સુપ્રીમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઇકોર્ટના તે આદેશ પર રોક લગાવી છે, જેમાં તમિલનાડુમાં બકરી ઈદ (બકરીદ) સહિત કોઈપણ દિવસે ગાય અને વાછરડાના વધ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે તમિલનાડુની વિજય સરકારની અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટના આદેશના અંતિમ ભાગમાં પ્રથમ દૃષ્ટિએ ‘સુધારાની જરૂર’ હોવાનું નોંધ્યું અને તેના અમલ પર રોક લગાવી છે.
બેન્ચે રાજ્ય સરકારની અરજી પર નોટિસ પણ જારી કરી છે. તમિલનાડુ સરકારે દલીલ કરી હતી કે મદ્રાસ હાઇકોર્ટનો આદેશ રાજ્યમાં અમલમાં રહેલા તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, 1958ની જોગવાઈઓથી વિપરીત છે. આ કાયદા હેઠળ 10 વર્ષથી વધુ ઉંમરની અને ખેતી કે પ્રજનન માટે અયોગ્ય બનેલી ગાયનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મળ્યા બાદ વધ કરવાની મંજૂરી છે.
ઉલ્લેખનીય છે કે 27 મે, 2026ના રોજ મદ્રાસ હાઇકોર્ટે કોયમ્બતુરના રહેવાસી કે. સૂર્યા પ્રસાંતે દાખલ કરેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે બકરી ઈદના અવસરે જ નહીં, પરંતુ કોઈપણ દિવસે રાજ્યમાં ગાય અને વાછરડાનો વધ ન થવો જોઈએ. કોર્ટે મુખ્ય સચિવ અને એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને (કાયદો અને વ્યવસ્થા) આદેશના પાલન માટે જરૂરી સૂચનાઓ જારી કરવા પણ કહ્યું હતું.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે મૂળ અરજીનો મુદ્દો જાહેર સ્થળો સિવાય અન્યત્ર પ્રાણીઓના વધને રોકવાનો હતો, પરંતુ હાઇકોર્ટે તેના કરતાં આગળ વધીને સમગ્ર રાજ્યમાં ગાય અને વાછરડાના વધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો, જે અરજીની મર્યાદાથી બહારનો આદેશ છે.
મદ્રાસ હાઇકોર્ટે પોતાના આદેશમાં બંધારણના અનુચ્છેદ 48, તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, 1958 તથા 1976ના રાજ્ય સરકારના એક આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં દૂધ ઉત્પાદન અને ગ્રામિણ અર્થતંત્રના હિતમાં ગૌવધ પર નિયંત્રણની વાત કરવામાં આવી હતી. જોકે હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના રાજ્યવ્યાપી પ્રતિબંધવાળા નિર્દેશને સ્થગિત કરતા આ મામલે તમામ પક્ષો પાસેથી જવાબ માગ્યો છે અને કેસની આગળની સુનાવણી બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.