થાઈલેન્ડની રાજધાની બેંગકોકના બોર્ડર વિસ્તારમાં આવેલા ‘Rong Beer Na Lat Phrao’ નામના એક પબમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 30 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર – શરૂઆતમાં સ્ટેજ પાસેના સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળ્યો અને લાઈટ જતી રહી, ત્યારબાદ જોરદાર ધડાકો થયો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ગણતરીની મિનિટોમાં જ આખા પબને પોતાની ઝપેટમાં લઈ લીધું. એવું માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકોના મોતનું કારણ ધુમાડો હતો. ઘણા મૃતદેહો પાછળના ભાગે આવેલા ટોયલેટમાંથી મળ્યા હતા, જ્યાં કોઈ એક્ઝિટ ગેટ (બહાર નીકળવાનો રસ્તો) નહોતો.
આખરે શું થયું?
દેશના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે સોમવારે વહેલી સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા અનુસાર, જે લોકો બચી ગયા તેમણે જણાવ્યું કે આગ લાગ્યા બાદ પબમાં ઝડપથી ધુમાડો ફેલાઇ ગયો હતો, જેના કારણે ઘણા લોકોને પાછળના ભાગમાં આવેલા બાથરૂમ તરફ ભાગવાની ફરજ પડી હતી. અનુતિને જણાવ્યું કે, “અમે 30 મૃતદેહો બહાર કાઢ્યા છે, બાકીના લોકોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે પબમાં હાજર મ્યુઝિશિયને (સંગીતકારે) જણાવ્યું કે “સ્ટેજ પાસે લાગેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળ્યો, ત્યાર પછી લાઈટ જતી રહી અને ધડાકો થયો.”
બેંગકોક મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશનના અધિકારી સુરિયાચાઈ રાવિવાને જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 63 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપુંટે પત્રકારોને જણાવ્યું કે ઘાયલ અને હોસ્પિટલમાં દાખલ લોકોમાંથી 22ની હાલત ગંભીર છે. એટલે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
મીડિયા રિપોર્ટસ અનુસાર, 45 વર્ષના મોટરબાઈક ટેક્સી ડ્રાઈવર સુરીન જાઈહાર્ને જણાવ્યું કે તેમણે પબના દરવાજામાંથી આગને રોડ તરફ ફેલાતી જોઈ હતી. તેમણે દાઝી જવા છતાં અને ફોલ્લા પડવા છતાં ભાગી રહેલા અંદાજે પાંચ લોકોની મદદ કરી હતી. સુરીને મીડિયાને જણાવ્યું, “હું ખૂબ જ દુઃખ અનુભવી રહ્યો છું. મેં ઘણા લોકોને મરતા જોયા અને જે લોકોની મેં મદદ કરી, તેઓની સ્થિતિ કેવી છે તેમના વિશે મને કંઈ ખબર નથી.”
તેમણે જણાવ્યું કે તેમણે લોકોના શરીર પર લાગેલી આગ ઓલવવા માટે કપડાંનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બીજા એક ડ્રાઈવરે એક મહિલા પીડિતાને જોખમી જગ્યાથી દૂર પહોંચાડી હતી. આ મહિનાના એક લાઈવ શોના પ્રમોશન માટે પબના ફેસબુક પેજ પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, આ લાઈવ મ્યુઝિક વેન્યુમાં એક સ્ટેજ, બે બાર અને એક કિચન (રસોડું) છે, જેમાં કુલ 300થી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા છે. આગ લાગવાની સ્થિતિમાં બહાર નીકળવા માટે ચાર રસ્તા (ફાયર એક્ઝિટ) પણ છે.