Home Blog Page 356

સુરત શહેરમાં ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી

સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોચી છે. સુરત શહેરમાં વરસાદી માહોલને લઈને શહેરના વેડરોડ ગુરુકુળ અને કતારગામ, ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 32 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં વરસાદી માહોલને લઈને શહેરના વેડ રોડ ગુરુકુળ ખાતે ભરાયા પાણી હતા. અહી ગુંઠણસમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી.

પાણી ભરાતા લોકોને હાલાકી પડી
આ ઉપરાંત કતારગામ, ડભોલી, વેડરોડ, સીંગણપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અહી રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઉપરાંત શહેરના એ.કે. રોડ સ્થિત ઉમિયાધામ નજીક પણ રોડ પર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી.

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 8 મિ.મી., માંગરોળમાં 45 મિ.મી., ઉમરપાડામાં 29 મિ.મી., કામરેજમાં 53 મિ.મી., સુરત શહેરમાં 32 મિ.મી., ચોરાસીમાં 33 મિ.મી., પલસાણા અને બારડોલીમાં 2 મિ.મી. અને મહુવામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મેઘરાજાનું તાંડવ: મેંદરડામાં 24 કલાકમાં 12.56 ઇંચ વરસાદ, જૂનાગઢમાં પાણીમાં ગરકાવ

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બુધવારે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેંદરડા તાલુકામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મેંદરડામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેંદરડામાં 6 કલાકમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2025, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા વચ્ચે ચાર કલાકના સમયમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 12.56 ઈંચ એટલે આશરે 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગુજરાત પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમો સક્રિય થવાના કારણે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામો બેટમાં ફેરવાય ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. જળાશયો છલકાય રહ્યા છે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 168 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ 11 ઇંચ સુધી વરસાદ પડયો હતો. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું જો કે 10 વાગ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મુંબઈમાં પુલની વચ્ચે મોનોરેલ ફસાઈ, મુસાફરોને બચાવવાના પ્રયાસો ચાલુ

0

મુંબઈના વાશી ગામ વિસ્તાર નજીક મોનોરેલ પુલ પર જ ફસાઈ ગઈ છે. આ કારણે લોકો લગભગ એક કલાક સુધી તેમાં ફસાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોનોરેલ વીજળી પુરવઠાને કારણે બંધ થઈ ગઈ છે. મુંબઈ મેટ્રો વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મૈસુર કોલોની સ્ટેશન નજીક એક મોનોરેલ ટ્રેનને વીજળી પુરવઠામાં નાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અમારી કામગીરી અને જાળવણી ટીમો સ્થળ પર હાજર છે અને શક્ય તેટલી વહેલી તકે તેને સુધારવા માટે કામ કરી રહી છે.

સેવા ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે: મેટ્રો વહીવટીતંત્ર
મેટ્રો વહીવટીતંત્રે એમ પણ કહ્યું હતું કે, “હાલમાં, વડાલા અને ચેમ્બુર વચ્ચે સિંગલ લાઇન પર સેવાઓ સરળતાથી ચાલી રહી છે. અમે તમારા ધૈર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે તમારી સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. ખાતરી રાખો, શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.”

દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ

0

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, આરોપી બૂમો પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને લાફો ઝીંકી દીધો અને ગાળો ભાંડવા લાગ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક
જોકે, બાદમાં પોલીસે તુરંત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ હુમલો કેમ કરવામાં આવ્યો તે વિશેનું કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી.

અન્ય એક પ્રત્યક્ષદર્શી સુરેશ ખંડેલવાલએ કહ્યું, ‘હું અહીં પહોંચ્યો અને તરત જ મુખ્યમંત્રી બહાર આવ્યા. તેમણે લોકો સાથે મળવાનું શરૂ કર્યું. આરોપી તકની રાહ જોઈ રહ્યો હતો અને તક મળતા જ તેણે સીએમ પર હુમલો કરી દીધો. આ લગભગ સવારે 8:05 – 8:10 વાગ્યે બન્યું. પોલીસ તેને લઈ ગઈ…’

દિલ્હીના સીએમઓએ શું કહ્યું
દિલ્હીના સીએમઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો. ઓફિસે જણાવ્યું હતું કે, “આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.” ગુપ્તાને બાદમાં તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીની ઓળખ રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયા (41) તરીકે કરી છે, જેણે રાજકોટનો રહેવાસી હોવાનો દાવો કર્યો હતો. ગુજરાત પોલીસની મદદથી તેના પૂર્વજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન, ત્રણ બોટ ડૂબી, 11 ખલાસી લાપતા

હવામાન વિભાગે ગુજરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. અત્યાર સુધી 3 બોટ ડૂબી ગઈ છે. જ્યારે 11 ખલાસી લાપતા થયા છે. જાફરાબાદની જયશ્રી અને દેવકી બોટ ડૂબી ગઈ છે. ત્યારે રાજપરાની મુરલીધર નામની બોટ ડૂબી ગઈ છે.

અમરેલીના દરિયામાં છેલ્લા બે દિવસમાં ત્રણ બોટે જળ સમાધિ લઈ લીધી છે. 11 ખલાસીઓ દરિયામાં લાપતા બન્યા છે. જેની શોધખોળ ચાલી રહી છે. ખરાબ હવામાનના કારણે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરને રેસ્કયુની કામગીરીમાં ભારે અડચણ નડી રહી છે. ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને અમરેલી જિલ્લાના કલેક્ટર આજે સવારે જાફરાબાદ બંદરે દોડી ગયા હતા.

અમરેલીનો દરિયો છેલ્લા બે દિવસથી રીતસર તોફાને ચડયો છે. ગઈકાલે સાંજ જાફરાબાદની જયશ્રી નામની બોટ અને ઉનાના રાજપરાની મૂરલીધર નામની બોટે જળ સમાધી લીધી હતી. બંને બોટમાં સવાર 18 પૈકી 10 ખલાસીઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. જયારે 8 ખલાસીઓ દરિયામાં હજી લાપતા છે. દરમિયાન આજે સવારે જાફરાબાદની દેવકી નામની બોટ દરિયામાં ડુબી હતી.

આ બોટમાં કુલ 10 ખલાસીઓ સવાર હતા જે પૈકી 7 ખલાસીઓનું સફળતાપૂર્વક રેસ્કયુ કરી નાખવામાં આવ્યું હતુ. જયારે 3 ખલાસીઓ હજી લાપતા છે. બે દિવસમાં અમરેલીના દરિયામાં 3 બોટે જળ સમાધી લીધી છે. જેમાં 11 ખલાસસ્ત્રો દરિયામાં લાપતા છે. ખરાબ હવામાનના કારણે કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરને રેસ્કયુ ઓપરેશનમાં ખૂબજ મુશ્કેલી પડી રહી છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર અમરેલીના જાફરાબાદ બંદરમાં 3 બોટ ડૂબી ગઈ હતી. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર અને MLA હીરા સોલંકી બંદરે પહોચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. MLA અને કલેક્ટરે લાપતા ખલાસીઓ અંગે ચર્ચા કરી છે. જો કે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેથી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ તંત્રએ લોકોને સતર્ક રહી સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.

ધાર્મિક: આજથી જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

0

જૈન ધર્મના મહાપર્વ આજથી પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 8 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે પર્યુષણ પર્વ. જૈન ધર્મના સૌથી મોટા પર્વની શરૂઆત થતા જૈનો દેરાસરમાં જૈન શ્રેષ્ઠીઓ પ્રભુભક્તિમાં લીન થશે. ક્ષમાપનાનો ઉત્સવ એટલે પર્યુષણ કહેવાય છે. આ પર્વમાં જૈન સાધુ સાધ્વી દ્વારા વ્યાખ્યાન આપવા આવે છે. આઠ દિવસ દરમિયાન વધુમાં વધુ ભક્તિ કરવાનું માહાત્મ્ય રહેલુ છે. નાના બાળકોથી માંડી મોટેરા સુધીના સૌ કોઈ લોકો ઉપવાસ, ચોવિહાર, એકાસણું, કરીને પાપોનું પ્રાયશ્ચિત કરે છે.

પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે
પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું ા પર્વ જિનશાસનની પરંપરા છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહ્લિકા ગ્રંથ પર પ્રવચન થાય છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે. આઠ દિવસના પર્યુષણ પર્વમાં 7 દિવસ આરાધનાના છે, આઠમો દિવસ સિદ્ધિનો છે. આ દિવસે સંવત્સરી પ્રતિક્રમણ થાય છે.

1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા
પર્યુષણ અંગે માહિતી આપતા જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે શહેરના 260થી વધુ જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરજી મ.સા, ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્પસૂરીજી, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીજી તેમજ 55 જેટલા જૈનાચાર્ટો. 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા મળી રહી છે. હાલ શહેરના પ્રત્યેક સંઘમાં 8 ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી કઠોર તપશ્રર્યાઓ કરવામાં આવી રહી છે.

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા

0

હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં એક પછી એક બે વખત ભૂકંપ આવ્યા છે. પહેેેલા લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે એક હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે આજે સવારે 4:39 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશના ચંબામાં પણ સવારે 3.27 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ એવા સમયે નોંધાઈ રહ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. આવી ઘટનાઓ અગાઉ ધરાલી અને હર્ષિલમાં અને હવે કુલ્લુમાં પણ નોંધાઈ છે, જેના કારણે વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

અમદાવાદ: સેવન્થ ડે સ્કુલના વિદ્યાર્થીનું છરીના હુમલાથી મોત, સિંધી સમાજના લોકોનો આક્રોશ, સ્કૂલમાં તોડફોડ

અમદાવાદમાં ગઈકાલે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી.

શાળામાં ધક્કામુક્કી કરવાને લઈ થયો હતો વિધાર્થી વચ્ચે ઝઘડો
બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ DEO કચેરીને કરવામાં ન આવતા તેમને આ બાબતે સ્કૂલને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. ઘોડાસરમાં નીલકંઠ રેસિડેન્સીમાં 15 વર્ષીય સગીર પરિવાર સાથે રહે છે અને તે ખોખરા સેવન્થ-ડે સ્કૂલમાં ઘોરણ-૧૦ માં ઈંગ્લીશ મિડિયમમાં અભ્યાસ કરે છે. જેમાં એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થીના પિતરાઈભાઈ સિડી ઉતરતો હતો. ત્યારે ધોરણ-8ના વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. જેને લઈને બંને ભાઇઓને વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં 15 વર્ષીય સગીર મંગળવારે સ્કૂલે ગયો હતો.

છરી મારનાર વિધાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળાને મળી હતી ફરિયાદ
વિધાર્થી બાદમાં બપોરે છૂટીને સ્કૂલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે સ્કૂલની સામેના ભાગે ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી સાથે મળીને સગીર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ધોરણ-10ના વિદ્યાર્થીએ સગીરને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 લોકોના નિવેદન નોંધ્યા છે, પોલીસે શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોના નિવેદન નોધ્યા છે. તેમાં સામે આવ્યુ કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી છે અને તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં ભયંકર માર્ગ અકસ્માત, 50થી વધુ લોકોના મોત

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 50 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઈરાનથી પરત ફરતા પ્રવાસીઓને લઈ જતી એક પેસેન્જર બસ ટ્રક અને મોટરસાઈકલ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ અને પ્રાંતીય અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપી છે.

હેરાત પ્રાંતીય પોલીસે જણાવ્યું હતું કે બસની ઝડપી ગતિ અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ એએફપીને જણાવ્યું હતું કે બસ રાજધાની કાબુલ જઈ રહી હતી જેમાં તાજેતરમાં ઈરાનથી પાછા ફરેલા અફઘાન લોકોનો સમાવેશ થતો હતો. આ લોકો અફઘાન લોકોના એક મોટા જૂથનો ભાગ હતા જેમને તાજેતરના મહિનાઓમાં ઈરાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અથવા બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે. માર્ગ અકસ્માતો માટે ઘણા કારણો છે, જેમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષ પછી ખરાબ રસ્તાઓ, હાઇવે પર ખતરનાક ડ્રાઇવિંગ અને નિયમોનું ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં મોટાભાગની બસો જૂની અને તકનીકી રીતે અસુરક્ષિત છે અને આ પણ અકસ્માતનું એક મુખ્ય કારણ છે.

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી, આ તારીખથી અરજી પ્રક્રિયા થશે શરૂ

ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી રેલી ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં ૨૭ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અપરણીત પુરુષ ઉમેદવારોની તેમજ ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન અપરણીત મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે.

આ ભરતી માટે ઉમેદવાર અપરણીત હોવો જરૂરી છે તથા તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ (બન્ને તારીખ સહીત) વચ્ચે થયેલો હોવો જોઈએ. ઉમેદવારોએ કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ૧૦+૨ અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે તેમજ અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી આવશ્યક છે.

ઉમેદવારોએ બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી અથવા માહિતી ટેકનોલોજી) પણ ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ અને તેમાં અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ બાદ શારીરિક કસોટી લેવામાં આવશે જેમાં ઊંચાઈ માપ્યા પછી ૧૬૦૦ મીટરની દોડ તથા પુશ અપ, સીટ અપ અને સ્ક્વાટ લેવામાં આવશે. તે બાદ લેખિત પરીક્ષા યોજાશે. લેખિત પરીક્ષામાં સફળ થતા ઉમેદવારોને બીજા દિવસે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૧ એટલે કે સીટ્યુએશન રિએક્શન ટેસ્ટ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૨ એટલે કે ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવશે.

ઉમેદવારોને ભરતી રેલીમાં હાજર થતી વખતે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ તમામ દસ્તાવેજો ઓરિજિનલ તથા બે નકલમાં સાથે લાવવા જરૂરી છે. તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ધોરણ ૧૦ની તથા અન્ય અભ્યાસની માર્કશીટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ (હોઈ તો), ભારતીય વાયુસેનામાં સેવા આપતા જવાનો અથવા સરકારી કર્મચારીઓના સંતાનો માટે જરૂરી પ્રમાણપત્ર, સરકારી કર્મચારીઓ માટે એન.ઓ.સી. સર્ટિફિકેટ તેમજ જો હાથ પર ટેટુ હોય તો તેનો પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવા જરૂરી છે.

આ ભરતી રેલી અંગે વધુ વિગતવાર માહિતી અને માર્ગદર્શન ભારતીય વાયુસેનાની ઓફિશ્યલ વેબસાઈટ https://agnipathvayu.cdac.in પરથી મેળવી શકાય છે. વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી ત્રીસ દિવસની નિવાસી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત ભરતી રેલી સારી રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા મંડપ, ઈલેક્ટ્રિક, ટેબલ-ખુરશી, પીવાનું પાણી, રિફ્રેશમેન્ટ, સ્વચ્છતા, કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાન્સલેટર શિક્ષક તથા ઉમેદવારો માટે રાત્રિ રોકાણ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.