્ય લોકો તે યુઝરનેમ દ્વારા જ તેમને શોધી શકશે અને ચેટ શરૂ કરી શકશે. આ પ્રક્રિયામાં મોબાઇલ નંબર સંપૂર્ણપણે ખાનગી રહેશે.

કેવી રીતે કામ કરશે નવું ફીચર?
નવા અપડેટ બાદ WhatsAppની Settingsમાં Username પસંદ કરવાનો વિકલ્પ મળશે. યુઝર પોતાની પસંદગીનું એક અનન્ય નામ પસંદ કરી શકશે. જો પસંદ કરાયેલું નામ પહેલેથી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યું હશે, તો WhatsApp બીજું નામ પસંદ કરવા માટે સૂચન કરશે.

એકવાર Username સેટ થઈ જાય પછી, અન્ય લોકો માત્ર તે Username દ્વારા જ તમને શોધી શકશે. એટલે કે, દરેક વખત મોબાઇલ નંબર આપવાની જરૂર નહીં રહે. ખાસ કરીને અજાણ્યા લોકો, નવા ક્લાયન્ટ્સ અથવા બિઝનેસ કોન્ટેક્ટ્સ સાથે જોડાવા માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે.

પ્રાઇવસી થશે વધુ મજબૂત
WhatsAppના આ નવા ફીચરનો સૌથી મોટો ફાયદો પ્રાઇવસી છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે પોતાનો નંબર આપવો પડતો હતો, જેના કારણે ઘણી વખત અનિચ્છનીય કોલ્સ અથવા મેસેજિસ મળવાની શક્યતા રહેતી હતી.

હવે Username દ્વારા ચેટ શરૂ થવાથી મોબાઇલ નંબર જાહેર કરવાની જરૂર નહીં રહે. આ સુવિધા ખાસ કરીને મહિલાઓ, વિદ્યાર્થીઓ, ફ્રીલાન્સર્સ, ઓનલાઇન સેલર્સ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને બિઝનેસ યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

Username પસંદ કરવા માટે રહેશે ખાસ નિયમો
WhatsApp દ્વારા Username માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.

  • દરેક Username અનન્ય (Unique) હોવું જરૂરી રહેશે.
  • Username ની શરૂઆત www. થી કરી શકાશે નહીં.
  • માત્ર અંગ્રેજીના નાના અક્ષરો (a-z), અંકો (0-9), ડોટ (.) અને અન્ડરસ્કોર (_) નો જ ઉપયોગ કરી શકાશે.
  • Username ખૂબ ટૂંકો અથવા ભ્રામક ન હોવો જોઈએ.
  • નિયમોનું ઉલ્લંઘન કરનાર Username મંજૂર કરવામાં આવશે નહીં.

જો કોઈ યુઝર ભવિષ્યમાં પોતાનું Username બદલશે, તો તેના કોન્ટેક્ટ્સને ચેટમાં સિસ્ટમ નોટિફિકેશન જોવા મળશે. આ સુવિધાનો હેતુ ગેરસમજ અટકાવવાનો અને ખોટી ઓળખ સામે સુરક્ષા આપવાનો છે. એટલે કે, કોઈ વ્યક્તિ અચાનક Username બદલી દે તો પણ તેના સંપર્કમાં રહેલા લોકોને તેની જાણ થઈ જશે.

કોના માટે સૌથી વધુ ઉપયોગી?
આ ફીચરનો સૌથી વધુ લાભ એવા લોકોને મળશે, જેઓ દરરોજ નવા લોકો સાથે સંપર્કમાં રહે છે. જેમ કે:

  • બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઓનર્સ
  • ફ્રીલાન્સર્સ
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ
  • ઓનલાઇન વેચાણ કરતા વેપારીઓ
  • વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ
  • જાહેર જીવન સાથે જોડાયેલા લોકો

આ તમામ લોકો હવે પોતાનો વ્યક્તિગત મોબાઇલ નંબર જાહેર કર્યા વિના WhatsApp પર સરળતાથી સંપર્ક કરી શકશે.

ક્યારે મળશે આ અપડેટ?
હાલમાં WhatsApp આ ફીચરનું Beta Testing કરી રહ્યું છે. પરીક્ષણ સફળ થયા બાદ આગામી અપડેટ્સમાં Android અને iPhone બંને પ્લેટફોર્મ પર ધીમે-ધીમે તમામ યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી.

રશિયાના યુક્રેન પર હુમલાઃ 12 લોકોના મોત, 40 ઘાયલ

0

સોમવારે યુકેનમાં રશિયન મિસાઈલો અને ડ્રોન દ્વારા વિનાશ મચાવ્યો હતો. જેમાં ૧૨ લોકો માર્યા ગયા અને 40 ઘાયલ થયા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાઓને ભયાનક ગણાવ્યા હતા. રશિયાએ ચાર વર્ષ પહેલા યુકેન પર આક્રમણ શરૂ કર્યું હતું. યુએનના ડેટા અનુસાર, આ યુદ્ધમાં 16,000 થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. રશિયા યુકેનના માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનું અને લોકોનું મનોબળ ઘટાડવાનું ચાલુ રાખે છે.

રશિયન મિસાઇલોએ ડિનિપ્રો શહેરમાં માળખાગત સુવિધાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં છ લોકો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થયા. ઝાપોરિઝિઝયા શહેરમાં રશિયન ડ્રોન એક પેસેન્જર બસ સાથે અથડાયા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. સુમી પ્રદેશમાં ડ્રોન હુમલામાં એક વૃદ્ધ મહિલા અને એક પુરુષનું મૌત થયું, ખાર્કિવના મેયરે અહેવાલ આપ્યો કે ત્યાં દિવસના સમયે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. છ અન્ય યુક્રેનિયન પ્રદેશોમાં પણ જીવલેણ હુમલા થયા છે.

આ રશિયન ડુમલાઓએ આઠ ચુકેનિયન પ્રદેશોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો છે. તીવ્ર ગરમીને કારણે લોકોને એર કંડિશનરનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જેના કારણે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર યુરોપને અપીલ કરી છે. તેમણે કહ્યું કે યુરોપે રશિયન બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે તેના સંરક્ષણ અને મિસાઈલ સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે લોકોને આ ભયાનક હુમલાઓથી બચાવવા માટે એન્ટિ-બેલિસ્ટિક ક્ષમતાઓની તાત્કાલિક જરૂર છે.

છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુકેને રશિયન તેલ સ્થાપનો પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. આ હુમલાઓને કારણે રશિયા અને તેના કબજા હેઠળના પ્રદેશોમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર સ્વીકાર્યું કે યુકેનના હુમલાઓએ રશિયામાં ઇંધણ સંકટ પેદા કર્યું છે. પેટ્રોલ સ્ટેશનો પર લાંબી કતારો લાગી રહી છે અને લોકોનો ગુસ્સો પ્રબળ છે. આ છતાં, પુતિને સ્પષ્ટપણે હાર માનવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે રશિયા આખરે આ યુદ્ધ જીતશે. કેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે એમ પણ કહ્યું કે રશિયાનો ઉદ્દેશ્ય બદલાયો નથી અને તેની સેના આગળ વધતી રહેશે.

જાતીય શોષણના કેસમાં 5 મિલિયન ડોલરનો ચુકાદો રદ કરવાની ટ્રમ્પની અરજી સુપ્રીમ કોેર્ટે ફગાવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપતાં એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે મહિલા લેખિકા ઈ. જીન કેરોલના જાતીય શોષણના કેસમાં પાંચ મિલિયન ડોલરનું વળતર આપવાના જ્યુરીના નિર્ણયને ફગાવી દેવાની ટ્રમ્પની અરજીને નકારી કાઢી છે. જ્યુરીએ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, 90ના દાયકામાં મેનહટ્ટનના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ટ્રમ્પે મહિલા લેખિકા ઈ. જીન કેરોલનું જાતીય શોષણ કર્યું હતું અને બાદમાં તેને બદનામ કરી હતી.

ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે, પાંચ મિલિયન ડોલરનું વળતર આપવાના નિર્ણયમાં પુરાવાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું, પરંતુ અદાલતે કોઈ કારણ આપ્યા વિના આ કેસ હાથ ધરવાનો ઇનકાર કર્યો. આ કેસમાં ટ્રમ્પ પર જાતીય શોષણનો આરોપ મુકનાર અન્ય બે મહિલાઓની જુબાનીને પણ પુરાવા તરીકે ગણવામાં આવી હતી, જેની સામે ટ્રમ્પે વાંધો ઉઠાવ્યો હતો.

ટ્રમ્પના વકીલોએ દલીલ કરતાં જણાવ્યું હતું કે,આ કેસમાં ન્યાયાધીશે પુરાવા સંબંધી ફેડરલ નિયમોની અવગણના કરી છે. જોકે આ ચુકાદો ટ્રમ્પ ફરીથી વ્હાઇટ હાઉસમાં સત્તા પર પર આવ્યા તે પહેલાં આવી ગયો હતો, છતાં વકીલોએ તેને રાષ્ટ્રપતિ તરીકેની તેમની વિશિષ્ટ ફરજોમાં વિક્ષેપ સમાન ગણાવ્યો હતો.

અદાલતી દસ્તાવેજોમાં વકીલ જસ્ટિન ડી. સ્મિથે નોંધ્યું હતું કે, એક રાષ્ટ્રપતિ પ્રત્યેના આવા દુર્વ્યવહારને ના ચલાવી લેવાય.ટ્રમ્પની નીતિઓ સાથે સંકળાયેલા સહિતના મહત્વના કેસોમાં અભિપ્રાયો આપી રહેલી સુપ્રીમ કોર્ટનો આ આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે વધુ એક ફટકા સમાન બની રહેશે. ટ્રમ્પ અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં અન્ય કેસોમાં પોતાની હાર અંગે આક્રોશ વ્યક્ત કરી ચૂક્યાં છે. જેમાં કટોકટીની સત્તાઓ આપતા કાયદા હેઠળ તેમણે લાદેલા વૈશ્વિક ટેરિફને સર્વોચ્ચ અદાલતે ફગાવ્યો ત્યારે કરવામાં આવેલી અસાધારણ અને વ્યક્તિગત ટીકાનો સમાવેશ થાય છે.

ફેડ રિઝર્વના ગવર્નર લીઝા કૂકની હકાલપટ્ટી અટકી
સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્ટ્રપ્રમુખની સત્તાનો વ્યાપ વધારતા, સ્વતંત્ર સરકારી એજન્સીઓના વડાઓને બરતરફ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને લીલી ઝંડી આપી છે. જોકે સુપ્રીમે અપવાદ રૂપે ફેડરલ રિઝર્વના ગવર્નર લીઝા કૂકને હાંકી કાઢવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. દેશની મધ્યસ્થ બેન્ક સિવાય તમામ સંસ્થાઓના વડાઓને પદ પરથી હાંકી કાઢવા માટે રાષ્ટ્રપ્રમુખને સંપૂર્ણ સત્તા હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

પંજાબ કિંગ્સના ક્રિકેટર સામે FIR, નિવૃત IPS પિતા પણ આરોપી બન્યા, જાણો શું છે કેસ?

0

IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત IPS અધિકારી પિતા શૈલેષ સિંહ વિરુદ્ધ ભોપાલમાં FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તેઓએ તેમના ઘરના રસોઈયા સાથે મારપીટ કરી, અપશબ્દો બોલ્યા અને કામ કરાવવા દબાણ કર્યું. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

આ કેસ ભોપાલના રાતિબડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે, જ્યાં પીડિત રસોઈયા વિપેન્દ્ર સિંહે ફરિયાદ નોંધાવી છે. પીડિતનો આરોપ છે કે શશાંક સિંહ, તેના પિતા શૈલેષ સિંહ અને તેમના ડ્રાઇવર મિશ્રાએ તેમના પર હુમલો કર્યો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. વિપેન્દ્ર સિંહનો દાવો છે કે તેમને નોકરીના બહાને ભોપાલ બોલાવવામાં આવ્યો હતો.

વિપેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે તેમને રેવાથી ભોપાલ બોલાવવામાં આવ્યો હતો. તેમને એક પરિચિત દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને શૈલેષ સિંહના ઘરે રસોઈયા તરીકે નોકરી આપવામાં આવશે અને ભવિષ્યમાં તેમને સરકારી નોકરીમાં મદદ કરવામાં આવશે. તેમને દર મહિને 15,000 રૂપિયા પગાર, રહેવા અને ખાવાનુ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

પીડિતના જણાવ્યા મુજબ, કામ શરૂ કર્યાના કલાકોમાં જ તેને સતત કામનું દબાણ આપવામાં આવતું હતું. તેણે જણાવ્યું હતું કે ઘરમાં પહેલેથી જ કામ કરતા રસોઈયા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. જ્યારે તેણે નોકરી છોડવાનું કહ્યું તો તેને ધમકી આપવામાં આવી અને પૂછવામાં આવ્યું, “જો તમે કામ કરવા માંગતા નથી તો તમે અહીં કેમ આવ્યા?”

વિપેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો કે તેનો મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો અને તેને કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. ડરના કારણે તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો, પરંતુ તેમ છતાં, એવો આરોપ છે કે શૈલેષ સિંહ, શશાંક સિંહ અને ડ્રાઇવરે તેના પર હુમલો કર્યો. પીડિતાના શરીર અને ચહેરા પર પણ ઇજાઓ થઈ હતી.

પોલીસે આ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસે શૈલેષ સિંહ, શશાંક સિંહ અને અન્ય એક વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 296(b), 115(2), અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો, અમરોલી સહિતના વિસ્તારોમાં પાણી જળબંબાકાર

સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં મોડી રાત્રથી જ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. ગરમી અને બફારાથી પ્રાહિમામ પોકારી ઉઠેલા સુરત શહેર તેમજ સુરત જિલ્લામાં ગત મોડી રાતથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. આજે મંગળવારે સવારે પણ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ગરમીથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ
મોડી રાતથી ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને શહેરીજનોને ગરમીથી મોટી રાહત મળી છે. સવારના સમયે પણ વરસાદી માહોલ રહેતા નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજ જતા લોકોને છત્રી તથા રેઈનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી. આખરે સુરત જિલ્લામાં વરસાદનું આગમન થતાં જગતના તાત ગણાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ચાર કલાકમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
સુરત શહેરમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ ગયા, જેને લઈને અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. આ ગરનાળું અવરજવર માટે બંધ થયું હતું.

સુરત શહેર51 mm
કામરેજ36 mm
ઓલપાડ 34 mm
માંગરોળ 30 mm
ચોર્યાસી 26 mm
ઉમરપાડા 10 mm
અરેઠ 8 mm
બારડોલી 4 mm

શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોનો વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતાં શ્રમિકો અને સ્કૂલે જતાં બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

બંગાળના હલ્દિયા રિફાઇનરીમાં બ્લાસ્ટ, 20 લોકો ઈજાગ્રસ્ત

0

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદીનીપુર જિલ્લાના હલ્દિયા વિસ્તારમાં આવેલી હલ્દિયા પેટ્રોકેમિકલ્સ રિફાઇનરીમાં મંગળવારે વહેલી સવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નાફ્થા સપ્લાય પાઇપલાઇનમાં થયેલા જોરદાર વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

માહિતી મુજબ, સવારે લગભગ 4 વાગ્યે હલ્દિયા પેટ્રોકેમિકલ્સની નાફ્થા પાઇપલાઇનમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ઝડપથી ફેલાઈ અને હલ્દિયા નગરપાલિકાના વોર્ડ નંબર 13 હેઠળ આવેલા ચિરંજીબપુર વિસ્તાર સુધી પહોંચી ગઈ. આગની જ્વાળાઓ અને ધડાકાના અવાજથી સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, પાઇપલાઇનમાંથી જોરદાર અવાજ આવ્યા બાદ થોડા જ મિનિટોમાં આસપાસના અનેક મકાનોમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે લોકો જીવ બચાવવા ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ દળે ઘાયલોને બહાર કાઢીને હલ્દિયા મહકમા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે દાઝેલા પાંચ લોકોને વધુ સારવાર માટે તમલુક મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.

હલ્દિયાના ધારાસભ્ય પ્રદીપ બિજલી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાથમિક આશંકા વ્યક્ત કરી કે પાઇપલાઇનમાંથી નાફ્થા ગેસ લીકેજ થવાને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. જોકે લીકેજનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

હલ્દિયા પેટ્રોકેમિકલ્સ મેનેજમેન્ટે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં કર્મચારીઓ તથા અસરગ્રસ્ત લોકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ દુર્ઘટનાનો અસર રેલવે સેવાઓ પર પણ પડી છે. વિસ્ફોટ નજીકથી પસાર થતા હલ્દિયા-પાંશકુડા રેલ માર્ગની ઓવરહેડ વીજ લાઇન અને ટ્રાન્સફોર્મર આગમાં બળી ગયા છે. સાથે જ રેલવે ટ્રેકનો એક ભાગ પણ નુકસાનગ્રસ્ત થયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હલ્દિયાથી હાવડા જતી મુસાફર ટ્રેનને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.