Home Blog Page 422

સુરતમાં જુના જર્જરિત મકાનનો ભાગ ધરાશયી, એક વ્યક્તિને ઇજા

સુરત શહેરના બેડ દરવાજા વિસ્તારમાં હોળી બંગલા નજીક આવેલા એક જૂના પ્રકારની રહેણાંક ઇમારતની ગેલેરી અચાનક તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નિકટવર્તી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગત સાંજના સમયે લોકો સામાન્ય રીતે ગેલેરીમાં બેઠા હતા ત્યારે અચાનક એસ્ટ્રક્ચર ઘટ્ટ અવાજ સાથે નીચે ધરાશાયી થયું. સ્થાનિક રહેવાસીઓ અને પાસેથી જતા લોકોને તરત જ મદદ માટે દોડાવું પડ્યું. મકાન જૂનું હોવાનું જણાઈ રહ્યું છે અને અગાઉ પણ તેમાં છતમાંથી પોપડાં ખસવાનો બનાવ બન્યો હતો.

ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરક્ષા જોગવાઈ તરીકે બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

હવે માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર માત્ર ૩ કલાકમાં

0

જમ્મુ અને કાશ્મીરમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શુક્રવારથી શરૂ થશે, જે શ્રીનગર અને કટરા વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં કાપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી આપશે. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને શ્રીનગર વચ્ચે બે ટ્રેનો દોડશે અને બન્ને શહેરો વચ્ચેનું અંતર 6થી 7 કલાકથી ઘટાડીને ફક્ત 3 કલાકમાં કલાક કાપશે.

આ ટ્રેનનું ઉદ્ઘાટન એપ્રિલ મહિનામાં થવાનું હતું, પરંતુ ખરાબ હવામાન અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે એ મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે હવામાન સામાન્ય છે એટલે ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.

હાઈ-ટેક સુવિધાઓ
કાશ્મીર માટે બનાવવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ખાસ કરીને ઠંડીના હવામાનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં હીટિંગ સિસ્ટમ અને ઑટોમૅટિક દરવાજા જેવી હાઈ-ટેક સુવિધાઓ હશે, જેથી માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં પણ દોડવામાં કોઈ સમસ્યા ન થાય. ટ્રેનના ડ્રાઇવરો માટે ઍન્ટિ-સ્પૉલ લેયરની સુવિધા મળશે જે ડ્રાઇવરને હિમવર્ષા કે તોફાન જેવી મુશ્કેલ હવામાન પરિસ્થિતિઓમાં ટ્રેનને સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ કરશે. વંદે ભારત ટ્રેન વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે આર્ચ બ્રિજ અને અંજી પુલ પરથી પસાર થશે.

117 કિલોમીટરની ટનલ
272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિન્ક (USBRL) પર વંદે ભારત ટ્રેન દોડવાની છે. આ પ્રોજેક્ટમાં 117 કિલોમીટર ટનલનો સમાવેશ થાય છે. આ લિન્કનો સૌથી ખતરનાક ભાગ 111 કિલોમીટર લાંબો કટરા-બનિહાલ સેક્શન છે જે જાન્યુઆરીમાં પૂરો થયો હતો.

‘મેક ઇન ઇન્ડિયા’ની મોટી સફળતા
આ ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે. આ દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે જે મધ્યમથી લાંબા અંતરની મુસાફરીને ઝડપી તો બનાવે જ છે, પરંતુ મુસાફરીને આરામદાયક અને સલામત પણ બનાવે છે. હાલમાં શ્રીનગર અને કટરા વચ્ચે રોડમાર્ગે મુસાફરી કરવામાં 6થી 7 કલાક લાગે છે, પરંતુ વંદે ભારતની શરૂઆત સાથે મુસાફરો ફક્ત 3 કલાકમાં શ્રીનગરથી કટરા અથવા કટરાથી શ્રીનગર પહોંચી શકશે. આનાથી ખાસ કરીને યાત્રાળુઓ, સ્થાનિક લોકો અને પર્યટનને ફાયદો થશે.

બેંગલુરુ ભાગદોડમાં 11 લોકોનાં મોત પર સીએમ સિદ્ધારમૈયાનું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું ?

0

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૩૩ ઘાયલોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે કર્ણાટક સરકારે ભાગદોડની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે અને ૧૫ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

બુધવારે, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગેટ નંબર 6 પર ભાગદોડ મચી ગઈ હતી જ્યારે મોટી સંખ્યામાં RCB ચાહકો સ્ટેડિયમની બહાર IPLમાં RCBની જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન, અકસ્માતને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે અકસ્માત પછી પણ સરકારે ખેલાડીઓ સાથે ઉજવણી ચાલુ રાખી હતી અને નાયબ મુખ્યમંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા.

નાસભાગ અંગેના પ્રશ્નોથી સિદ્ધારમૈયા કેમ નારાજ થયા?
બીજી તરફ, કર્ણાટક સરકારે જવાબદારી ટાળી દીધી છે અને ક્રિકેટ એસોસિએશન પર દોષારોપણ કર્યું છે. સીએમ સિદ્ધારમૈયાએ ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ ભાગદોડ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ. હકીકતમાં, જ્યારે પત્રકારોએ વિપક્ષી નેતાઓને કોંગ્રેસ સરકારને ભાગદોડ માટે દોષી ઠેરવવા બદલ પ્રશ્ન કર્યો, ત્યારે કર્ણાટકના સીએમ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં કહ્યું, “આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની, કુંભ મેળામાં પણ 50-60 લોકો મૃત્યુ પામ્યા. મેં ટીકા કરી નથી. મેં કે મારી સરકારે તે સમયે કોઈ ટિપ્પણી કરી નથી. પાર્ટીએ શું કહ્યું તેના પર હું કંઈ કહેવા માંગતો નથી.”

મુખ્યમંત્રીએ કહ્યું કે આ અકસ્માત કેમ થયો?
મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા હતા જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. કોઈને પણ આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ લગભગ 2 થી 3 લાખ લોકો એકઠા થયા હતા. બેંગલુરુ શહેરમાં ઉપલબ્ધ સમગ્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

શું આરસીબીની જીતનો લાભ લેવા માટે કર્ણાટક સરકાર લોકોને બચાવવાનું ભૂલી ગઈ?
કર્ણાટક સરકારે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે, પરંતુ બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત બાદ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વિજયની ઉજવણીને શોકમાં ફેરવવા માટે કોણ જવાબદાર છે? શું કર્ણાટક સરકાર RCBની જીતનો લાભ લેવા માટે લોકોને બચાવવાનું ભૂલી ગઈ? આ પ્રશ્નો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નાસભાગ માટે સીધા ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું, “આ કાર્યક્રમ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો પરંતુ અમને તેના વિશે કહેવામાં આવ્યું ન હતું. અમે સરકાર વતી વિધાનસભાની સામે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ત્યાં કંઈ થયું નહીં. ત્યાં કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો, અમને ખબર નહોતી કે આગામી કાર્યક્રમ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, હું ત્યાં ગયો પણ ન હતો.”

૫ જૂન, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસ દરમ્યાન નવી શકિતનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ

પરિવારમાં વિખવાદ થવાની શકયતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશકેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધોન બગડે અેનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂં મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભ દાયક પૂરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણશકિત વધે. બીજાની નકલ કરવાની ઇરછા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ પશુઓને લગતા ધંધાવાળા ને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકાર શકતિ નબળી પડતી જણાય. શરદી ખાંસી નો ઉપદ્ગવ વધે. ડિપ્રશનના શિકારન બનાય અેનુ ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફતી ચિંતા રહે. વિધાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ધટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતે અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ

અવાક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન મકાન માં રોકાણ કયું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબ નો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી ખાંસી તાવ થી અવ્શય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ધરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયત નું ધ્યાન રાખવંુ ખૂબ જરૂરી છે. શકય હોય ત્યાં સુધી પત્નિ અે બહાર નીકળાવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ

મકકમ મનોબળના દર્શન થશે. તકલીફ નો હિમતથી સામનો કરી શકાશો. આોરોગ્ય ની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ શરદી ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયત ની સાવચેતી રાખવી. પેટના રોગો થી સાચવવું. મિત્રોથી લાભ આવક અંગે સંતોષ જળવાશે. નોકરી ધંધામાં સફળતા મળતી જણાશે. અેકસપોર્ટ- ‌ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

પ્લાસ્ટિક કચરા વિરુદ્ધ લડતમાં સુરતનો વિકસિત મોડેલ, સમગ્ર દેશમાં સરવાળે પ્રથમ

સુરત : ‘દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય, દરેક ઘર આગળ એક વૃક્ષ હોય, દરેક બાળક કાપડની થેલીમાં ઈકોફ્રેન્ડલી લંચબોક્સ અને પાણીની બોટલ રાખતો હોય, હવા શુદ્ધ હોય, પ્રાણી-પક્ષીઓ, જંગલો, નદીઓ, પહાડો પ્રકૃતિના આનંદથી મહેંકતા હોય’ આવી કલ્પના ત્યારે જ વાસ્તવિકતા બને જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણો સ્વભાવ, જીવનધારા, સંસ્કૃતિ અને ઉત્સવ બને. લોકો જાહેરમાં કચરો ન નાખે, પણ રિસાયકલ પોઇન્ટ પર મૂકે. પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ, કાપડની થેલી અને ઈકોફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે.

વિશ્વ પર્યાવરણ દિવસ-2025ની ઉજવણી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ની થીમ હેઠળ કરવામાં આવી રહી છે. વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત શહેર બની રહ્યું છે. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે. 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝના સિધ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે.

પ્લાસ્ટિક એ ઘરની ચીજવસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે. પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં 400થી 1000 વર્ષ જેટલો સમય લાગે છે. જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ૨૨૫થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલિંગ અને રિયુઝ કરી અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતની ૨૯ સ્થળોએ કુલ 38 કિલોમીટરના રોડ બનાવાયા છે. છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે.

સુરત મનપાના ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુન: ઉપયોગ કરી રહી છે. જેમાં મનપા PPP ધોરણે જૂલાઈ ૨૦૧૭થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે. મનપા સંચાલિત કુલ આઠ રિફ્યુસ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ 200 ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે EPR હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત દોઢ લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે.

વધુમાં શ્રી મોદીએ કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ મટીરિયલ હોવાથી હજ્જારો વર્ષ સુધી જેનો નાશ કરી શકાતો નથી, જેનાથી પર્યાવરણ, વાયુ, જળ અને જમીન ખૂબ જ પ્રદૂષિત થાય છે. ભટાર ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી દરરોજ 200 ટન પ્લાસ્ટિક પ્રોસેસ કરીને પેલેટ્સ (પ્લાસ્ટિકના દાણા) બનાવવામાં આવે છે. જેનો બેન્ચ, ટાઈલ્સ, બ્રિક્સ, ખુરશી તેમજ પ્લાસ્ટિકના રોડ બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ હોવાથી હજ્જારો વર્ષ સુધી નષ્ટ થતું નથી, એટલે પ્લાસ્ટિકના રોડ બનાવી પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો કરીએ છીએ. નાગરિકો દ્વારા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી કેમિકલ્સયુક્ત ધુમાડો ઉત્પન્ન થાય છે. જેનાથી વાયુ- જમીન-જળ પ્રદૂષણ ફેલાય છે.

RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ, મહિલા સહિત 4 લોકોના મોત

0

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષ પછી IPL જીત્યું. આ જીતની ઉજવણી માટે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાગદોડ થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડમાં 4 વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે પોલીસે તાત્કાલિક ઘાયલ અને બેભાન લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

જંગલમાંથી મળી આવ્યા ધડાધડ વિસ્ફોટકો! 3.6 ટન સામગ્રી સાથે માઓવાદી પ્લાન નિષ્ફળ

0

અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં માઓવાદીઓ દ્વારા લૂંટાયેલા લગભગ 4 ટનમાંથી અત્યાર સુધીમાં લગભગ 3.6 ટન વિસ્ફોટકો જપ્ત કર્યા છે. 27 મેના રોજ, માઓવાદીઓએ કે. બાલાંગ વિસ્તારમાં બાંકો પથ્થરની ખાણમાંથી વિસ્ફોટકો, જેમાં મોટાભાગે જિલેટીનનો સમાવેશ થતો હતો, ભરેલી ટ્રક લૂંટી લીધી હતી. આ ઘટના બાદ, ઓડિશા પોલીસે CRPF, ઝારખંડ જગુઆર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને કોબ્રા યુનિટ સાથે મળીને ઝારખંડના સારંડા જંગલમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.

ગાઢ જંગલમાં વિસ્ફોટકો છુપાયેલા હતા
ડીઆઈજી (વેસ્ટર્ન રેન્જ) બ્રિજેશ રાયે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે કાર્યવાહી દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ 1,000 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. સોમવારે શરૂઆતમાં લગભગ 2.5 ટન વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ લગભગ 157 કિલો વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે વિસ્ફોટકો ગાઢ જંગલમાં છુપાયેલા હતા. રાયે કહ્યું, “ઝારખંડને અડીને આવેલા ગાઢ જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.” દરમિયાન, ઓડિશા પોલીસની એસઆઈટીએ મંગળવારે વિસ્ફોટક વેરહાઉસના માલિક શ્રવણ અગ્રવાલ અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે.

થોડા કલાકોમાં પાંચ દર્દીઓના મોત થયા
અન્ય એક સમાચારમાં, ઓડિશાના કોરાપુટમાં શહીદ લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત બેદરકારીને કારણે પાંચ દર્દીઓના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ બે પુરુષો અને ત્રણ મહિલાઓના થોડા કલાકોમાં જ મૃત્યુ થયા હતા. મૃતક દર્દીઓના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કોઈ રસી આપવામાં આવી હતી, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા.

કેસમાં વિભાગીય તપાસનો આદેશ આપવામાં આવ્યો
હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સુશાંત કુમાર સાહુએ જણાવ્યું હતું કે આ મામલાની વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “અમે તમામ વિભાગના વડાઓની બેઠક બોલાવી છે. મંગળવારે રાત્રે મૃત્યુ પામેલા દર્દીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ, એવું લાગતું નથી કે મૃત્યુ કોઈ ખોટી રસીને કારણે થયું છે. જોકે, અમે આરોપોની તપાસ કરીશું.” અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ દર્દીઓના મૃત્યુ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં થયા હતા, જ્યારે બે અન્ય દર્દીઓના મૃત્યુ જનરલ વોર્ડમાં થયા હતા.

મોટા સમાચાર! જાતિગત વસ્તી ગણતરી માટે તારીખ નક્કી, આ તારીખથી શરૂ થશે સર્વે

0

જાતિ વસ્તી ગણતરી અંગે સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાતિ વસ્તી ગણતરીની તારીખ જાહેર કરવામાં આવી છે. જાતિ વસ્તી ગણતરી 1 માર્ચ 2027 થી શરૂ થઈ શકે છે.

કેટલા તબક્કા હશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, જાતિ ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. જાતિ ગણતરી સૌપ્રથમ 4 રાજ્યોમાં શરૂ થશે. માર્ચ 2027 થી મેદાની રાજ્યોમાં જાતિ ગણતરી શરૂ થશે અને પર્વતીય રાજ્યોમાં 1 ઓક્ટોબર, 2026 થી જાતિ ગણતરી શરૂ થશે. ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં ઓક્ટોબર 2026 થી જાતિ ગણતરી શરૂ થશે.

તાજેતરમાં સરકારે આ નિર્ણય લીધો હતો
સરકારે તાજેતરમાં જ જાતિ વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. હકીકતમાં, ૧૮૮૧ થી ૧૯૩૧ સુધી નિયમિતપણે થતી જાતિ વસ્તી ગણતરી ૧૯૫૧ ની પહેલી વસ્તી ગણતરીમાં બંધ કરવામાં આવી હતી. ૨૦૧૧ માં, સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી (SECC) હેઠળ જાતિ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો પરંતુ આ ડેટાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

જાતિ વસ્તી ગણતરી શું છે?
જાતિગત વસ્તી ગણતરી એક એવી પ્રક્રિયા છે જેમાં વિવિધ જાતિઓ અને સામાજિક જૂથોની સંખ્યા, સામાજિક-આર્થિક સ્થિતિ અને અન્ય વસ્તી વિષયક માહિતી એકત્રિત કરવા માટે દેશ અથવા પ્રદેશની વસ્તીનો સર્વે કરવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ નીતિઓ અને યોજનાઓમાં થાય છે, જેનો લાભ જનતાને મળે છે અને સરકારને પણ સાચા આંકડા જાણવા મળે છે.

નર્મદ યુનિવર્સિટીમાં 20 ટકા ફી વધારાના નિર્ણય સામે ABVPનું વિરોધ

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિવિધ વિભાગોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ હેઠળના અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ કોર્સોની ફી 2025-26ના શૈક્ષણિક વર્ષથી 20 ટકા વધારવામાં આવી છે. આ વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નારેબાજી કરતા ફી વધારો પરત લેવાની માંગ સાથે તંત્રને ચીમકી પણ ઉચ્ચારેલી કે જો ફી પાછી ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

ફી વધારાના આ પગલામાં માત્ર સેલ્ફ ફાઈનાન્સ કોર્સો જ નહીં, પરંતુ સ્ટુડન્ટ વેલ્ફેર એક્ટિવિટી ફી, પુસ્તકો અને ઇક્વિપમેન્ટ ફી, એમિનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જેવી રકમોમાં પણ 20 ટકાનો વધારો કરાયો છે. અગાઉના વર્ષોમાં પ્રથમ સેમેસ્ટરની ફી ₹2,110 હતી, જે હવે ₹2,355 થઈ ગઈ છે. બીજા સેમેસ્ટરની ફીમાં પણ ₹170 જેટલો વધારો નોંધાયો છે.

ત્રણ વર્ષ પહેલાં યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ફી વધારાની ચર્ચા થઈ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે 10 ટકા કરતાં વધુ ફી વધારો નહીં થાય. તેમ છતાં હાલ 20 ટકા સુધીનો વધારો અમલમાં મૂકાતા તંત્ર સામે અવાજ ઉઠવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ માનતા છે કે આ નિર્ણય સામાન્ય વર્ગના વિધાર્થીઓની આવકની સામે અન્યાયભર્યો છે અને શિક્ષણને વધુ પહોંચે ન શકાય તેવું બનાવે છે.

સુરતમાં વકર્યો ઓપરેશન સિંદૂર સર્કલનો વિવાદ

ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સુરત મહાનગર પાલિકાની મંજૂરી વિના જ કોઈ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી ગયું છે અને આ વાતથી ખુદ પાલિકા જ અજાણ હતી. આ સર્કલના અનેક વીડિયો પણ વાઇરલ થયા હતા. જોકે મામલો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માગ કરી.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી અડ્ડાનો સફાયો કરી દીધો હતો. ભારતીય સેનાએ કરેલા આ બહાદુરીના કામને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ તલપાપડ છે, જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું.

સુરતના સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂરથી થીમ પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. પરંતુ તેઓએ જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે. આનો જશ લેવાનો પ્રયાસ ગણવો કે સાંસદની અજ્ઞાનતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ જે સર્કલ બન્યું છે તે પણ પાલિકાની મંજૂરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત મહા નગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાની ચર્ચા છે.

સાંસદનો પત્ર બન્યો ચર્ચાનો વિષય
જોકે, થોડા દિવસ પહેલાં જ સુરત હજીરા રોડ પર હવેલી વિસ્તાર નજીક આવેલા સર્કલ પર આર્મી જવાનના કટ આઉટ, ફાઈટર પ્લેન અને સર્કલ પર ઓપરેશન સિંદૂર નામ સાથે સર્કલ બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સર્કલ સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યું છે અને અનેક રીલ પણ ફરતી થઈ છે ત્યારે આ જ જગ્યાએ સાંસદે ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માટે લખેલો પત્ર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સાંસદે લખેલા પત્રમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની માંગણી કરી છે. આ સર્કલમાં સ્વદેશી શસ્ત્રોની કૃતિઓ પ્રદર્શિત કરીને નાગરિકો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને લશ્કરી સજ્જતા અંગે જાગૃતિ લાવવાનો હેતુ હોવાનું જણાવાયું છે. બીજી તરફ, લોકો એટલા જાગૃત છે કે પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના જ સર્કલ બનાવી દીધું છે તેવી ફરિયાદ થઈ રહી છે. આમ સાંસદે ઓપરેશન સિંદૂર માટે લખેલો પત્ર અને મંજૂરી વિના બની ગયેલા સર્કલના કારણે લોકોમાં એવી ચર્ચા છે કે ઓપરેશન સિંદૂરની સફળતામાં અનેક લોકો વહેતી ગંગામાં હાથ ધોઈ તેમ પ્રસિદ્ધિ માટે નીકળી પડ્યા છે.