Home Blog Page 35

ચાલતી ટ્રેનમાં પૂજાનો વીડિયો વાયરલ, રેલવેએ આપી સત્તાવાર સ્પષ્ટતા

0

ભારતીય રેલવે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. તાજેતરમાં, “સુહાગરાત કોચ” હેડલાઇન્સમાં ચમક્યો હતો, જ્યાં એક નવપરિણીત યુગલ માટે ટ્રેન કોચ શણગારવામાં આવ્યો હતો. હવે, ટ્રેનની અંદર પૂજા કરવામાં આવી રહી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રેનની અંદર ધાર્મિક પૂજા કરવામાં આવી રહી છે.

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે, જેમાં ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આવા ધાર્મિક વિધિઓ રેલ્વે કોચની અંદર કરી શકાય છે. રેલ્વેએ હવે આ મામલે જવાબ આપ્યો છે, અને સ્પષ્ટતા આપી છે.

રેલ્વેએ વાયરલ વીડિયો વિશે શું કહ્યું?
વિડીયો વાયરલ થયા પછી, ઉત્તરી રેલ્વેએ સ્પષ્ટતા કરી કે ધાર્મિક વિધિઓ ખાનગી રીતે બુક કરાયેલ સલૂન કારમાં કરવામાં આવી હતી, જે IRCTC સાથે કોમર્શિયલ બુકિંગ દ્વારા ફાળવવામાં આવી હતી. હકીકતમાં, ઉત્તરી રેલ્વેના સત્તાવાર X એકાઉન્ટે સ્પષ્ટતા માંગતી પોસ્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે પૂજા એક ખાસ સલૂન કારની અંદર કરવામાં આવી હતી.

ઉત્તરી રેલ્વેએ જણાવ્યું હતું કે ધાર્મિક વિધિ નિયમિત પેસેન્જર કોચમાં નહીં, પરંતુ IRCTC દ્વારા ખાનગી પાર્ટી દ્વારા બુક કરાયેલ સલૂન કારમાં કરવામાં આવી રહી હતી. સલૂન કાર ખાનગી, વૈભવી રેલ કોચ છે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને VIP માટે અનામત છે. તેમાં એર-કન્ડિશન્ડ બેડરૂમ, રસોડું, લિવિંગ અને ડાઇનિંગ રૂમ, એટેચ્ડ વોશરૂમ અને અન્ય ઘણી સુવિધાઓ છે.

કોમર્શિયલ બુકિંગ માટે ₹3 લાખથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી
રેલ્વેએ એમ પણ જણાવ્યું હતું કે સલૂન કાર 8 જુલાઈએ બુક કરવામાં આવી હતી. બુકિંગ માટે ₹3 લાખથી વધુની એડવાન્સ ચુકવણી કરવામાં આવી હતી. 10 જુલાઈએ નવી દિલ્હી (NDLS) થી મુંબઈ (BDTS) સુધીની એક તરફી મુસાફરી માટે સલૂન કાર ટ્રેન નંબર 12926 પશ્ચિમ એક્સપ્રેસ સાથે જોડવાની હતી.

ઉત્તર રેલ્વેના X એકાઉન્ટે જણાવ્યું હતું કે, “IRCTC એ 8 જુલાઈએ સલૂન કાર બુક કરાવી હતી. પાર્ટીએ કોમર્શિયલ બુકિંગ તરીકે ₹3,08,580 ની એડવાન્સ ચુકવણી કરી હતી. 10 જુલાઈએ નવી દિલ્હી (NDLS) થી મુંબઈ (BDTS) સુધીની એક તરફી મુસાફરી માટે સલૂન કાર ટ્રેન નંબર 12926 પશ્ચિમ એક્સપ્રેસ સાથે જોડવાની હતી.”

રેલ્વેએ એમ પણ જણાવ્યું હતું કે “રેલ્વેની પ્રાથમિક જવાબદારી છે કે મુસાફરોની સમયસરતા, સલામતી અને સુવિધા કોઈપણ સમાધાન વિના સુનિશ્ચિત કરવામાં આવે.” આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ ઘટના બની નથી.

થાઈલેન્ડ બેંગકોક પબમાં ભીષણ આગમાં 30 લોકોના મોત, 63 ઘાયલ

થાઈલેન્ડની રાજધાની બેંગકોકના બોર્ડર વિસ્તારમાં આવેલા ‘Rong Beer Na Lat Phrao’ નામના એક પબમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 30 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર – શરૂઆતમાં સ્ટેજ પાસેના સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળ્યો અને લાઈટ જતી રહી, ત્યારબાદ જોરદાર ધડાકો થયો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ગણતરીની મિનિટોમાં જ આખા પબને પોતાની ઝપેટમાં લઈ લીધું. એવું માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકોના મોતનું કારણ ધુમાડો હતો. ઘણા મૃતદેહો પાછળના ભાગે આવેલા ટોયલેટમાંથી મળ્યા હતા, જ્યાં કોઈ એક્ઝિટ ગેટ (બહાર નીકળવાનો રસ્તો) નહોતો.

આખરે શું થયું?
દેશના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે સોમવારે વહેલી સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા અનુસાર, જે લોકો બચી ગયા તેમણે જણાવ્યું કે આગ લાગ્યા બાદ પબમાં ઝડપથી ધુમાડો ફેલાઇ ગયો હતો, જેના કારણે ઘણા લોકોને પાછળના ભાગમાં આવેલા બાથરૂમ તરફ ભાગવાની ફરજ પડી હતી. અનુતિને જણાવ્યું કે, “અમે 30 મૃતદેહો બહાર કાઢ્યા છે, બાકીના લોકોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.”

તેમણે ઉમેર્યું કે પબમાં હાજર મ્યુઝિશિયને (સંગીતકારે) જણાવ્યું કે “સ્ટેજ પાસે લાગેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળ્યો, ત્યાર પછી લાઈટ જતી રહી અને ધડાકો થયો.”

બેંગકોક મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશનના અધિકારી સુરિયાચાઈ રાવિવાને જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 63 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપુંટે પત્રકારોને જણાવ્યું કે ઘાયલ અને હોસ્પિટલમાં દાખલ લોકોમાંથી 22ની હાલત ગંભીર છે. એટલે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટસ અનુસાર, 45 વર્ષના મોટરબાઈક ટેક્સી ડ્રાઈવર સુરીન જાઈહાર્ને જણાવ્યું કે તેમણે પબના દરવાજામાંથી આગને રોડ તરફ ફેલાતી જોઈ હતી. તેમણે દાઝી જવા છતાં અને ફોલ્લા પડવા છતાં ભાગી રહેલા અંદાજે પાંચ લોકોની મદદ કરી હતી. સુરીને મીડિયાને જણાવ્યું, “હું ખૂબ જ દુઃખ અનુભવી રહ્યો છું. મેં ઘણા લોકોને મરતા જોયા અને જે લોકોની મેં મદદ કરી, તેઓની સ્થિતિ કેવી છે તેમના વિશે મને કંઈ ખબર નથી.”

તેમણે જણાવ્યું કે તેમણે લોકોના શરીર પર લાગેલી આગ ઓલવવા માટે કપડાંનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બીજા એક ડ્રાઈવરે એક મહિલા પીડિતાને જોખમી જગ્યાથી દૂર પહોંચાડી હતી. આ મહિનાના એક લાઈવ શોના પ્રમોશન માટે પબના ફેસબુક પેજ પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, આ લાઈવ મ્યુઝિક વેન્યુમાં એક સ્ટેજ, બે બાર અને એક કિચન (રસોડું) છે, જેમાં કુલ 300થી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા છે. આગ લાગવાની સ્થિતિમાં બહાર નીકળવા માટે ચાર રસ્તા (ફાયર એક્ઝિટ) પણ છે.

ઈન્ડોનેશિયામાં બે ટ્રકો વચ્ચે ભીષણ ટક્કર, લગ્નથી પરત ફરતા 13 લોકોના મોત

0

ઈન્ડોનેશિયાના જાવા દ્વીપ પરથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા મહેમાનોને લઈ જતી એક ખુલ્લી પિકઅપ ટ્રક બે ટ્રકો વચ્ચે ફસાઈ જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

લગ્નમાંથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે બપોરે જાવા દ્વીપના ઇન્દ્રામાયુ રીજન્સીના કિયાજારન કુલોન ગામ નજીક આવેલા નોર્થ કોસ્ટલ હાઈવે પર થયો હતો. તમામ મુસાફરો પાડોશી ગામમાં યોજાયેલા લગ્ન સમારંભમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

યુ-ટર્ન લેતી વખતે પાછળથી ટ્રકે મારી ટક્કર
અધિકારીઓએ જણાવ્યું કે ખુલ્લી પિકઅપ ટ્રક યુ-ટર્ન લેવા માટે ધીમી થઈને રોડના મિડિયન પાસે ઉભી રહી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી વિંગ-બોક્સ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે પિકઅપ સામેની લેનમાં ધકેલાઈ ગઈ, જ્યાંથી આવી રહેલા બીજા ટ્રકે પણ તેને ટક્કર મારી હતી.

5 ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ
અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્યની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતો સામાન્ય ઘટના
ઈન્ડોનેશિયામાં ઓવરલોડેડ વાહનો, ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન ન થવું અને માર્ગ સુરક્ષાના અભાવને કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ માર્ગ સલામતીના કડક અમલથી આવા અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય છે.

બહામાસમાં વિમાન દુર્ઘટના, 10 લોકોના મોત

0

કેરેબિયન ટાપુ રાષ્ટ્ર બહામાસમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. દેશ જ્યારે પોતાના પ૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મગ્ન હતો, ત્યારે એક નાનું વિમાન દુર્ઘટના નો શિકાર બન્યું હતું. આ અકસ્માતમાં સવાર તમામ ૧૦ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજધાની નાસાઉના લિન્ડેન પિડલિગ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરેલું આ સેસ્ના ૪૦૨ વિમાન સાન એન્ડ્રોસ જઈ રહ્યું હતું, પરંતુ ગંતવ્ય સ્થાન સુધી પહોંચે તે પહેલા જ ઉત્તર એન્ડ્રોસ નજીક દરિયામાં ક્રેશ થયું હતું.

બહામાસના વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસએ આ દુર્ઘટના પર ઊંડું શોક વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે દિવસે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો, તે દિવસ હવે ઊંડા શોકમાં ફેરવાઈ ગયો છે. અકસ્માત બાદ સરકારે તત્કાલ અસરથી ફલેમિંગો એરના એર ઓપરેટર સર્ટિફિકેટને સસ્પેન્ડ કરી દીધું છે.

ઉડ્ડયન મંત્રી જોબેથ કોલબી-ડેવિસે સ્પષ્ટ કર્યું છે કે એક જ દિવસમાં ફલેમિંગો એર સાથે જોડાયેલી બે સુરક્ષા ખામીઓની ઘટના બનતા, સાવચેતીના પગલા તરીકે તમામ ફલાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. હાલમાં એરક્રાફટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી આ સમગ્ર કેસની ગંભીર તપાસ કરી રહી છે

મહારાષ્ટ્રના હિંગોલીમાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

0

મધ્ય મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં શનિવારે સવારે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો સલામત સ્થળે પહોંચવા માટે ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ મળ્યા નથી.

ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હિંગોલી જિલ્લામાં જમીનથી આશરે 5 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈએ ભૂકંપ આવવાને કારણે તેના આંચકા વધુ સ્પષ્ટ રીતે અનુભવાયા હતા.

ભૂકંપની અસર માત્ર હિંગોલી પૂરતી મર્યાદિત રહી નહોતી. પરભણી, નાંદેડ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકોએ સાવચેતીના ભાગરૂપે થોડો સમય ખુલ્લા મેદાનોમાં પસાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ આ વિસ્તારમાં સતત ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેના કારણે અનેક મકાનોમાં તિરાડો પડી હતી અને કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. સતત આવી રહેલા આંચકાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વધી રહી છે.

વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓને કારણે સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી નૌકા ડૂબી જતા 18 લોકોના મોત

0

ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક બોટ વિયેતનામ નજીક ડૂબી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અંગે હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર નિવેદન જાહેર કરીને રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી આપી છે. અસરગ્રસ્તોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે, જ્યારે મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફુ ક્વોક દ્વીપ નજીક ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી
હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, “થોડા કલાકો પહેલા વિયેતનામના ફુ ક્વોક દ્વીપ નજીક બનેલી એક દુઃખદ ઘટનામાં અનેક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા હાલ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને બોટમાં સવાર લોકોની સંખ્યા અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે હો ચી મિન્હ સિટીમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.”

પ્રવાસીઓને લઈ જતી સ્પીડબોટ ક્યાં પલટી ગઈ?
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. સ્થાનિક સમય મુજબ શનિવારે બપોરે લગભગ 1 વાગ્યે ઓશન પિયર આઇલેન્ડ કંપની (Ocean Pear Island Company) દ્વારા સંચાલિત સ્પીડબોટ હોન મે રટ (Hon May Rut) વિસ્તારમાંથી પ્રવાસીઓને લઈને એન થોઈ પોર્ટ (An Thoi Port) તરફ જઈ રહી હતી. ફુ ક્વોક એરપોર્ટથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા હોન મે રટ એન્ગ્વાઈ (Hon May Rut Ngoai) વિસ્તારથી લગભગ 400 મીટર દૂર બોટ પલટી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ બોટમાં સવાર તમામ લોકો સમુદ્રમાં પડી ગયા હતા.

બોટ દુર્ઘટના અંગે ભારતીય દૂતાવાસે શું કહ્યું?
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે દુર્ઘટના સંબંધિત માહિતી અને મદદ માટે ભારતીય વાણિજ્ય દૂતાવાસના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાય છે. હેલ્પલાઇન નંબર જાહેર કરતાં દૂતાવાસે જણાવ્યું કે હનોઈમાં પણ એક અલગ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અકસ્માત સંબંધિત કોઈપણ પ્રકારની મદદ અથવા પૂછપરછ માટે આ તમામ નંબર ઉપલબ્ધ રહેશે.

આ નંબર પર કરી શકાય છે સંપર્ક

  • +84362817930
  • +84915523714
  • +84334520414
  • +84913089165 (હનોઈ)

બચાવ કામગીરીમાં કઈ મુશ્કેલીઓ આવી રહી છે?
દુર્ઘટના બાદ આસપાસથી પસાર થઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી અન્ય બોટો તરત જ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરીમાં જોડાયેલા એક બોટ માલિકે જણાવ્યું કે તેમની બોટ લગભગ પાંચ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, અનેક પ્રવાસીઓ પલટી ગયેલી બોટની અંદર ફસાઈ જવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. તેમણે જણાવ્યું કે માત્ર થોડા લોકોને જ જીવતા બહાર કાઢી શકાયા હતા.

દુર્ઘટના સમયે એન થોઈ નજીકનો સમુદ્ર ઉછાળાભર્યો હતો, જોકે તે સમયે વરસાદ પડી રહ્યો નહોતો. તે સમયે અન્ય પ્રવાસી બોટો પણ તે જ જળવિસ્તારમાં અવરજવર કરી રહી હતી.

ફુ ક્વોકમાં પ્રવાસનની સ્થિતિ કેવી છે?
અહેવાલ મુજબ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ફુ ક્વોકમાં લગભગ 57 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. પ્રવાસન વિભાગના અહેવાલ અનુસાર આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ લગભગ 30 ટકા વધુ છે અને આ વર્ષના લક્ષ્યના લગભગ 68 ટકા જેટલી છે.

દક્ષિણ પ્રાંત એન ગિયાંગ (An Giang)થી દૂર આવેલા વિયેતનામના સૌથી મોટા દ્વીપ ફુ ક્વોકમાં આ સમયગાળા દરમિયાન 13.2 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 50 ટકા વધુ છે.

ગિરનાર ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો: જંગલમાંથી અવશેષો મળ્યા

0

એશિયાઈ સિંહોના નિવાસસ્થાન તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પરથી ફરી એક વખત માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વહેલી સવારે ગિરનારની સીડીઓ ચઢી રહેલા 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરીને તેને જંગલ તરફ ખેંચી ગયો હોવાનું સામે આવ્યું છે.

યાત્રા દરમિયાન અચાનક થયો સિંહનો હુમલો
મળતી વિગતો મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારના દર્શનાર્થે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પ:00 વાગ્યે જ્યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો, ત્યારે મુખ્ય ગેટથી આશરે 40 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ ઘાટા અંધારામાંથી અચાનક એક સિંહ આવીને પાછળથી ૧૨ વર્ષના મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર તરાપ મારી હતી. બાળકના કાકાના જણાવ્યા અનુસાર, ઘટના એટલી ઝડપથી ઘટી કે સિંહ ક્ષણભરમાં જ બાળકને તેમના હાથમાંથી આંચકીને જંગલ તરફ ભાગી ગયો હતો અને પરિવાર કંઈ સમજે તે પહેલાં જ અદ્રશ્ય થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ, પોલીસ કાફલો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જંગલ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ વન વિભાગને જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક ટુકડા (અવશેષો) મળી આવ્યા હતા, જેને જોઈને પરિવાર પર આભ ફાટી પડયું હતું. આ ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા ગિરનારની મુખ્ય સીડી તરફ જતો રસ્તો યાત્રિકો માટે હંગામી ધોરણે બંધ કરી દીધો છે અને હુમલો કરનાર સિંહને પકડવા માટે જંગલ સરહદે પાંજરા ગોઠવી દીધા છે.

ગિરનાર પર્વત માત્ર યાત્રાધામ જ નહીં પરંતુ વન્યજીવ અભયારણ્યનો પણ મહત્વનો ભાગ છે. છેલ્લા કેટલાક સમયથી અહીં માનવ વસાહતો અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

બનાવની ગંભીરતાને જોતા વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે. વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને જંગલ વિસ્તારમાં સિંહની શોધખોળ શરૂ કરાઈ છે.

સરકારે 39 જરૂરી દવાઓના નવા ભાવ જાહેર, વધુ વસૂલાત કરશો તો થશે કડક કાર્યવાહી

0

કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) એ ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર (DPCO), 2013 હેઠળ 39 નવી દવા ફોર્મ્યુલેશનના રિટેલ ભાવ નક્કી કર્યા છે. આ નિર્ણયનો હેતુ દર્દીઓને જરૂરી દવાઓ વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ અંગેની સત્તાવાર સૂચના 8 જુલાઈએ જાહેર કરવામાં આવી હતી.

દર્દીઓને મળશે સીધો લાભ
નવી કિંમતોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, HIV, હૃદયરોગ અને આંખના ચેપ જેવી ગંભીર બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે નવી કિંમતોથી દર્દીઓ પરનો આર્થિક બોજ ઓછો થશે. જોકે, આ ભાવ ઘટાડાનો આદેશ નથી પરંતુ નવી દવા ફોર્મ્યુલેશન માટે રિટેલ ભાવ નક્કી કરવાનો આદેશ છે.

આ દવાઓના ભાવ નક્કી કરાયા
NPPA દ્વારા કેટલીક મહત્વપૂર્ણ દવાઓના રિટેલ ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • એમ્લોડિપાઇન + બિસોપ્રોલોલ + ટેલ્મિસાર્ટન ટેબ્લેટ – પ્રતિ ટેબ્લેટ ₹14.74
  • નેપાફેનાક + મોક્સીફ્લોક્સાસિન ઓપ્થેલમિક સોલ્યુશન (આઈ ડ્રોપ) – પ્રતિ મિલીલીટર ₹68.64
  • ક્લોપિડોગ્રેલ + એસ્પિરિન + એટોરવાસ્ટેટિન કેપ્સ્યુલ – પ્રતિ કેપ્સ્યુલ ₹6.37

દુકાનોમાં ભાવ યાદી દર્શાવવી ફરજિયાત

NPPAએ તમામ ઉત્પાદકો, ડીલરો અને રિટેલરોને સૂચના આપી છે કે તેઓ ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી ભાવ યાદી અને પૂરક ભાવ યાદી (જો હોય તો) પોતાની દુકાનના મુખ્ય સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરે. જેથી ગ્રાહકો સરળતાથી દવાઓની મંજૂર કિંમત જાણી શકે.

નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
સત્તાવાર સૂચના મુજબ જો કોઈ ઉત્પાદક અથવા માર્કેટિંગ કંપની જાહેર કરાયેલા રિટેલ ભાવ કરતાં વધુ કિંમત વસૂલશે, તો તેની સામે DPCO, 2013 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવી કંપનીએ ગ્રાહકો પાસેથી વધુ વસૂલેલી રકમ વ્યાજ સહિત સરકાર પાસે જમા કરાવવી પડશે.

ગ્રાહકો માટે શું મહત્વનું?
નવી વ્યવસ્થાથી જરૂરી દવાઓના ભાવમાં પારદર્શિતા વધશે અને દર્દીઓને યોગ્ય કિંમતે દવાઓ મળશે. સાથે જ વધુ કિંમત વસૂલતા ઉત્પાદકો અને વેચાણકારો સામે કડક કાર્યવાહી થવાને કારણે ગ્રાહકોના હિતનું વધુ સારું રક્ષણ થશે.

ભારતીય નૌસેનાનું સ્વદેશી INS મહેન્દ્રગિરિ કેમ છે ખાસ ?

0

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શનિવારે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનાના પૂર્વી કમાન્ડમાં પ્રોજેક્ટ 17A હેઠળ બનાવાયેલા છઠ્ઠા સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરીને સત્તાવાર રીતે સામેલ કર્યું. વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રક્ષા પ્રધાને તેને દેશ અને ભારતીય નૌસેના માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલું આ આધુનિક યુદ્ધજહાજ આત્મનિર્ભર ભારતના સપના અને દેશના રક્ષા ઉદ્યોગોની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

INS મહેન્દ્રગિરીની ખાસિયતો

  • આ યુદ્ધજહાજનું ડિઝાઇન ભારતીય નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • તેનું નિર્માણ મુંબઈની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે.
  • જહાજમાં અદ્યતન સ્ટેલ્થ ટેક્નોલોજી, રડારથી બચવાની ક્ષમતા અને ઉચ્ચ સ્તરનું ઓટોમેશન આપવામાં આવ્યું છે.
  • હવાઈ, સમુદ્રી તેમજ પાણીની અંદરના હુમલાઓનો સામનો કરવા માટે તેમાં આધુનિક સ્વદેશી હથિયારો, સેન્સર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે.
  • સમુદ્રી સુરક્ષા, શોધ અને બચાવ (Search & Rescue), માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી માટે પણ આ જહાજ સંપૂર્ણ રીતે સક્ષમ છે.
  • હિંદ મહાસાગર સહિત દૂરના દરિયાઈ વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાત રહેવાની ક્ષમતા ધરાવે છે.
  • પૂર્વી ઘાટની મહેન્દ્રગિરી પર્વતમાળાના નામ પરથી નામકરણ

આ યુદ્ધજહાજનું નામ પૂર્વી ઘાટની મહેન્દ્રગિરી પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આ નામ ધરાવતું આ પ્રથમ યુદ્ધજહાજ છે. INS મહેન્દ્રગિરીના નિર્માણમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. MSMEs સહિત અનેક ભારતીય કંપનીઓએ તેના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે દેશના રક્ષા ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળી છે અને રોજગારીનું પણ સર્જન થયું છે.

આ યુદ્ધજહાજનું સૂત્ર છે – “શક્તિશાળી, ભવ્ય અને અતુલનીય” (Mighty – Majestic – Matchless).

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શું કહ્યું?

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે સાંજે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા, જ્યાં નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને તેમનું સ્વાગત કર્યું હતું. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે INS મહેન્દ્રગિરી ભારતના સમુદ્રી હિતોની સુરક્ષા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના દેશના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યુદ્ધજહાજના સામેલ થવાથી ભારતીય નૌસેનાની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે અને ભારત વિશ્વના અગ્રણી યુદ્ધજહાજ નિર્માતા દેશોમાં વધુ મજબૂત સ્થાન બનાવશે.

15 વર્ષથી ચાલતી ઉધરસ… અને કારણ નીકળ્યું એસિડ રિફ્લક્સ (GERD)!

0

ઘણા લોકો માને છે કે લાંબા સમયથી ચાલતી ઉધરસ એટલે એલર્જી અથવા અસ્થમા. પરંતુ દરેક વખતે એવું હોવું જરૂરી નથી.

તાજેતરમાં એક દર્દી છેલ્લા 15 વર્ષથી સતત ઉધરસથી પરેશાન હતા. તેમણે એલર્જી અને અસ્થમાની અનેક દવાઓ લાંબા સમય સુધી લીધી, છતાં પૂરતો લાભ મળ્યો નહોતો.

વિસ્તૃત તપાસ અને સંપૂર્ણ મૂલ્યાંકન બાદ ડૉ. તરેશ પટેલ દ્વારા જાણવા મળ્યું કે તેમની ઉધરસનું મુખ્ય કારણ ગેસ્ટ્રો-ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ (GERD / એસિડ રિફ્લક્સ) હતું.

યોગ્ય એન્ટી-રિફ્લક્સ દવાઓ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો શરૂ કર્યા બાદ માત્ર 4–5 મહિનામાં દર્દીને સંપૂર્ણ રાહત મળી અને વર્ષો જૂની ઉધરસ દૂર થઈ ગઈ.

લાંબા સમયથી ઉધરસ હોય તો તેના ઘણા કારણો હોઈ શકે:

  • ✅ એલર્જી
  • ✅ અસ્થમા
  • ✅ નાકમાંથી ગળામાં પડતો સ્રાવ (Post Nasal Drip)
  • ✅ એસિડ રિફ્લક્સ (GERD)
  • ✅ ધુમ્રપાન
  • ✅ કેટલીક દવાઓ (જેમ કે ACE inhibitors)
  • ✅ ફેફસાંના અન્ય રોગો

મહત્વપૂર્ણ સંદેશ:
જો તમને 8 અઠવાડિયાથી વધુ સમયથી ઉધરસ હોય અને સારવાર છતાં સુધારો ન થતો હોય, તો માત્ર દવા બદલવાને બદલે તેનું સાચું કારણ શોધવું વધુ જરૂરી છે.

યોગ્ય નિદાન જ યોગ્ય સારવારનો આધાર છે.

સૂચના: આ એક વાસ્તવિક ક્લિનિકલ અનુભવ પર આધારિત જાગૃતિ પોસ્ટ છે. દરેક દર્દીમાં ઉધરસનું કારણ અલગ હોઈ શકે છે, તેથી સ્વયં દવા લેવાને બદલે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.