સાંજ પડતાં જ ગુજરાતના હજારો સ્થળો દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ, રાજ્યભરમાં 88 લાખથી વધુ માટીના દીવડા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આશીર્વાદનો દીવડો’ નામનો આ કાર્યક્રમ ‘સેવા અને સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ રહ્યો છે અને 18,500થી વધુ સ્થળોને તેમાં આવરી લેવામાં આવ્યા છે.
અમદાવાદમાં આ સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્ર કાંકરિયા લેકફ્રન્ટ રહેશે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. સાથે જ અટલ બ્રિજ પર 76 હજાર દીવડાઓથી વિશેષ પ્રકાશ સજાવટ કરવામાં આવશે. અમદાવાદ શહેરના તમામ 48 મ્યુનિસિપલ વોર્ડમાં મળીને કુલ 4.8 લાખ દીવડા પ્રગટાવવાનું પણ આયોજન છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીના જણાવ્યા મુજબ, કાર્યક્રમોની શરૂઆત સાંજે 6 વાગ્યે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી થશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે દીવડાઓ પ્રગટાવવામાં આવશે. આ સમય મંદિરોમાં થતી સાંજની આરતી સાથે જોડવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવશે.
અમદાવાદમાં અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ જગન્નાથ મંદિરમાં 1,000 સફાઈકર્મીઓ સાથે સાંજની આરતીમાં પણ જોડાશે. રાજ્યના અન્ય શહેરોમાં પણ અનેક મોટા કાર્યક્રમો યોજાશે. અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. ઓલપાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના નાવડી ઓવારા ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજકોટના હિરાસર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેવાના છે.
દીવડાઓનું પ્રાગટ્ય માત્ર મંદિર કે ધાર્મિક સ્થળો પૂરતું મર્યાદિત નહીં રહે. મંદિરો ઉપરાંત તળાવો, રિવરફ્રન્ટ, જાહેર ચોક, શહેરના પ્રવેશદ્વાર, ડેરી પરિસર, મહાનુભાવોની પ્રતિમાઓ, ટ્રાફિક સર્કલ, ટાઉનહોલ, બગીચા અને APMC જેવા વિવિધ જાહેર સ્થળોએ પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં 17 મોટા શહેરસ્તરીય કાર્યક્રમો સાથે અન્ય 17 કાર્યક્રમોનું આયોજન છે. 287 વોર્ડમાં 12,481 સ્થાનિક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં અંદાજે 16 લાખ લોકો જોડાય તેવી અપેક્ષા છે. નગરપાલિકા વિસ્તારોમાં 152 મુખ્ય, 152 વધારાના અને 5,740 સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોને મળીને 169 મુખ્ય, 169 વધારાના અને 18,508 સ્થાનિક સ્તરના કાર્યક્રમોનો વ્યાપ નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં દીવડા પ્રગટાવા ઉપરાંત 10 સ્થળોએ રક્તદાન કેમ્પ અને 14 સ્થળોએ નિઃશુલ્ક તબીબી કેમ્પ યોજાશે. મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં આયુષ્માન ભારત, અનાજ વિતરણ અને ખેડૂત કલ્યાણ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.







