Home Blog Page 2

PM Modi Birthday 2026: ગુજરાતમાં આટલા લાખ દીવડાઓથી કાંકરિયા સહિત અનેક સ્થળે ઉજવણી

0

સાંજ પડતાં જ ગુજરાતના હજારો સ્થળો દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ, રાજ્યભરમાં 88 લાખથી વધુ માટીના દીવડા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આશીર્વાદનો દીવડો’ નામનો આ કાર્યક્રમ ‘સેવા અને સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ રહ્યો છે અને 18,500થી વધુ સ્થળોને તેમાં આવરી લેવામાં આવ્યા છે.

અમદાવાદમાં આ સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્ર કાંકરિયા લેકફ્રન્ટ રહેશે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. સાથે જ અટલ બ્રિજ પર 76 હજાર દીવડાઓથી વિશેષ પ્રકાશ સજાવટ કરવામાં આવશે. અમદાવાદ શહેરના તમામ 48 મ્યુનિસિપલ વોર્ડમાં મળીને કુલ 4.8 લાખ દીવડા પ્રગટાવવાનું પણ આયોજન છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીના જણાવ્યા મુજબ, કાર્યક્રમોની શરૂઆત સાંજે 6 વાગ્યે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી થશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે દીવડાઓ પ્રગટાવવામાં આવશે. આ સમય મંદિરોમાં થતી સાંજની આરતી સાથે જોડવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવશે.

અમદાવાદમાં અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ જગન્નાથ મંદિરમાં 1,000 સફાઈકર્મીઓ સાથે સાંજની આરતીમાં પણ જોડાશે. રાજ્યના અન્ય શહેરોમાં પણ અનેક મોટા કાર્યક્રમો યોજાશે. અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. ઓલપાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના નાવડી ઓવારા ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજકોટના હિરાસર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેવાના છે.

દીવડાઓનું પ્રાગટ્ય માત્ર મંદિર કે ધાર્મિક સ્થળો પૂરતું મર્યાદિત નહીં રહે. મંદિરો ઉપરાંત તળાવો, રિવરફ્રન્ટ, જાહેર ચોક, શહેરના પ્રવેશદ્વાર, ડેરી પરિસર, મહાનુભાવોની પ્રતિમાઓ, ટ્રાફિક સર્કલ, ટાઉનહોલ, બગીચા અને APMC જેવા વિવિધ જાહેર સ્થળોએ પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં 17 મોટા શહેરસ્તરીય કાર્યક્રમો સાથે અન્ય 17 કાર્યક્રમોનું આયોજન છે. 287 વોર્ડમાં 12,481 સ્થાનિક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં અંદાજે 16 લાખ લોકો જોડાય તેવી અપેક્ષા છે. નગરપાલિકા વિસ્તારોમાં 152 મુખ્ય, 152 વધારાના અને 5,740 સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોને મળીને 169 મુખ્ય, 169 વધારાના અને 18,508 સ્થાનિક સ્તરના કાર્યક્રમોનો વ્યાપ નક્કી કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં દીવડા પ્રગટાવા ઉપરાંત 10 સ્થળોએ રક્તદાન કેમ્પ અને 14 સ્થળોએ નિઃશુલ્ક તબીબી કેમ્પ યોજાશે. મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં આયુષ્માન ભારત, અનાજ વિતરણ અને ખેડૂત કલ્યાણ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

નોકરી, ધંધો, પૈસા અને પ્રેમ… 17 સપ્ટેમ્બરે કોનું ભાગ્ય આપશે સાથ?

🌟 17 સપ્ટેમ્બર 2026 — દૈનિક રાશિફળ

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. તમારી મહેનત અને આત્મવિશ્વાસથી સારા પરિણામ મળશે. નાણાકીય બાબતમાં સમજદારીથી નિર્ણય લેવો. પરિવાર સાથે વાતચીતમાં ધીરજ રાખવાથી સંબંધોમાં મધુરતા રહેશે.


♉ વૃષભ: અટકેલા કામોમાં આજે પ્રગતિ થવાની શક્યતા છે. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયી બની શકે છે. આવકના નવા સ્ત્રોત અંગે વિચાર કરી શકો છો. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.


♊ મિથુન:
તમારી વાણી અને બુદ્ધિ આજે કામમાં સફળતા અપાવશે. મહત્વપૂર્ણ મીટિંગ અથવા ચર્ચામાં તમારી વાત અસરકારક રહેશે. નવા કરાર કે વ્યવસાયિક નિર્ણયમાં ઉતાવળ ન કરવી. પ્રેમસંબંધોમાં ગેરસમજ દૂર થશે.


♋ કર્ક:
આજે આત્મવિશ્વાસમાં વધારો અનુભવશો. નોકરી કે વ્યવસાયમાં આગળ વધવાની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિ સુધારવા માટે યોગ્ય સમય છે. પરિવારના સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે.


♌ સિંહ: કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાની પ્રશંસા થશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી બની શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ અને સંબંધોમાં તમારી લાગણીઓ ખુલ્લી રીતે વ્યક્ત કરી શકશો.


♍ કન્યા:
આયોજનપૂર્વક કરેલું કામ આજે ઝડપથી પૂર્ણ થશે. નોકરીમાં નવી જવાબદારી અથવા તક મળી શકે છે. નાણાકીય લાભની શક્યતા છે, પરંતુ બિનજરૂરી ખરીદી ટાળવી. સ્વાસ્થ્ય માટે નિયમિત આહાર અને આરામ જરૂરી રહેશે.


♎ તુલા: આજે સંબંધો અને ભાગીદારી માટે સારો દિવસ છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળશે. જૂની નાણાકીય ચિંતા ઓછી થઈ શકે છે. પ્રેમજીવનમાં મધુરતા વધશે અને મન પ્રસન્ન રહેશે.


♏ વૃશ્ચિક: આજે કામમાં પડકારો આવશે, પરંતુ તમારી સમજદારીથી ઉકેલ મળી જશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી. નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી. આધ્યાત્મિક પ્રવૃત્તિથી માનસિક શાંતિ મળશે.


♐ ધન: ભાગ્યનો સાથ મળવાથી નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ માટે નવી તક મળી શકે છે. દૂરના સંપર્ક અથવા પ્રવાસથી લાભ થવાની શક્યતા છે. પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.


♑ મકર:
આજે મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે. વડીલ અથવા અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી રહેશે. વ્યવસાયમાં ધીમે પરંતુ સ્થિર પ્રગતિ થશે. ઘર-પરિવારની જવાબદારીઓ વચ્ચે પોતાના આરામનું પણ ધ્યાન રાખવું.


♒ કુંભ:
નવી યોજના અને સર્જનાત્મક વિચારોને આગળ વધારવા માટે દિવસ અનુકૂળ છે. મિત્રો અથવા ઓળખીતાઓ તરફથી સહયોગ મળી શકે છે. અચાનક ખર્ચ થવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું. સંબંધોમાં ખુલ્લી વાતચીતથી ગેરસમજ દૂર થશે.


♓ મીન: આજે ધીરજ અને શિસ્તથી કામ કરશો તો સારા પરિણામ મળશે. જૂના અધૂરા કાર્યો પૂર્ણ કરવાની તક મળશે. નાણાકીય બાબતમાં લાંબા ગાળાનું આયોજન લાભદાયી રહેશે. મનની શાંતિ માટે ધ્યાન, પ્રાર્થના અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી શકો છો

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

0

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર આવવાનો છે. 1 ઓક્ટોબર 2026થી રાજ્યના NCR વિસ્તારમાં End-of-Life Vehicles (ELVs)ને પેટ્રોલ-ડીઝલ ન મળે તે માટે નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે. ગાડી પેટ્રોલ પંપ પર પહોંચતાની સાથે જ કેમેરા નંબર પ્લેટ સ્કેન કરીને તેની વિગતો ચકાસશે.

આ વ્યવસ્થા પ્રથમ તબક્કામાં ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જર જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ ચાર જિલ્લાઓના પેટ્રોલ પંપ પર કુલ 775 ANPR (Automated Number Plate Recognition) કેમેરા લગાવવામાં આવશે. તેમાં ગુરુગ્રામમાં 249, સોનીપતમાં 215, ઝજ્જરમાં 195 અને ફરીદાબાદમાં 116 કેમેરાનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹41.74 કરોડ છે.

સરકારના આયોજન મુજબ પેટ્રોલ પંપ પર આવતી ગાડીની નંબર પ્લેટ કેમેરા દ્વારા રીડ થશે અને સિસ્ટમમાં રહેલા વાહનના રેકોર્ડ સાથે તેની ચકાસણી કરવામાં આવશે. વાહન ELV કેટેગરીમાં આવતું હોવાનું જણાશે તો તેને ઈંધણ આપવાની પ્રક્રિયા રોકવામાં આવશે.

આ કાર્યવાહી NCRમાં વાહનોના કારણે થતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહી છે અને તે **વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)**ના નિર્દેશો સાથે જોડાયેલી છે.

હરિયાણા સરકારે પ્રથમ તબક્કાના કેમેરા સ્થાપનનું કામ 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આગળના તબક્કામાં રાજ્યના વધુ ફ્યુઅલ સ્ટેશનો પર ANPR આધારિત ચકાસણી વધારવાની યોજના પણ છે.

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

0

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવાની કેબિનેટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી ₹15,000થી ₹25,000 સુધીનું માસિક વેતન ધરાવતા ઘણા કર્મચારીઓ EPFOના ફરજિયાત કવરેજ હેઠળ આવી શકે છે. સરકારના અંદાજ મુજબ આ ફેરફારથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ મળી શકે છે.

નવી મર્યાદા અમલમાં આવ્યા બાદ પાત્ર કર્મચારીઓ માટે EPFમાં કર્મચારી અને નોકરીદાતા તરફથી નિયમ મુજબ યોગદાન જમા થશે. આ રકમ લાંબા ગાળે રિટાયરમેન્ટ માટે બચત ઊભી કરવામાં મદદ કરશે. સાથે જ Employees’ Pension Scheme (EPS) હેઠળ પેન્શન સંબંધિત સામાજિક સુરક્ષા અને Employees’ Deposit Linked Insurance Scheme (EDLI) હેઠળ જીવન વીમા સાથે જોડાયેલું કવચ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કર્મચારીને નિવૃત્તિ બાદની આર્થિક સુરક્ષા ઉપરાંત પરિવાર માટે વીમા આધારિત સુરક્ષાનો લાભ મળી શકે છે.

હાલના નિયમો મુજબ ₹15,000થી વધુ માસિક વેતન સાથે નોકરી શરૂ કરનાર નવા કર્મચારી માટે EPF કવરેજ આપમેળે ફરજિયાત નહોતું. નવી મર્યાદા લાગુ થયા બાદ ₹15,000થી ₹25,000 સુધીના પગારવર્ગ માટે ફરજિયાત કવરેજનું દાયરું વિસ્તરશે. જોકે EPF, EPS અને EDLIના ચોક્કસ લાભો સંબંધિત નિયમો અને પાત્રતા મુજબ લાગુ પડશે.

EPFOની વેતન મર્યાદામાં છેલ્લે સપ્ટેમ્બર 2014માં ફેરફાર થયો હતો, જ્યારે તેને ₹6,500થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી. ત્યારથી 12 વર્ષમાં વેતન અને ઔપચારિક રોજગારમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને મર્યાદા વધારવાની જરૂરિયાત અંગે ચર્ચા થતી રહી હતી.

સરકારના અંદાજ મુજબ નવા ફેરફારથી વાર્ષિક આશરે ₹11,339 કરોડનો નાણાકીય ખર્ચ થશે, જ્યારે પાંચ વર્ષમાં કુલ ખર્ચ લગભગ ₹56,696 કરોડ રહેવાનો અંદાજ છે. હવે શ્રમ અને રોજગાર મંત્રાલય તથા EPFO દ્વારા જરૂરી નોટિફિકેશન અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી મર્યાદાનો ઔપચારિક અમલ થશે.

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

0

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે ઘરેલુ વિવાદમાં મહિલાઓ પોલીસનો સંપર્ક કરતી જોવા મળે છે, પરંતુ અહીં બે પતિઓ પોતાની પત્નીઓથી પરેશાન હોવાનો આક્ષેપ કરીને પોલીસ પાસે પહોંચ્યા અને સુરક્ષાની માંગ કરી હતી. બંનેએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા હતો, જોકે આ દાવાઓની પોલીસ તપાસ ચાલી રહી છે.

ફિરોઝાબાદના રૂપ કિશોરે પત્ની અને સાસુ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.

બપોરે આશરે એક વાગ્યે ફિરોઝાબાદના રહેવાસી રૂપ કિશોર બેગ લઈને એકતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પત્ની અને સાસુ સામે પૈસાની માંગણી તથા મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.આ દરમિયાન બે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં આવી અને રૂપ કિશોર સાથે મારપીટ શરૂ કરી હતી. હાજર લોકોએ વચ્ચે પડીને તેમને બચાવ્યા બાદ બંને મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી.

રૂપ કિશોરના જણાવ્યા પ્રમાણે, તેમના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં દિગનેર વિસ્તારની ગૌરી સાથે થયા હતા અને તેમને બે વર્ષની એક પુત્રી છે. તેમનો દાવો છે કે પત્ની હાલમાં પોતાની માતા સાથે પિયર રહે છે અને સાસરીમાં આવવા તૈયાર નથી. રૂપ કિશોરે આરોપ લગાવ્યો કે પત્ની દર મહિને પૈસાની માંગ કરે છે અને બહાને બોલાવી પત્ની તથા સાસુ મળીને તેમની સાથે મારપીટ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ જોધપુરમાં ખાનગી નોકરી કરે છે અને મંગળવારે સાસરી પહોંચ્યા ત્યારે તેમની પાસેથી પૈસા લઈ લેવાયા બાદ મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા.

20 વર્ષના લગ્નજીવન બાદ પત્ની અંગે રાકેશ જાદૌનનો આરોપ

આ જ પોલીસ સ્ટેશનમાં બપોરે બે વાગ્યે કહરઈયા મોંડના રહેવાસી 40 વર્ષીય રાકેશ જાદૌન પણ પહોંચ્યા હતા. તેમણે પત્નીથી સુરક્ષા આપવાની વિનંતી કરી હતી. રાકેશના જણાવ્યા મુજબ, લગ્નના લગભગ 20 વર્ષ બાદ તેમની પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું છે અને હવે તે અન્ય વ્યક્તિ સાથે રહે છે. બંનેને ત્રણ સંતાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાકેશે પત્ની દ્વારા તેમને જાનથી મરાવવાની ધમકીઓ મળતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને મામલામાં સંબંધિત પક્ષોની તહરીર મળી ગઈ છે અને ફરિયાદોના આધારે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ બંને કેસમાં લગાવવામાં આવેલા આક્ષેપોની પોલીસ તપાસ મહત્વની રહેશે.

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ અને માંગરોળ ફાયર વિભાગની ટીમો દોડી આવી અને માત્ર 22થી 25 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, કંપનીમાં નિયમિત ઉત્પાદન અને મશીનરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણસર મિલમાં આગ લાગી હતી. આગ લાગતાં કંપની સંચાલકોએ તાત્કાલિક સુમિલોન ઇન્ડસ્ટ્રીઝના પ્રશાંતભાઈ તથા માંગરોળ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા જ સુમિલોન ફાયર અને માટીવા (માંગરોળ) ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર ભાવેશ ગામિત અને તેમની ટીમે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે 22થી 25 મિનિટમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર ઠંડુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

વિશાલ પોલિફાઇબરના ડિરેક્ટર પંકજ ડાવરાએ જણાવ્યું હતું કે ઘટના નાની હતી, પરંતુ આગ વધુ ફેલાઈ હોત તો નુકસાન વધી શકત. તેમણે સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ અને માંગરોળ તાલુકા એસોસિએશન દ્વારા ફાયર સેફ્ટી માટે કરવામાં આવેલી વાહનોની સુવિધાને મહત્વપૂર્ણ ગણાવી હતી.

તેમણે ઔદ્યોગિક વિસ્તારોમાં મુશ્કેલીના સમયે ઉદ્યોગો વચ્ચે સહકાર જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ટાળવા વધુ ફાયર ગાડીઓની સુવિધા હોવી જોઈએ તેવી વાત કરી હતી. સમયસરની કાર્યવાહીથી કોઈ જાનહાનિ થઈ નહોતી.

VIDEO: આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારત-પાકિસ્તાનના જહાજોની ટક્કર, 1991ના કરારનો મુદ્દો ફરી ચર્ચામાં

અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો સામસામે આવી જતાં ફરી એકવાર બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે. 15 સપ્ટેમ્બર, 2026ની સાંજે ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારતીય નૌકાદળના એક જહાજ સાથે પાકિસ્તાની નૌકાદળના જહાજની ટક્કર થઈ હતી. ઘટનાના બીજા જ દિવસે ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ચાર્જ ડી’અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય યુદ્ધજહાજ નિયમિત દેખરેખ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળનું જહાજ ઊંચી ઝડપે ભારતીય જહાજની નજીક આવ્યું અને ત્યારબાદ તેની દિશામાં અસુરક્ષિત તથા બિન-વ્યાવસાયિક રીતે ફેરફાર કર્યો હતો.ભારતના જણાવ્યા પ્રમાણે ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.

મીડિયા અહેવાલોમાં ટક્કરમાં સામેલ પાકિસ્તાની જહાજ તરીકે PNS Hunainનું નામ સામે આવ્યું છે. તે પાકિસ્તાન નૌકાદળનું Yarmook-class offshore patrol vessel છે, જે દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને પેટ્રોલિંગ જેવી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, ભારતીય નૌકાદળના ટક્કરમાં સામેલ જહાજનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની રાજદ્વારીને જણાવ્યું કે દરિયામાં તમામ સૈન્ય એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બંને દેશો વચ્ચે લાગુ કરારોનું પાલન કરવું જોઈએ. ભારતે પાકિસ્તાની નૌકાદળની કાર્યવાહીનું વર્ણન ‘અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક’ તરીકે કર્યું છે. ઇસ્લામાબાદમાં રહેલા ભારતીય ચાર્જ ડી’અફેયર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સમાન વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી છે.

આ મામલે ભારતે એપ્રિલ 1991ના ‘Advance Notice on Military Exercises, Manoeuvres and Troops Movements’ કરારના આર્ટિકલ 10નો પણ ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં બંને દેશોના નૌકાદળના જહાજો અને સબમરીન એકબીજાથી ઓછામાં ઓછા 3 નોટિકલ માઈલનું અંતર જાળવે તેવો નિયમ છે, જેથી અકસ્માત ટાળી શકાય છે.

રસપ્રદ બાબત એ છે કે લગભગ 15 વર્ષ પહેલાં, જૂન 2011માં પણ PNS Babur અને INS Godavari વચ્ચે દરિયામાં ટક્કર જેવી ઘટના બની હતી. તે સમયે પણ ભારતે પાકિસ્તાની જહાજ સામે નૅવિગેશનલ સેફ્ટીના નિયમો અને 1991ના કરારના આર્ટિકલ 10ના ભંગ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી રેકોર્ડ મુજબ PNS Baburએ ઊંચી ઝડપે INS Godavariની નજીક જઈને તેને સ્પર્શ કર્યો હતો, જેના કારણે હેલિકોપ્ટર ડેકની સુરક્ષા જાળીને નાનું નુકસાન થયું હતું.

હાલની ઘટનામાં બંને દેશો તરફથી આગળની કાર્યવાહી અને ટક્કરની સંપૂર્ણ તપાસ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

GETCOની ભરતીને લઈને મોટો વિરોધ, 200થી વધુ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

0

16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને ગુજરાતભરના યુવાનોનો રોષ રસ્તા પર જોવા મળ્યો હતો. વડોદરાના આંબેડકર સર્કલ નજીક આવેલી GETCO કચેરી બહાર આશરે 200થી 300 ઉમેદવારો એકત્ર થયા હતા. ઉમેદવારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી કાયમી ભરતી કરવાની માગ ઉઠાવી હતી.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોનો મુખ્ય વિરોધ ભરતી પ્રક્રિયામાં મર્યાદિત જગ્યાઓના અલોટમેન્ટ અને બાકી ઉમેદવારો અંગે સ્પષ્ટતા ન મળવાને લઈને છે. ઉમેદવારોનું કહેવું છે કે લાયકાત ધરાવતા મોટી સંખ્યામાં યુવાનોને તક મળે તે માટે GETCOમાં મોટા પાયે કાયમી ભરતી કરવી જોઈએ. સાથે જ 2026ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય તો મેરિટ લિસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવાની પણ માગ કરવામાં આવી છે.

ડીસાથી આવેલા ઉમેદવાર વિક્રમ એદૈલિયાએ જણાવ્યું કે મુખ્ય માગ આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ કરવાની છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ 8 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ માત્ર 271 જગ્યાઓનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે. ઉમેદવારોએ વધુ જગ્યાઓ પર ભરતી કરવાની માગ કરી છે.

કપડવંજના હિતેશ ખાંટના જણાવ્યા મુજબ, 5 એપ્રિલ 2026ની પરીક્ષા બાદ આશરે 5,600 ઉમેદવારો સામે માત્ર 273 ઉમેદવારોનું પ્રથમ અલોટમેન્ટ જાહેર થયું છે. 7 જુલાઈએ રજૂઆત કર્યા બાદ ઓગસ્ટમાં બાકી અલોટમેન્ટ અંગે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓના ઉમેદવારોએ 4 હજાર કે તેથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માગ કરી છે. માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.

મોદીને મળ્યાને બદલાઈ આખી કહાની! 81 વર્ષીય મિત્રને જમીન પાછી આપવાનો નિર્ણય

0

8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ માત્ર થોડા જ દિવસોમાં મીરા રોડ પર વર્ષોથી ચાલતા જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત જમીનનો કબજો છોડવાની સાથે પ્લોટ માટે મળેલી બાંધકામ પરવાનગી પણ સરેન્ડર કરવાની જાહેરાત કરવા સાથે જ વોહરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની વાત પણ તેમણે કરી છે.

આ સમગ્ર મામલો ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી 2,810 ચોરસ મીટર જમીનને લઈને છે. વોહરાના જણાવ્યા અનુસાર તેમણે આ જમીન 1989માં ખરીદી હતી. તેમનો આરોપ છે કે 2011માં સ્વયમ બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. વોહરાએ આ કંપનીઓને નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું હતું.

વોહરાનો વધુ આરોપ છે કે તેમની જાણ બહાર કથિત રીતે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનને બે કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. તેઓ છેલ્લા લગભગ 15 વર્ષથી અલગ-અલગ સરકારી વિભાગો સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. 2015માં આ કેસને લઈને FIR પણ નોંધાઈ હતી.

8 સેપ્ટેમ્બરે વોહરા વડનગરની BN સ્કૂલમાં પીએમ મોદી સાથે અભ્યાસ કર્યાની વાત કરી હતી અને તેમના સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે જમીન વિવાદમાં હસ્તક્ષેપ અને CBI તપાસની માંગ કરી હતી.

ત્યારબાદ મંગળવારે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીની અધ્યક્ષતામાં મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. તેમાં વોહરા, નરેન્દ્ર મહેતા, મહાનગરપાલિકા કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે હાજર રહ્યા હતા. બેઠકમાં મહેતાએ જમીન અને બાંધકામ પરવાનગી અંગેનો નિર્ણય રજૂ કર્યો.

બીજી તરફ, સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે 13 જૂન 2019ના રજિસ્ટર્ડ ડીડથી જમીન ખરીદ્યાનો દાવો કર્યો હતો. કંપનીને 17 એપ્રિલ 2026ના રોજ બાંધકામની મંજૂરી મળી હતી. હવે કંપનીએ વિવાદનો ઉલ્લેખ કરીને બાંધકામ પ્રમાણપત્ર સરેન્ડર કર્યું છે અને પરવાનગી રદ કરવાની સાથે અગાઉ ભરેલી ફી પરત કરવાની માંગ કરી છે.

નરેન્દ્ર મહેતાએ પણ પોલીસ કમિશનરને પત્ર લખીને વોહરા વિરુદ્ધની અગાઉની ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી છે. આ દરમિયાન 16 સપ્ટેમ્બરે મહાનગરપાલિકામાં બંને કંપનીઓને જમીન વિવાદ અંગે સ્પષ્ટતા માટે બોલાવવામાં આવી છે.

સુરતના સારોલીની સાલાસર માર્કેટમાં આગનો કહેર!

સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા દેખાતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. સારોલી સ્થિત સાલાસર માર્કેટના પાંચમા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં માત્ર થોડી જ વારમાં આગ ચાર દુકાનો સુધી પ્રસરી ગઈ હતી. દુકાનોમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી અને સમગ્ર વિસ્તારમાં ફાયર બ્રિગેડની દોડધામ શરૂ થઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, સવારે અંદાજે 10:30 વાગ્યે માર્કેટના પાંચમા માળે આવેલી દુકાનોમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચમા માળે આવેલી અંદાજે ચાર દુકાનો તેની ઝપેટમાં આવી હતી. આ દુકાનોમાં ફેબ્રિકેટ કાપડ, પોલિએસ્ટર સહિતનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ ભભૂકી હોવાનું સામે આવ્યું છે.

આગ લાગ્યાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડ સક્રિય થઈ હતી. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડરો અને ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને હોઝ પાઈપો ગોઠવી ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આગના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ હતી. કાપડનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સદનસીબે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.